Ahmedabad: આ બ્રિજથી પસાર થવું એટલે જીવનું જોખમ! મસમોટા ખાડામાંથી સળિયાઓ કરે છે ડોકિયા
Ahmedabad: ખાડાઓને રાજ્યની મોટી સમસ્યા ઘોષિત કરી દેવી જોઈએ એવી હાલત ઠેર ઠેર જોવા મળી રહી છે. અમદાવાદના આ રોડના બ્રિજની હાલત જોઇને જ તમે તૌબા પોકારી જશો.
હજી તો બુધવારે જ માર્ગ મકાન મંત્રીએ રોડ સમારકામનું અભિયાન ઉપાડી લોકો પાસે રસ્તા પર પડેલા ખાડાઓની વિગતો માંગી છે. ત્યારે એસ પી રિંગ રોડ પર આવેલા વટવા રેલવે ઓવર બ્રિજ પર તાત્કાલીક સુધારવા પડે એવા મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. વરસાદને કારણે બ્રિજની હાલત કફોડી બની છે. અડધો કિલોમીટર સુધી બ્રિજમાં ગાબડા છે. અનેક જગ્યાએ લોખંડના સળિયા અને એંગલો બહાર નીકળી ગયા છે. એક મહિનાથી બ્રિજની આ હાલત છે. છતાં પણ તંત્ર દ્વારા બ્રિજનું રીપેરીંગ કરવામાં નથી આવતું. બ્રિજ પર મસમોટા ખાડા હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાડાઓને કારણે ટ્રાફિક જામ થાય છે. તેમેજ ખાડાઓ અને સળિયાઓ બહાર આવી જતા વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.
તમને જણાવી દઈએ કે વરસાદ બાદ તો રાજ્યમાં ઠેર ઠેર ખાડા જોવા મળે છે. આવામાં રાજ્યમાં માર્ગ મરામત મહાઅભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. આ અભિયાન અનુસાર માર્ગમાં ખાડા હોય તો વોટ્સએપથી ફોટા મોકલવાનું કહેવામાં આવ્યું હતું. જેના પર 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે. જેમાં માત્ર 12 કાલકમાં 7000 ફરિયાદ આવી હતી. હવે જોવું એ રહ્યું કે આ ખાડાનો ડેટા માત્ર વ્હોટસએપમાં જ રહેશે કે તેના પર કામ પણ થશે. તેમજ ક્યાં સુધી અને કેવું કામ થશે તે પણ જોવાનો વિષય છે.
આ પણ વાંચો: રાજ્યના 50 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આ વિસ્તારમાં આજે સૌથી વધારે વરસાદ સાથે જળબંબાકાર