Vadodara: રસીકરણથી કોરોનાની ઘાતકતા ઓછી થવા સાથે ત્રીજી લહેરનો સમયગાળો પણ ઓછો થશે
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બીજી લહેરમાં એક મહિનામાં 1524ની સામે ત્રીજી લહેરમાં માત્ર 417 કોરોના દર્દીને દાખલ થવું પડ્યું છે, બાળરોગ વિભાગમાં માત્ર આઠ બાળકોને સારવારની જરૂર પડી હતી આવા બાળકોમાં મહત્તમ નિયોનેટલ હતા
વડોદરાની એસએસજી હોસ્પિટલ (SSG Hospital) માં બીજી લહેરમાં એક મહિનામાં 1524ની સામે ત્રીજી લહેરમાં માત્ર 417 કોરોના (Corona) દર્દીને દાખલ થવું પડ્યું છે. સેકન્ડ વેવના છ માસમાં એસએસજીમાં 9142 દર્દીઓને દાખલ કરાયા હતા, તેની સામે ત્રીજી લહેરમાં માત્ર 417ને સારવાર લેવી પડી છે. બાળરોગ વિભાગમાં માત્ર આઠ બાળકોને સારવારની જરૂર પડી હતી. નિઓનેટલના 9 દર્દીઓની સારવાર કરાઈ છે.
બીજી લહેરમાં ઘાતક સાબીત થયેલા કોરોના વાયરસ સામે સરકારનું રસીકરણ (Vaccination) અભિયાન રામબાણ ઇલાજ પૂરવાર થયું છે. કોરોનાની ત્રીજી લહેર પહેલા જ વડોદરા જિલ્લામાં મહત્તમ નાગરિકોને રસીનું કવચ આપી દેવામાં આવતા તેનો ચેપ લાગ્યો હોવા છતાં દવાખાનામાં દાખલ થવાની જરૂર પડતી ન હોવાનું ચિત્ર ઉપલબ્ધ આંકડાઓ જોતા ઉપસી રહ્યું છે.
ગત્ત વર્ષમાં આવેલી કોરોના વાયરસની બીજી લહેરનો સમયગાળો માર્ચ-21થી ઓગસ્ટ-21નો ગણીએ તો એ છ માસ દરમિયાન એસએસજી હોસ્પિટલમાં કોરોના વાયરસના કૂલ 9142 દર્દીઓને ઇનડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. ગત્ત માર્ચ અને મે માસમાં કોરોના વાયરસનું સંક્રમણ ટોચ ઉપર હતું.
બીજી લહેરના છ માસના સરેરાશ ધ્યાને લેવામાં આવે તો પ્રતિ માસ 1524 દર્દીઓને એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે જાન્યુઆરી-22થી શરૂ થયેલી ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં માત્ર 417 દર્દીઓને દાખલ થવાની જરૂર પડી છે. ક્યાં સરેરાશ 1524 અને ક્યાં 417! આ રસીકરણનો જ પ્રતાપ છે.
બીજી લહેરના ઉક્ત છ માસ દરમિયાન એસએસજીમાં દાખલ કોરોના કૂલ દર્દીઓ પૈકી 31થી 40 વય જૂથના 1094, 41થી 50 વર્ષના 1699, 51થી 60 વર્ષના 2258,61થી70 વર્ષના 2021 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. એને બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, દાખલ થયેલા દર્દીઓ પૈકી 47 ટકા દર્દીઓ 51થી 70 વર્ષની વય ધરાવતા હતા. તેની સાપેક્ષે માત્ર 40 બાળકોને કોરોના થયો હતો. આવા બાળકોમાં મહત્તમ નિયોનેટલ હતા.
એથી એવું માનવામાં આવતું હતું કે ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ અસર થશે. પણ, અત્યારે ત્રીજી લહેર ચાલુ છે, પણ બાળકોને કોરોના થવાના કેસો ઓછા છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધુ પૂરવાર થઇ છે.
એએસજીના બાળરોગ વિભાગના અધ્યક્ષા ડો. શિલા અય્યરે જણાવ્યું કે, અમારે ત્યાં અત્યાર સુધીમાં કૂલ ૮ કોરોનાના બાળદર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. તે પૈકી 2 તો માત્ર 40 દિવસની આયુ ધરાવતા હતા. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત 15 ગર્ભવતી મહિલાઓની પ્રસુતી થયા બાદ 9 બાળકોના ટેસ્ટ કરાતા તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા. પણ, તેમાં કોઇ લક્ષણ જણાયા નહોતા. આ બાળકોને માતૃસંવેદનાથી સારવાર આપી કોરોનાથી મુક્ત કરવામાં આવ્યા છે.
હવે બીજી રસપ્રદ વાત એ છે કે, ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં 417 દર્દીઓને એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પૈકી 196 પુરુષો અને 221 મહિલાઓ હતા. દાખલ થયેલા દર્દીઓમાં 17.51 ટકાની ઉંમર 61થી 70 વર્ષની હતી.
કોરોના વાયરસની ત્રીજી લહેરનો ડેઇલી કમ્પાઉન્ડ ગ્રોથ રેશિયાનો આંક હવે નીચો જઇ રહ્યો છે. એટલે કે, પ્રતિદિન કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એથી એવું કહેવામાં અતિશિયોક્તિ નથી કે ત્રીજી લહેરનો સમયગાળો ઓછો થઇ જશે. પરંતુ, હજુ પણ સાવચેતી તો રાખવાની જ છે.
કોરોનાની ઘાતક લહેરની બચાવવા માટે રસીકરણની ઘનિષ્ઠ રસીકરણ કરવા બદલ તબીબી અને અર્ધતબીબી જગતનો સમગ્ર સમાજ કાયમ માટે ઋણી રહેશે. આ રસી સાવ તમામ વિનામૂલ્યે આપવા અને આ મહામારીમાં દુરદર્શિતા દાખવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો પણ આભાર માનવો ઘટે.
આ પણ વાંચોઃ Surat: એક દિવસમાં બીજી હત્યા, રાંદેરમાં 10 મિનિટમાં આવવાનું કહીને ઘરેથી નીકળેલા યુવાનના મોતના સમાચાર આવ્યા
આ પણ વાંચોઃ Surat: પુણા ગામ વિસ્તારમાં દુકાનમાં ઘૂસી શટર બંધ કરીને બંદૂકની અણીએ લૂંટ ચલાવી