Vadodara: 18 જૂને “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં PM મોદીના હસ્તે 1. 41 લાખ પરિવારોને મળશે ઘરનું ઘર
રાજ્યના ગ્રામીણ વિસ્તારના કુટુંબોને પોતાના સ્વપ્નનું ઘર મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તેવા ઉદ્દેશથી તા. 20 નવેમ્બર, 2016ના રોજ ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલી બનાવવામાં આવી હતી.
આગામી તા. 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ વડોદરા (Vadodara) ખાતે રૂ. 21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે કુલ 1 લાખ 41 હજાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં 1 લાખ આવાસોનું લોકાર્પણ તેમજ શહેરી ક્ષેત્રોમાં 41 હજાર આવાસોમાંથી 38071નું લોકાર્પણ અને 2999 ઘરોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
રાજ્યમાં અત્યારસુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 3 લાખ 72 હજાર 865 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે જે પૈકી 14 આદિવાસી જીલ્લાઓમાં જ સૌથી વધુ 2 લાખ 93 હજાર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી તેમજ ચોમાસાના કારણે વિલંબ થયા બાદ એક માસના ટુંકા ગાળામાં અન્ય એક લાખ જેટલા આવાસોને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે આ કામગીરીનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે છેલ્લા થોડાક જ માસમાં 90 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ શહેરી વિસ્તારોમાં 6.24 લાખ આવાસો બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના શહેરો અને ગામડાઓને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરવા અને શહેરી વિસ્તારમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વ્યાજબી કિંમતે આવાસ પૂરા પાડી શકાય તેવા ઉમદા હેતુ સાથે તા.25 જૂન, 2015ના રોજ રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અમલમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ, રાજ્યના ગ્રામીણ વિસ્તારના કુટુંબોને પોતાના સ્વપ્નનું ઘર મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તેવા ઉદ્દેશથી તા. 20 નવેમ્બર, 2016ના રોજ ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલી બનાવવામાં આવી હતી. આજે રાજ્યના લાખો પરિવારો એવા છે કે જેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે પોતાના ઘરમાં રહેવાનું સુખ માણી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને વડોદરાના લેપ્રસી મેદાન પર યોજાયેલા ગુજરાત ગૌરવ અભિયાન પ્રસંગે ડભોઇ તાલુકાના કુંઢેલા નજીક આ નવીન વિશ્વવિદ્યાલયના સંકુલના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. આ દિવસે તેઓ વડોદરામાં જ આકાર લેનારી દેશની સર્વ પ્રથમ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના નિર્માણનો પણ પ્રારંભ કરાવવાના છે. આમ,એક જ દિવસમાં વિદ્યાના વારાણસી જેવા વડોદરાની શિક્ષણ સુવિધાઓમાં બે ઉચ્ચતમ શિક્ષણ સંસ્થાઓના ઉમેરાનો માર્ગ ખુલશે અને આ દિવસ વડોદરાના ઉજ્જવળ ઇતિહાસમાં અંકિત થઈ જશે. આ પ્રસંગે મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળના સદસ્યો ઉપસ્થિત રહેશે.