Tapi : સુરત-તાપી જિલ્લામાં ખાતર, દવા, બિયારણના 22 વિક્રેતાઓને નોટિસ
ખેડૂતોને (Farmers )ભેળસેળમુક્ત ખાતર, દવા અને બિયારણ મળી રહે તેમજ પાકને પણ કોઈ નુકશાન ન થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળ કરતા વિક્રેતાઓમાં ખળભળાટ મચી ગયો છે.
આજે એવી કોઈપણ વસ્તુ બાકી નથી રહી જેમાં ભેળસેળ ન કરવામાં આવે. ખાસ કરીને હવે તો ખેતરોમાં (Farm ) વપરાતી દવા બિયારણ અને ખાતરમાં (Fertilizer ) પણ ભેળસેળ જોવા મળે છે. જેના કારણે પાકને (Crop ) તો નુકશાન થાય જ છે, સાથે સાથે ખેડૂતોને પણ આર્થિક નુકશાનીનો સામનો કરવો પડે છે. ત્યારે ચોમાસાની ઋતુ પહેલાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને યોગ્ય અને ગુણવત્તાયુક્ત દવા-બિયારણ તેમજ ખાતર મળી રહે, એટલું જ નહીં ખેડૂતોને તેના ઉપયોગથી પાકને નુકસાન ના થાય એ માટે ખાસ વિચારણા કરીને સંયુક્ત ખેતી નિયામક(વિસ્તરણ) સુરત દ્વારા આંતર જિલ્લા સ્ક્વોડની રચના કરવામાં આવી હતી.
જેમાં મંગળવારે સુરત અને તાપી જિલ્લામાં ખાતર-બિયારણ અને દવા વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરી 22 જેટલા વિક્રેતાઓને શો કોઝ નોટિસો પાઠવવામાં આવી હતી. સુરત જિલ્લાના સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા વલસાડ જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એન.કે ગાબાણીની આગેવાની હેઠળ તેમજ સુરત જિલ્લામાં તથા નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક પી. આર ચૌધરીની આગેવાની હેઠળ તાપી જિલ્લામાં સ્ક્વોડ ટીમ દ્વારા ગત તા.25 મે થી તા.28 મે સુધી ખાતર, દવા અને બિયારણનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકિંગમાં દવા, બિયારણ અને ખાતરનું વેચાણ કરતા વિક્રેતાઓ ખાતર નિયંત્રણ હુકમ, બિયારણ અધિનિયમ તેમજ જંતુનાશક દવા અધિનિયમોના, નિયમ અનુસાર જ વેચાણ કરે છે કે કેમ તેમજ ગુણવત્તા નિયંત્રણને લગતી ચકાસણી ક૨ી દવા, બિયારણ અને ખાતરનાં શંકાસ્પદ લાગતા સુરતમાં 9 અને તાપી જિલ્લામાં 11 નમૂનાઓ ચકાસણી કરવામાં આવી હતી. આ નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. જો કે આ કામગીરીના ભાગરૂપે સુરત જિલ્લામાં રૂ.18.27 લાખ તથા તથા તાપી જિલ્લામાં રૂ.11.33 લાખ ના જથ્થાનું વેચાણ અટકાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ખેડૂતોને ભેળસેળમુક્ત ખાતર, દવા અને બિયારણ મળી રહે તેમજ પાકને પણ કોઈ નુકશાન ન થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળ કરતા વિક્રેતાઓમાં ખળભળાટ મચી ગયો છે.