ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપ માટે કપરા ચઢાણ : આંતરિક સર્વે
ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં BJP તરફથી નારાજગીના પગલે ભાજપને જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ફટકો પડી શકે છે તેવા તારણો ભાજપના આંતરિક સર્વેમાં સામે આવ્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઇને રાજકીય પક્ષોએ લોકોનો મિજાજ જાણવા માટે આંતરિક સર્વે હાથ ધર્યો છે. જેમાં મળતી માહિતી મુજબ છ મહાનગરમાં BJP પોતાની સત્તા જાળવી રાખશે તેવું તારણ છે. જ્યારે બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં BJP તરફથી નારાજગીના પગલે ભાજપને જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ફટકો પડી શકે છે તેવા તારણો ભાજપના આંતરિક સર્વેમાં સામે આવ્યા છે. જેમાં 31 જિલ્લા પંચાયતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ માટે સ્થિતિ કપરી હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.
ગુજરાત BJPના આંતરિક સર્વેમાં સામે આવેલી વિગતો મુજબ ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ કરેલા વાયદા મુજબ સુવિધા આપવા નિષ્ફળ નીવડયુ છે. તેમજ કોરોના બાદ ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકો પણ પહેલા કરતા ઘટી છે. જેના પગલે ગ્રામીણ યુવાન પણ યોગ્ય ઉમેદવારને મત આપશે તેવો મત છે. તેમજ ગ્રામીણ વિસ્તારમાં પક્ષ કરતાં મતદારો લોકો પર વધારે વિશ્વાસ મૂકે છે. જેના પગલે ભાજપને મત મેળવવા મુશ્કેલી પડી શકે તેમ છે.
આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં સૌથી મોટો વર્ગ ખેડૂતો અને પશુપાલકોનો છે. તેમજ નવા કૃષિ કાયદા ઉપરાંત ખેડૂતો સરકારથી નારાજ હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર મતદાન પર પડે તેવી ભીતિ ભાજપને સતાવી રહી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ભાજપ હાલ તો જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરી છે. જે માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જિલ્લાવાર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં 6 મહાનગર પાલિકાઓની 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે.