VADODARA : દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં રેલ્વે પોલીસને વધુ એક સફળતા મળી, જાણો શું છે વિગત
નરાધમ આરોપીઓ દ્વારા યુવતીને જે સ્થળે પાડી દેવામાં આવી હતી તે સોસાયટી પાસેથી સાયકલ ગાયબ થઈ હતી.
VADODARA નવસારીની યુવતીની આત્મહત્યા અને દુષ્કર્મ કેસમાં તપાસ કરી રહેલી રેલ્વે પોલીસને મળી સફળતા મળી છે. ભોગ બનનાર યુવતીની સાયકલ આખરે શોધી કાઢવામાં આવી છે.એક મહિલાએ આપેલી માહિતીને આધારે સાયકલ મળી આવી છે. નરાધમ આરોપીઓ દ્વારા યુવતીને જે સ્થળે પાડી દેવામાં આવી હતી તે સોસાયટી પાસેથી સાયકલ ગાયબ થઈ હતી. આ સાયકલ સોસાયટીનો વૉચમેન લઈ ગયો હતો. સાયકલ મળી આવતા તપાસની આગળની દિશા મળી શકશે.
નવસારીની યુવતીના આપઘાત કેસમાં વડોદરા રેલ્વેના DySP બી.એસ.જાધવે મોટા ખુલાસા કર્યા હતા. સમગ્ર કેસમાં યુવતીની હત્યા નહીં પરંતુ આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે.પોલીસને યુવતીના શરીર પર હથિયારથી કોઈ ઈજાના નિશાન નથી મળ્યા.આ ઉપરાંત વિશેરા રિપોર્ટમાં યુવતીને કોઈ ઝેરી પદાર્થ ન અપાયા હોવા સામે આવ્યું છે.
પોલીસે વધુ વિગતો આપતા કહ્યું હતું કે પીડિતાના મોબાઈલ સહિત 6 લોકોના ફોન જપ્ત કરાયા છે અને સંસ્થાના કર્મચારીઓના ફોનની તપાસ માટે FSLમાં મોકલાયા છે. DySP બી.એસ.જાધવે એમ પણ કહ્યું હતું કે પૂછપરછ દરમિયાન સંસ્થાના લોકોએ કહ્યું હતું, અમે પીડિતાના મેસેજને ગંભીરતાથી લીધો નહતો.જે તે વખતે ફરિયાદ નોંધાઈ હોત તો યુવતી બચી ગઈ હતો.
રેલ્વે વિભાગના DySP બી.એસ.જાધવે ઘટનાની તપાસ અંગે કહ્યું હતું કે સંસ્થા સાથે જોડાયેલા 18 કર્મચારી અને હોદ્દેદારોની પૂછપરછ કરવામાં આવી છે અને જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાંના રિક્ષાવાળા, લારીવાળાઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.તેમણે વધુમાં કહ્યું હતું કે પીડિતાએ બે લોકોને ફોન કર્યા હતા, પરંતુ બંને વ્યક્તિ સંસ્થાના ન હતા.આપઘાત પહેલા યુવતીએ ફોન કરી જમવાનો ઓર્ડર આપ્યો હતો.પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે અને જે પણ શંકાસ્પદ લાગે છે તેમની પૂછપરછ કરી રહી છે.