Surendranagar: આધારકાર્ડ કાઢતા 6 તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટર સસ્પેન્ડ કરાયા, જાણો શું છે કારણ
હાલ સુરેન્દ્રનગર ઓફીસે માત્ર એક જ કોમ્પ્યુટર (Computer) કિટ ચાલુ હોય વધારે કીટની માંગણી કરવામાં આવી રહી છે. અપુરતી કિટને કારણે લોકોને નાનકડા કામ માટે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે અને ઘણી વખત લાઈનમાં ઉભા રહ્યા પછી પણ કામો થતા નથી.
સુરેન્દ્રનગર (Surendranagar News) જીલ્લામાં છ તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેની પાછળ ઘણા કારણો જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જેમકે કર્મચારીઓ આધારકાર્ડની કામગીરીમાં ઘણી બેદરકારી દાખવતા હતા. કાગળો ખોટા લીધા હતા, સ્કેનિંગમાં ઘણી ખરી ભુલ સામે આવી હતી તેમજ અન્ય ઘણી બેદરકારી સામે તમામને બેંગલોર ઓફિસથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી તરફ લખતર તાલુકાના કોમ્પ્યુટર ઓપરેટરને સમયસર પગાર ન મળતા ઓપરેટરે નોકરી છોડી દીધી હતી. આમ સાત તાલુકામાં આધારકાર્ડની કામગીરી બંધ છે.
વઢવાણ, ધ્રાંગધ્રા,મુળી, લીંબડી, થાનગઢ, સાયલાના ઓપરેટર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છ તાલુકામાં કોમ્પ્યુટર ઓપરેટર સસ્પેન્ડ થતાં આધાર કાર્ડનું કામ ઠપ્પ થયું હતું. જેના કારણે સુરેન્દ્ર નગર ઓફિસે અરજદારોની ભીડ જોવા મળી હતી. સુરેન્દ્રનગર ઓફિસમાં માત્ર રોજના 25થી 30 કાર્ડ કાઢી આપવાની ક્ષમતા છે. જેથી અન્ય તાલુકાનાં અરજદારો વહેલી સવારે સુરેન્દ્રનગર આવી જાય છતાં પણ આધાર કાર્ડનાં કામો ન થતાં ધરમનો ધક્કો ખાઈ પરત જાય છે. હાલ સુરેન્દ્રનગર ઓફિસે માત્ર એક જ કોમ્પ્યુટર કિટ ચાલુ હોય વધારે કિટની માંગણી કરવામાં આવી રહી છે. અપુરતી કિટને કારણે લોકોને નાનકડા કામ માટે કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે અને ઘણી વખત લાઈનમાં ઉભા રહ્યા પછી પણ કામો થતા નથી.
અરજદારો દ્વારા રજુઆત, તંત્ર દ્વારા આંખ આડા કાન
સુરેન્દ્રનગર જિલ્લાની ઓફિસમાં એક કિટ દ્વારા દિવસ દરમિયાન 25-30 કાર્ડ કાઢી આપવામાં આવતા હોય છે. જ્યારે સામે 100થી 200 જેટલા અરજદારો આધારની કામગીરી માટે આવતા હોય છે. જેમાંથી મોટાભાગના અરજદારોને ધરમ ધક્કો ખાવો પડતો હોય છે. જેથી દરેક તાલુકા મથકે આધારકાર્ડની કામગીરી શરૂ થાય તે માટે અરજદારોએ કલેકટર કચેરીમાં પણ અનેક વખત રજુઆતો કરી છે. પરંતુ અધિકારીઓ અને તંત્ર દ્વારા આ સમસ્યાને ઉકેલવામાં કોઈ રસ ન હોય તેવું નજરે ચડી રહ્યું છે.
સામાન્ય રીતે આધારકાર્ડની કામગીરી નિયત પોસ્ટ ઓફિસ અને બેંકની શાખામાં પણ કરવામાં આવતી હોય છે. પરંતુ લોકો પાસે તેની પુરી જાણકારી હોતી નથી અને માહિતીના અભાવમાં હાલાકી ભોગવવી પડતી હોય છે. વધારે ભીડ થવાને કારણે કર્મચારી અને અરજદારો વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવતા હોય છે.