Karjan : કોરોનાની પરિસ્થિતી જોતા એક્શનમાં કલેક્ટર, કોવિડ સેન્ટરોની લીધી મુલાકાત
ઓકસીજન સહિત કોવિડ સારવારની વ્યવસ્થાના ભાગરૂપે કરજણ સી.એચ.સી.ખાતે જિલ્લાનું ચોથું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે.
કરજણના જિલ્લા કલેકટરએ સીએચસીમાં કોવિડ કેર સેન્ટરની સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતુ. તાલુકા સ્તરે ઓકસીજન સહિત કોવિડ સારવારની વ્યવસ્થાના ભાગરૂપે કરજણ સી.એચ.સી.ખાતે જિલ્લાનું ચોથું કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. 8 ઓકસીજન બેડ સાથે કુલ 21 બેડ ધરાવતા આ કોવિડ કેર સેન્ટરની આજે મુલાકાત લઈને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે દર્દીઓ માટેની વ્યવસ્થાઓ અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તબીબો અને સ્ટાફની નિયુક્તી, દર્દીઓ માટે ભોજન તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ, તાલીમ, ફાયર અને ઓક્સિજન ઓડિટ સહિત વિગતવાર જાણકારી મેળવી હતી. પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા આરોગ્ય અધિકારી એ વિવિધ જાણકારી પૂરી પાડી હતી.
કરજણ ખાતે જિલ્લા કલેકટરશ્રી બેઠક યોજી પરિસ્થિતિની કરી સમીક્ષા
સાથે જ કલેકટરે બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી. પ્રાત કચેરી, કરજણ ખાતે શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી સાથે જ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે તાલુકા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર સાથે બેઠક યોજીને કોવિડ વિષયક પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી અને પ્રાત કચેરી, કરજણ ખાતે શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમની મુલાકાત કરી જરૂરી સુચનો કર્યા છે.
તેમણે તાજેતરના જાહેરનામાંના સંદર્ભમાં કોવિડ વિષયક તકેદારીઓનું પાલન કરાવવા અને લોકોનો સહયોગ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે સંજીવની અભિયાન હેઠળ હોમ આઈસોલેસન હેઠળના કોવિડ પોઝિટિવ લોકોની ઉચિત સાર સંભાળ લેવાય, ડોર ટુ ડોર સર્વેક્ષણ હેઠળ તાવ, શરદી, ખાંસી જેવા કેસોની શોધ અને સારવાર તથા ધન્વંતરી રથ દ્વારા આરોગ્ય સંભાળની સેવાઓ હેઠળ થઈ રહેલી કામગીરીની જાણકારી મેળવી, તેને વ્યાપક અને સઘન બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.
સુમેરુ કોવિડ હેલ્થ સેન્ટરની જિલ્લા કલેકટરશ્રી એ લીધી મુલાકાત, 25 બેડની ઓકસીજન સારવાર સુવિધા શરૂ કરવા અંગે કર્યુ નિરીક્ષણ
કરજણ ખાતે સુમેરુ કોવિડ હેલ્થ સેન્ટર સપ્ટેમ્બર 2020 થી કાર્યરત છે અને સામાન્ય લક્ષણો ધરાવતા અથવા લક્ષણ મુક્ત કોવિડ પોઝિટિવ દર્દીઓને સુવિધા સભર હોમ આઇસોલેસનની સુવિધા પૂરી પાડી રહ્યું છે.તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા લોક સહયોગથી તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા કલેકટરે આ કેન્દ્ર ની મુલાકાત લઈને હોમ આઇસોલેસન હેઠળના દર્દીઓની આરોગ્ય સંભાળ લેવાની સાથે ભોજન સહિતની આપવામાં આવતી સુવિધાઓની જાણકારી મેળવી હતી. તેમણે આ કેન્દ્ર ખાતે ઓકસીજન સુવિધા સહિતના 25 બેડ નું કોવિડ સારવાર કેન્દ્ર શરૂ કરવાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.
તાલુકા આરોગ્ય અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું કે લગભગ 8 માસ દરમિયાન આ સુવિધાનો 3 હજાર થી વધુ કોવિડ પીડિતો એ લાભ લીધો છે.દાખલ દર્દીઓને બે વાર ભોજન,અલ્પાહાર,ઉકાળા,દવાઓ,પર્સનલ હાઇજીન કીટ જેવી સુવિધાઓ આપવામાં આવે છે અને યોગની કસરતો દ્વારા સ્વાસ્થ્ય લાભના પ્રયત્નો કરવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી સાથે રહ્યાં હતા.