Tapi: લોકોને વ્યસનમુક્તિ તરફ લઈ જવા હવે બાળકો કરી રહ્યા છે પ્રયાસ, વેકેશનમાં રમત-ગમતના સ્થાને લોકોમાં લાવી રહ્યા છે જાગૃતિ
તાપી (Tapi) જિલ્લાના સ્વામિનારાયણ બાળ સંપ્રદાયના બાળકો હાલ બાળ પ્રવૃત્તિ નિર્દેશકોની આગેવાની હેઠળ જુદી-જુદી ટીમો બનાવી શહેરો અને વિવિધ વિસ્તારોમાં ફરીને વ્યસનમુક્તિની જાગૃતિ ફેલાવી રહ્યા છે.
શાળામાં ભણતા વિદ્યાર્થી (Students) આખુ વર્ષ વેકેશન પડવાની રાહ જોતા હોય છે અને વેકેશનમાં હરવા ફરવામાં, મોબાઈલ કે ટીવી જોવામાં સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે પણ તાપી (Tapi ) જિલ્લાના વ્યારા તાલુકાના કાટગઢ ગામે આવેલ બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ મંદિરના બાળ સભાના બાળકો હાલ એક અનોખી પ્રવૃત્તિમાં પોતાનો કિંમતી સમય ફાળવી રહ્યા છે. આ બાળકોએ વેકેશનમાં પોતાના રમત-ગમત અને મનોરંજનની પ્રવૃત્તિ પર ધ્યાન ન આપીને લોકોને વ્યસનમુક્ત (Detoxification) કરવામાં પોતાના પ્રયાસોનો ફાળો આપી રહ્યા છે.
રોજ લોકોને ભણાવે છે વ્યસન મુક્તિના પાઠ
તાપી જિલ્લાના સ્વામિનારાયણ બાળ સંપ્રદાયના બાળકો હાલ બાળ પ્રવૃત્તિ નિર્દેશકોની આગેવાની હેઠળ જુદી-જુદી ટીમો બનાવી શહેરો અને વિવિધ વિસ્તારોમાં ફરીને વ્યસનમુક્તિની જાગૃતિ ફેલાવી રહ્યા છે. આ બાળ ટીમ દ્વારા રોજના 100થી 150 જેટલા લોકોને વ્યસન મુક્તિના પાઠ સમજાવવામાં આવે છે અને તેઓને વ્યસન મુક્ત બનાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવે છે, જેને સમગ્ર જિલ્લાના નગરજનોએ સરાહનીય કાર્ય ગણાવ્યું છે. તેઓએ બાળકોની આ પ્રવૃતિઓ સાથે તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે.
વ્યસન મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ
બાળ સભાના બાળકો દરરોજ 100થી 150 વ્યક્તિઓને વ્યસન મુક્તિ માટે સમજાવે છે. અન્ય લોકોને વ્યસન મુક્ત બનાવવાનો બાળકોનો ભગીરથ પ્રયાસ સરાહનીય બન્યો છે. જુદા જુદા વ્યસનના કારણે ભારતભરમાં દર સેકન્ડે એક વ્યક્તિ મોતને ભેટે છે અને દર વર્ષે સરકાર દ્વારા વ્યસન મુક્તિ વ્યક્તિઓની સારવાર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વ્યસનના બંધાણી વ્યક્તિઓને વ્યસન મુક્ત બનાવવા માટે સરકાર સહિત વિવિધ એનજીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી વ્યસન મુક્ત ભારત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અન્યને પ્રેરણા આપે તેવુ બાળકોનું કામ
આ વ્યસન મુક્ત ભારત બનાવવા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની બાળ સભાના બાળકો પણ સહભાગી બની લોકોને વ્યસન મુક્ત બનાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. સંસ્થાના સભ્યોનું કહેવું છે કે બાળકો વેકેશનમાં અન્ય પ્રવૃત્તિઓમાં સમય બગાડે તેના કરતાં તેઓ લોકોને વ્યસનમુક્તિ માટે જાગૃત કરે તે અન્યોને પ્રેરણા આપે તેવું છે. બાળકોને પણ આ પ્રવૃત્તિમાં ખૂબ આનંદ મળે છે.