આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ નિમિત્તે સુરતના હોમિયોપેથીક તબીબની અનોખી કહાની, જાણો તેમનો સંઘર્ષ
આજે આંતરાષ્ટ્રીય નશા મુક્તિ દિવસ છે. ઘણા એવા લોકો છે ને નશો છોડવા માંગતા હોય છે. અને આવા લોકો માટે જ આજે તમને જણાવીશું એક અનોખી હકીકત.
26 જૂન એટલે કે આજે વિશ્વભરમાં નાશામુક્તી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આજે તમને એક એવા વ્યક્તિની વાત કરવી છે જે એવા લોકોને મોટું ઉદાહરણ પૂરું પાડી શકે એમ છે જેમને નશો છોડવો હોય.
આ ડો.અમિત સરદેસાઈ તેમનું નામ છે. જે હાલમાં સુરતના પાલ વિસ્તારમાં નશાબંધી કેન્દ્રમાં ફરજ બજાવે છે. હોમિયોપેથીક તબીબ રહી ચૂકેલા ડો.અમિત સરદેસાઈ 1999માં નશાના બંધાણી બન્યા હતા. અમદાવાદમાં અભ્યાસ દરમ્યાન તેઓએ નશો કરવાની શરૂઆત કરી હતી. જે સમય જતાં એક આદત બની ચુકી હતી.
શરૂઆતમાં આલ્કોહોલ બાદ ધીમે ધીમે નશાની આદત એવી બની ગઈ કે અભ્યાસ બાદ તેઓએ પેન્ટાઝોકીન(opiod pain medicine and anesthetic) ઇન્જેક્શન લેવાની શરૂઆત કરી દીધી. આ ઇન્જેક્શન એનેશથેશિયા હેતુ માટે વપરાય છે. અને દિવસે દિવસે આ નશાની જરૂરિયાત વધતી જ ગઈ. એક બે ઇન્જેક્શન બાદ રોજના 28 ઇન્જેક્શન લેવાની આદતે તેમની હાલત વધુ ગંભીર બનાવી દીધી.
શારીરિક રીતે તો ખરા જ પણ પારિવારિક અને સામાજિક રીતે પણ ડો.અમિતને ઘણું ગુમાવવું પડ્યું. પત્ની અને પુત્ર તેમનાથી અલગ રહેવા જતા રહ્યા. પરિવાર વિખેરાઈ ગયો. જે બંગલામા રહેતા હતા એ બંગલો પણ વેચાઈ ગયો. નશા પાછળ ખર્ચાતા નાણાંએ તેમની આર્થિક સ્થિતિ પણ બગાડી દીધી.
આ આદતથી જ્યારે તેઓ બધું જ ગુમાવી ચુક્યા હતા. 2013 માં ડો.અમિત સરદેસાઈએ opioid ઇન્જેક્શનના નશાને છોડવાનો વિચાર કર્યો. પણ આલ્કોહોલની આદત ન છૂટી અને તેઓને રોડ એક્સિડન્ટમાં ગંભીર ઇજાનો શિકાર બનવું પડ્યું.
આજે તેમના શરીરે સર્જરીના ઘણા નિશાન છે. પણ તેઓ સંપૂર્ણ રીતે તમામ નશાથી મુક્ત થઈ ગયા છે. પણ તેઓ નથી ઇચ્છતા કે લોકો નશાના બંધાણી એ હદે બને કે તેઓને પણ ઘર પરિવારને બધું જ ગુમાવવું પડે. આજે તેઓ પાલ ખાતે આવેલા નશાબંધી કેન્દ્ર ખાતે પણ ફરજ બજાવે છે. અને ત્યાં વ્યસન છોડાવવા આવતા લોકોને પોતાનું ઉદાહરણ આપે છે.
ડો.અમિત સરદેસાઈ હવે તેમના પત્ની અને પુત્ર સાથે ફરી સંપર્કમાં આવ્યા છે. અને ફરી એકવાર હસતું જીવન જીવી રહ્યા છે. અમિત ભાઈ શ્રેષ્ઠ ઉદાહરણ છે જે શીખવાડે છે કે નશાનું વ્યસન વ્યક્તિને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે છે. પણ જો ડ્રગ્સ અને નશાની બાદબાકી જીવનમાંથી કરવામાં આવે તો જીવન પરિવાર ઘણું તૂટતા વિખેરાતા બચાવી શકાય છે.
આ પણ વાંચો: Surat: ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ પણ કારીગરોની ઘટથી રવિવારે પણ કારખાના ચાલુ રાખવા પડી રહ્યા છે
આ પણ વાંચો: બ્રિજ શરૂ થયા પહેલાં નામકરણને લઈને માંગ, ડો. આંબેડકર બ્રિજ નામ નહીં અપાય તો ધરણાની ચીમકી