Vyara: ચરણમાળ ઘાટ પર એસ.ટી બસને અકસ્માત થતા મુસાફરોને નાની મોટી ઇજા, વિશાળ પથ્થરે બચાવ્યા જીવ
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરથી 20 કિલોમીટર અંતર પાસે ચરણમાળ ઘાટ પર સોમવારે માલેગાંવ-સુરત ગુજરાત રાજ્યની એસટી બસ જીજે-18-ઝેડ-5650 નવાપુર તાલુકાના ચરણમાળ ઘાટમાં બ્રેક ફેલ થતાં ઘાટ પરથી નીચે ઉતરી ગઈ હતી.
Vyara: એ કહેવત તો તમે સાંભળી જ હશે કે રામ રાખે તેને કોણ ચાખે ? તાજેતરમાં સર્જાયેલા એક અકસ્માતમાં આ ઉક્તિ સાચી ઠરી હોય તેવું જોઇ શકાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરથી 20 કિલોમીટર અંતર પાસે ચરણમાળ ઘાટ પર સોમવારે માલેગાંવ-સુરત ગુજરાત રાજ્યની એસટી બસ જીજે-18-ઝેડ-5650 નવાપુર તાલુકાના ચરણમાળ ઘાટમાં બ્રેક ફેલ થતાં ઘાટ પરથી નીચે ઉતરી ગઈ હતી.
વિશાળ પથ્થરે બચાવ્યો જીવ
અકસ્માત થયો ત્યારે બસ ઘાટ તરફ ફંગોળાઈ ગઈ હતી. જોકે તે સમયે એક તોતિંગ પથ્થરે ચમત્કાર સર્જ્યો હોય તેમ આ બસ ઘાટમાં પડતા બચી હતી. અને બસ ખીણના કિનારે આવીને લટકી ગઇ હતી. અને મોટી જાનહાની થતા બચી હતી. અકસ્માત સર્જાયો તે સમયે બસમાં 28 મુસાફરો સવાર હતા. બસના ડ્રાઈવર લક્ષ્મણસિંહ બલવત રાણાવત અને ઇજાગ્રસ્ત હાલતમાં કન્ડક્ટર વિલાસ ભાઈજીભાઈ વસાવાને એમ્બ્યુલન્સ દ્વારા નવાપુર સબ-ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે નવાપુરના સ્થાનિકો દ્વારા અન્ય ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં ખસેડ્યા હતા. બે દિવસમાં આ ઘાટ પર અકસ્માતની આ બીજી એવી ઘટના બની છે. આ બસમાં સવાર બીજા સાત જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થતાં તેમને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. નોંધનીય છે કે, બે દિવસ પહેલા આ જગ્યાએ ઘાટમાં પેટ્રોલ અને ડીઝલ નું ટેન્કર અથડાયું હતું.
5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ
હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી કરી છે, આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો વરસાદ વરસશે. જેમા 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાના કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં હજુ પણ 34 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જસદણના ડોડીયાળા ગામમાં ધોધમાર વરસાદના પગલે નદીમાં પૂર આવ્યું હતું. તો સુરેન્દ્રનગરમાં પણ સાંબેલાધાર વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા હતા. આ તરફ બોટાદ અને ભાવનગરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ત્યારે હવે વરસાદને પગલે ગુજરાતના વિવિધ વિસ્તારમાં NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.