Tapi: સોનગઢના ખેડૂતના પગમાં ફેલાયેલા કેન્સરની સુરત સિવિલમાં વિનામૂલ્યે કરાઈ સર્જરી
આ સર્જરી (Surgery) ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં રૂસ્તમ ચૌધરીને વિના મુલ્યે સારવાર કરવામાં આવી હતી.
તાપી (Tapi) જીલ્લાના એક ગામડામાં રહેતા શ્રમજીવી વૃદ્ધના પગમાં કેન્સર (Cancer) થવાથી તેઓ પથારીવશ બની ગયા હતા. આ વૃદ્ધને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના સર્જરી વિભાગના તજજ્ઞ ડોકટરોની ટીમ દ્વારા પગમાં સફળ સર્જરી કરીને વૃદ્ધને ફરી ચાલતાં કરી દેતા પરિવારજનોના ચહેરા ઉપર ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. નવી સિવિલ હોસ્પિટલના સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ તાપી જિલ્લાના સોનગઢ નજીકના બેસરુ ગામના વતની અને 70 વર્ષીય રૂસ્તમ નારીયા ચૌધરી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓને ખેતીકામ દરમિયાન ડાબા હાથ અને જમણા હાથમાં ઈજા પહોંચી હતી. જેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યાં સારવાર હેઠળ રૂસ્તમ ચૌધરીના જમણા હાથનું કાંડુ સહિત પંજાનો ભાગ કાપી નાંખવો પડયો હતો. એ પછી પગમાં સડો ફેલાતા સમગ્ર સડો પગની એડી સુધી પહોંચી ગયો હતો અને એક વર્ષ અગાઉ તેઓની સર્જરી કરવામાં આવી હતી, પરંતુ તકલીફ દુર થઈ ન હતી.
દરમિયાન ગત તા. 28 એપ્રિલના રોજ શ્રમિક રૂસ્તમ ચૌધરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે સર્જરી વિભાગમાં દાખલ કરાયા હતા. જેમાં તેમના જમણા પગમાં (મોલોઝેરીન અલ્સર) કેન્સર ફેલાયુ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. કેન્સરનું નામ સાંભળતા જ ચૌધરી પરિવારમાં ચિંતા પ્રસરી ગઈ હતી. પરંતુ સર્જરી વિભાગના તજજ્ઞ ડોકટર ટીમ દ્વારા વધુ ચેપ શરીરના અન્ય અંગો સુધી ફેલાય નહીં એ માટે પગને સાથળના ભાગથી કાપવાનું નક્કી કર્યુ હતુ.
જેમાં સર્જરી વિભાગના ડો.સંદીપ કંસલ, ઓથી વિભાગના ડો. રાહુલ પરમાર સહિતના ડોક્ટરોની ટીમે ભારે જહેમત ઉઠાવીને તેમની સફળ સર્જરી કરી હતી. આમ, આ સર્જરી ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલમાં રૂસ્તમ ચૌધરીને વિના મુલ્યે સારવાર કરવામાં આવી હતી. હવે રૂસ્તમ ચૌધરી સર્જરી કર્યા પછી હવે તેઓ કુત્રિમ પગ નાંખીને ચાલી શકશે. આમ, નવી સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફે સફળ સર્જરી કરતાં મુખ્ય તબીબી અધિક્ષક ગણેશ ગોવેકર અને આરએમઓ ડો. કેતન નાયકે સર્જરી વિભાગની કામગીરીને બિરદાવી હતી.