સાવધાન ! ગુજરાત હજી પણ સ્વાઇન ફ્લૂના જડબામાં, દેશમાં છેલ્લા 1 વર્ષમાં દેશમાં સૌથી વધુ મોતોની બાબતમાં બીજા નંબરે
દેશમાં સ્વાઇન ફ્લૂ મોટો રોગચાળો બની રહ્યો છે. ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં તેણે કહેર વરસાવ્યો છે. સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લૂના અત્યાર સુધી 2500થી વધુ કેસો સામે આવ્યા છે અને 77 જેટલા લોકોના મોત થયા છે. 56 મોતો સાથે રાજસ્થાન પહેલા નંબરે રહ્યું, તો ગુજરાતમાં 2018માં સ્વાઇન ફ્લૂથી કુલ […]
દેશમાં સ્વાઇન ફ્લૂ મોટો રોગચાળો બની રહ્યો છે. ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં તેણે કહેર વરસાવ્યો છે.
સરકાર તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લૂના અત્યાર સુધી 2500થી વધુ કેસો સામે આવ્યા છે અને 77 જેટલા લોકોના મોત થયા છે. 56 મોતો સાથે રાજસ્થાન પહેલા નંબરે રહ્યું, તો ગુજરાતમાં 2018માં સ્વાઇન ફ્લૂથી કુલ 29 લોકોના મોત થઈ ચુક્યા છે.
સ્વાઇન ફ્લૂના નોંધાયેલા કુલ કેસોમાં સૌથી વધુ 1,508 કેસો રાજસ્થાનમાં નોંધાયા છે, જ્યારે 438 કેસો સાથે ગુજરાત આ બાબતમાં બીજા સ્થાને છે. દિલ્હીમાં 487 કેસો સામે આવ્યા છે. હરિયાણાં સ્વાઇન ફ્લૂના 272 કેસો નોંધાયા.
સ્વાઇન ફ્લૂના વધતા રોગચાળાને જોતા આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં જ રાજ્યો સાથે બેઠક કરી અને તેમને નમૂનાની તપાસ વહેલાસર કરવા તથા હૉસ્પિટલોમાં પથારીઓ અનામત રાખવા માટે કહ્યુ હતું.
નોંધનીય છે કે તાજેતરમાં ભાજપ પ્રમુખ અમિત શાહ પણ સ્વાઇન ફ્લૂની ઝપટે આવી ગયા હતાં. તેમને દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
વાત જો ગુજરાતની કરીએ, તો ગુજરાતમાં 22 જાન્યુઆરી સુધી સ્વાઇન ફ્લૂના 397 કેસો નોંધાયા છે કે જેમાં 8 લોકોના મોત થયા છે. વર્ષ 2018માં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા 77 હતી અને 29 મોતો નોંધાયા હતાં.
ક્યાંથી આવ્યું સ્વાઇન ફ્લૂ અને શું છે લક્ષણો તથા બચવાના ઉપાયો ?
સ્વાઇન ફ્લૂ શ્વાસ સાથે જોડાયેલી બીમારી છે. આ બીમારી ઇન્ફ્લુએન્ઝા-એ ટાઇપના વાઇરસના કારણે થાય છે. આ બીમારીના કારણે ભૂંડને પણ ચેપ લાગે છે. ઈંફ્લુએન્ઝાના અનેક પ્રકારો હોય છે અને તેનો ચેપ સતત બદલાયા કરે છે. સ્વાઇન ફ્લૂના પ્રારંભિક કેસ વર્ષ 2009માં મેક્સિકોમાં નોંધાયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી લગભગ 100 દેશો સ્વાઇન ફ્લૂના ભરડામાં આવી ગયા છે.
પ્રયોગશાળામાં થયેલા પરિક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઉત્તર અમેરિકાના ભૂંડમાં જોવા મળતા જનીન સ્વાઇન ફ્લૂના વાઇરસના જનીન જેવાં હતાં જેના કારણે તે ‘સ્વાઇન ફ્લૂ’ના નામે ઓળખાયો. વૈજ્ઞાનિક ભાષામાં આ વાઇરસને ઈંફ્લુએન્ઝા (એચ1એન1) કહેવામાં આવે છે. અન્ય પ્રકારના એચ1 એન1ના કારણે વર્ષ 1918માં પણ રોગાચાળો ફેલાયો હતો. શરૂઆતમાં આ વાઇરસનો ચેપ ભૂંડના કારણે પ્રસરાતો હોવાનું મનાતું હતું પરંતુ આગળ જતા જાણવા મળ્યું કે આ વાઇરસ બે માણસોની વચ્ચે પણ પ્રસરાય છે.
ખાસ કરીને જ્યારે માણસને છીંક આવે ત્યારે અને ઉધરસ થાય ત્યારે સ્વાઇન ફ્લૂ પ્રસરી શકે છે. સામાન્ય રીતે થતી શરદી પણ એચ1એન1થી થાય છે, પરંતુ સ્વાઇન ફ્લૂ એચ1એન1ના એક ખાસ પ્રકારના ચેપથી થાય છે. સ્વાઇન ફ્લૂના લક્ષણો સામાન્ય ફ્લૂનાં લક્ષણો જેવાં જ છે, જેથી તેની ઓળખ લોહીના પરિક્ષણથી જ શક્ય છે. સ્વાઇન ફ્લૂના મુખ્ય લક્ષણો માથામાં દુ:ખાવો, તાવ, ગળામાં અસહજતાનો અનુભવ, ઉધરસ, શરીરમાં દુ:ખાવો અને શ્વાસ લેવામાં તકલીફ છે.
આ વાઇરસનો ચેપ ફેલાવાથી શરીરના કેટલાક અંગો કામ કરવાનું બંધ કરી દે છે, જેના કારણે મોત પણ થઈ શકે છે. સ્વાઇન ફ્લૂની સારવાર એક હદ સુધી થઈ શકે છે. શરૂઆતના તબ્બકે આનો ઉપચાર ટૅમી ફ્લૂ અને રેલેન્ઝા નામની વાઇરસ વિરોધી દવાથી કરવામાં આવી છે. ડૉક્ટરોના મતે આ દવા ફ્લૂને અટકાવી શકતી નથી પરંતુ તેની ઘાતક અસરો ઓછી કરી શકે છે. સ્વાઇન ફ્લૂથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય સ્વચ્છતાનું પાલન છે. જ્યાં ખૂબ જ ભીડ હોય તેવી જગ્યાઓએ જવાનું ટાળવું, ઉઘરસ ખાતા સમયે કે છીંક આવે ત્યારે મોઢા અને નાકને રૂમાલ કે કપડાથી ઢાકવાં. અને જે વ્યક્તિને ફ્લૂની અસર હોય તેનાથી અંતર જાળવી રાખવું જોઈએ. જાહેર સ્થળો પર જતા સમયે માસ્ક બાંધવું હિતાવહ છે.
[yop_poll id=798]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]