ભાજપની પ્રદેશ કારોબારીઃ વિપક્ષની ડિપોઝીટ જપ્ત થાય તે રીતે 2024ની ચૂંટણીમાં હેટ્રીક કરવા ભાજપ ઘડશે રણનીતિ
ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે. જ્યાં રાષ્ટ્રીય કારોબારીના આર્થિક, રાજકીય પ્રસ્તાવને સમર્થન આપવામાં આવશે. તો સાથે જ લોકસભા ચૂંટણી 2024 માટેના રોડ મેપ અંગે પણ ચર્ચા કરાશે.
સુરેન્દ્રનગરમાં ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો આજે બીજો દિવસ છે. આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સંબોધનથી કારોબારીની થશે શરૂઆત થવાની છે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીની જીતને લઈને અભિનંદન પ્રસ્તાવ પસાર કરાશે. ત્યારબાદ 2024ની લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરાશે. ચૂંટણી દરમિયાન કાર્યકરો અને મતદારોના ડેટાનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું અને ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેનું સેશન રાખવામાં આવ્યુ છે.
આ ઉપરાંત 3 જુદા-જુદા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારની યોજનાઓ, સહકાર, સામાજિક અને આર્થિક સુરક્ષા, ભાજપની સામાજિક ભૂમિકા અંગેનું પ્રેઝન્ટેશન છે. જ્યારે સહકાર ક્ષેત્રમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી સંદર્ભે પ્રેઝન્ટેશન કરાશે. આ પ્રેઝન્ટેશન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, જગદીશ પંચાલ અને સહપ્રભારી સુધીર ગુપ્તા કરશે.
કાર્યકરોથી લઈ મતદારો પર પણ ભાજપની મદાર
મહત્વનું છે કે આ પહેલા ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ 2024માં યોજાનારી લોકસભા અને આ વર્ષે યોજાનારી 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇને ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ગુજરાતમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત અંગે ચર્ચા થઇ. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતમાં ભાજપે કઇ રણનીતિ પર કામ કર્યું હતું તે અંગે માહિતી આપવામાં આવી હતી.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી શું છે?
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી પક્ષનુ સર્વોચ્ચ એકમ છે. તેમાં કુલ 80 સભ્યો છે. આ સિવાય 50 ખાસ આમંત્રિત સભ્યો અને 179 કાયમી આમંત્રિત સભ્યો હોય છે. આ સભ્યોમાં વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાન, પૂર્વ મુખ્ય પ્રધાન, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોરચાના વડાઓ, વિવિધ રાજ્યમાં પક્ષના પ્રભારીઓ, સહ પ્રભારીઓ અને સંગઠન સાથે સંકળાયેલા મહત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. આ એક એવી બેઠક હોય છે, કે રાષ્ટ્રીય અધ્યક્ષે રાષ્ટ્રીય કાર્યકારિણીની સંમતિ લીધા પછી જ નિર્ણયો લેવાના હોય છે.