વડોદરા શહેર કોંગ્રેસને મોટો ફટકો, બે મહિલા નેતાઓ સહિત 400 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા
ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે જણાવ્યું કે ભાજપે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં વિકાસની રાજનીતિ કરી જનજનની સુખાકારી માટે કામ કરી રહ્યું છે ત્યારે તેમની વિચારધારાને અપનાવીને આ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે તેમની સ્વાગત છે.
વડોદરા (Vadodara) શહેર કોંગ્રેસ (Congress) ને મોટો ફટકો પડ્યો છે. વડોદરા કોંગ્રેસની બે મહિલા નેતાઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના પૂર્વે કોર્પોરેટર છાયાબેન શુંભેએ કોંગ્રેસને અલવિદા કરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તેઓ અકોટા વિધાનસભા અને પાદરા વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ રહી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપ પ્રમુખ અને વડોદરા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા કલ્પનાબેન સુર્વે પણ ભાજપમાં જોડાયાં છે. વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપ પ્રમુખ નારાયણ રાજપુત ઉર્ફે સદ્દામે પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આનંદીબેન પટેલ સરકારના મંત્રી પર નારાયણ ઉર્ફે સદ્દામે ભૂતકાળમાં હુમલો કર્યો હતો. આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાં અકોટા વિધાનસભાના ઇન્ચાર્જ રહી ચૂકેલા સાગર કેસરકર ભાજપમાં જોડાયા છે.
માંજલપુર વિનાયક પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરો સહિત 400 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહર પ્રમુખ વિજય શાહ,ધારાસભ્યો યોગેશ પટેલ, જીતુ ભાઈ સુખડીયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોષીએ તમામને આવકાર્યા હતા.
ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે જણાવ્યું કે ભાજપે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં વિકાસની રાજનીતિ કરી જનજનની સુખાકારી માટે કામ કરી રહ્યું છે ત્યારે તેમની વિચારધારાને અપનાવીને આ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે તેમની સ્વાગત કરું છું. વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે ભાજપમાં જોડાઈ રહેલા તમામ નેતાઓને આવકારવામાં આવ્યા હતા.
આ અંગેના કાર્યકમનુ માંજલપુર સ્થિત વિનાયક પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેથી માંજલપુર અને મકરપુરાના કોંગ્રેસના કાઉન્સીલરોને લઇને અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા. જોકે મોડી સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ મહિલા કાઉન્સીલર અને અકોટા-પાદરા વિધાનસભાના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી નિભાવી ચુંકેલી છાયાબેન શુંભે, કલ્પનાબેન સુર્વે, તથા પૂર્વ મંત્રી સૌરભ પટેલ ઉપર હુમલો કરવામાં જેનુ સામે ખુલ્યું હતુ તેવા નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામે આજે ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને શહેર પ્રમુખ ડો. વિજય શાહની આગેવાનીમાં કેસરીયો ધારણ કર્યો હતો. આ સાથે વડોદરના આમ આદમી પાર્ટીના 300થી વધુ કાર્યકરોએ પણ ભાજપની ટોપી અને કેસરીયો ધારણ કર્યો હતો.