Vadodara: સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને મળી ગુજરાતમાં પ્રથમ સ્ટેમ સેલ હારવેસ્ટિંગની પરવાનગી, વિવિધ રોગનાં દર્દીઓ માટે બનશે લાભકારક
મળતી વિગતો અનુસાર સી.એલ.એ.એ.દ્વારા સયાજી હોસ્પિટલના (Sayaji Hospital) બ્લડ સેન્ટરને એફેરેસિસ પ્રોસીજર દ્વારા બ્લડ કંપોનંટ્સ ( રક્ત ઘટકો)ના ક્ષેત્રમાં બે નવી પ્રોડક્ટ્સની મંજુરી આપવામાં આવી છે.
દર્દીઓ માટે રક્ત સેવાના ક્ષેત્રમાં વડોદરાની (Vadodara) સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) એક નવું આયામ ઉમેરાયું છે. આનંદના આ સમાચાર આપતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે, સેન્ટ્રલ લાયસન્સ એપ્રુવિંગ ઓથોરિટી દ્વારા સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટર માટે સ્ટેમ સેલ હારવેસ્ટિંગની (Stem cell harvesting) નવી અને અગત્યની સુવિધાને મંજૂરી ની રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રને જાણ કરવામાં આવી છે.તેના અંતર્ગત બે નવી બ્લડ પ્રોડક્ટ માટે જરૂરી પરવાનગી,હાલના પ્રવર્તમાન પરવાનામાં ઉમેરવામાં આવી છે.
ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે, આ પરવાનગીની ખાસ અગત્યતા એટલે છે કે તેના પગલે હવે સયાજી હોસ્પીટલમાં અદ્યતન સારવાર પ્રવાહો પ્રમાણેના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની સ્થાપનાનો માર્ગ મોકળો થયો છે. આ સુવિધાની મંજૂરી,ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં પહેલીવાર સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને મળી છે. તેમણે પ્રમાણભૂત કાર્ય પદ્ધતિ અનુસરીને ઉમદા કામગીરી દ્વારા આ પરવાનગી મેળવવાની સિદ્ધિ માટે બ્લડ સેન્ટરના ટીમ લીડર અને સહ પ્રાધ્યાપક ડો. ફરઝાના કોઠારી અને તેમની ટીમને અભિનંદન આપ્યાં છે.
મળતી વિગતો અનુસાર સી.એલ.એ.એ.દ્વારા સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને એફેરેસિસ પ્રોસીજર દ્વારા બ્લડ કમ્પોનન્ટ ( રક્ત ઘટકો) ના ક્ષેત્રમાં બે નવી પ્રોડક્ટ્સની મંજુરી આપવામાં આવી છે. જેમાં એફેરેસીસ દ્વારા ગ્રેન્યુલોસાઇટ અને પેરીફેરલ બ્લડ સ્ટેમસેલ્સ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. હાલના પરવાના હેઠળ જ બ્લડ સેન્ટરને જેની પરવાનગી મળી છે એ પ્રોડક્ટ્સ માં આ બે નવી પ્રોડક્ટ્સની પરવાનગી ઉમેરવામાં આવી છે.
3 દર્દીઓને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટનો લાભ મળ્યો
સયાજી હોસ્પિટલની ઉત્તમ સારવાર પરંપરામાં એક ઉજ્જવળ કડીનો ઉમેરો કરતાં આઇ.એચ.બી.ટી. વિભાગે એક નવી પહેલરૂપે ત્રણ દર્દીઓને સેલ ટ્રિટમેન્ટનો લાભ આપવાની નિર્ણાયક સફળતા મેળવી છે. આ ત્રણ પૈકી બે દર્દીઓ લ્યુકેમિયા અને એક દર્દી મલ્ટીપલ માઇલોમા થી પીડિત છે અને આ સારવાર તેમના માટે સારી એવી લાભદાયક બની છે.
તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે, સામાન્ય ભાષામાં આ દર્દીઓ કેન્સર પીડિત છે. જેમની નવી દિલ્હીના તજજ્ઞ ડો.મિત કુમારના દિશા નિર્દેશો પ્રમાણે રેડીએશન ઓંકોલોજી વિભાગના ડો.અનિલ ગોયલ, ડો.વિભા નાયક, ડો. ફરઝાના કોઠારી તેમજ મેડીસિન અને આઇ.એચ.બી. ટી.સહિતના વિભાગોના સહયોગથી આ નવી સારવારની પહેલ કરવામાં આવી છે. તેમની સારવારમાં અદ્યતન ઓટોલોગસ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટનો પ્રયોગ ઉપયોગી બન્યો છે. ખાનગી કોર્પોરેટ હોસ્પિટલોમાં આ સારવાર માટે દર્દી દીઠ રૂ.4 થી 7 લાખનો ખર્ચ કરવો પડે, પરંતુ સયાજી હોસ્પીટલમાં માત્ર રૂ.ત્રીસ હજાર જેટલા નજીવા ખર્ચમાં આ સારવાર થઈ છે. તમામ દર્દીઓની હાલતમાં સારો સુધાર જોવા મળ્યો છે. AIIMS,નવીદિલ્હી સિવાય સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમવાર આવી સારવાર થઈ છે .