રાજકોટમાં લાગતી એમ્બ્યુલન્સ, સ્મશાનગૃહ અને રેમડેસિવીરની લાઇનથી અજાણ છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ!!
ભાજપના પ્રદેશ પ્રમુખે,( BJP state president ) રાજકોટમાં લાગતી લાઈન અંગે ગુજરાત સરકારની ( Gujarat government ) છબી ખરડાય કે પ્રજા માનસમાં ખરડાયેલી છબી સ્વચ્છ થાય તેવુ કોઈ પણ નિવેદન કરવાનું ટાળ્યુ છે.
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી લાગતી એમ્બ્યુલન્સની લાઈન, સ્મશાનગૃહમાં મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા લાગતી લાઈન કે રેમડેસિવીર ઈન્જેકશન મેળવવા લાગતી લાઈનથી પોતે અજાણ હોવાનું ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ( BJP state president ) સી આર પાટીલે ( c r patil ) જણાવ્યુ. ત્યારે સવાલ એ થાય કે શુ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તેમના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને, રાજકોટમાં કોરોનાની આવી કપરી સ્થિતિ અંગે વાકેફ નહી કરતા હોય ? કે પછી પાટીલ જાણી જોઈને અજાણ હોવાની વાત કરીને, મુખ્ય પ્રધાનના હોમ ટાઉનમા કોઈ નવો વિવાદ સર્જવા માંગતા નથી ?
રાજકોટ જિલ્લાના જસદણમાં 100 બેડની હોસ્પિટલના ઉદ્દધાટન પ્રસંગે આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને રાજકોટ એરપોર્ટ પર કોરોનાની સ્થિતિ અંગે પૂછવામાં આવ્યું ત્યારે સી આર પાટીલે પોતે રાજકોટની સ્થિતિથી સાવ અજાણ હોવાનું નિવેદન આપ્યુ હતું.
જસદણની મુલાકાત પહેલા રાજકોટ એરપોર્ટ ખાતે મિડીયા સાથેની વાતચીતમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યુ હતુ તે સુરત બાદ રાજકોટના જસદણમાં ભાજપના કાર્યકર્તાઓ લોકઉપયોગી સેવા કરી રહ્યા છે. જો કે મિડીયાએ જ્યારે રાજકોટની સિવીલ હોસ્પિટલમાં લાગતી એમ્બ્યુલન્સની લાઇન, સ્મશાન ગૃહોમાં લાગતી મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટેની લાઇન અને રેમડેસિવીર ઇન્જેકશન મેળવવા કોરોનાના દર્દીઓના સગાઓની લાઇન અંગે પૂછવામાં આવ્યું ત્યારે પાટીલે કહ્યુ હતુ કે, તેઓ રાજકોટની સ્થિતિથી અજાણ હોવાનું કહ્યુ હતુ જો કે પાટીલે દાવો કર્યો હતો કે સરકાર તમામ સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે.
બાઈક રેલી કરનારને ઠપકો આપ્યો. સી આર પાટીલે કહ્યુ હતુ કે ભાજપ દ્રારા તમામ પ્રકારના સભા રેલી સરઘસ અને રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં ભાજપ યુવા મોરચા દ્રારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. જેનું આયોજન કરનારને ઠપકો આપ્યો હોવાનો પાટીલે દાવો કર્યો હતો. જો કે તેમાં મર્યાદિત સંખ્યા હોવાનું કહીને ભાજપ યુવા મોરચા દ્વારા કરાયેલી બાઈક રેલીનો બચાવ પણ કર્યો હતો.
સરકારથી અંતર રાખ્યુ પક્ષ પ્રમુખે દરમિયાન રાજકીય વિશ્લેષકોનુ માનવુ છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ રાજકોટ બાબતે, સીએમના હોમ ટાઉનમાં કોઈ એવુ વિવાદસ્પદ નિવેદન કરવા માંગતા નથી કે જેથી સરકારની છબી પોતાના કારણે વધુ ખરડાય. અથવા તો જન માનસમાં ખરડાઈ ચૂકેલી છબી વધુ સ્વચ્છ થાય. હોસ્પિટલની બહાર દર્દીને દાખલ કરવા માટે એમ્બ્યુલન્સની લાગતી લાઈન, સ્મશાનગૃહમાં મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવા માટે લાગતી લાઈન અને રેમડેસિવીર ઈન્જેકશન મેળવવા દર્દીઓના સગાઓ દ્વારા લગાવાત લાઈન ઘટાડવાનું કામ સરકારનુ છે. અને સરકારના વડા વિજય રૂપાણી છે. આથી ભાજપના પ્રદેશ પ્રમુખ એવુ કોઈ વિવાદાસ્પદ નિવેદન કરીને ગુજરાત સરકારની છબીને વધુ ખરડાવવા કે ખરડાયેલી છબીને સ્વચ્છ કરવા અંગે કોઈ જ નિવેદન કરવાનું ટાળ્યુ છે.