સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા યોજાશે ‘એક તક પોલીસને’ કાર્યક્રમ, લોકોને ડર રાખ્યા વગર રજુઆત કરવા અપીલ
સુરેન્દ્રનગર જિલ્લામાં (Surendranagar News) લોક ઉપયોગી કામગીરી થઈ શકે તેમજ સમાજમાં પ્રવર્તતા તત્વોની વ્યાજખોરી અને ભૂમાફિયા જેવી પ્રવૃત્તિને લગામ લગાવી શકાય તે માટે જિલ્લા પોલીસ વડા હરેશભાઇ દૂધાત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં (Surendranagar News) પ્રજા અને જનતા વચ્ચે સંવાદનો સેતુ બને તેમજ લોકોમાંથી પોલીસના ડરના ભાવની જગ્યાએ મિત્રનો ભાવ જાગે તે માટે પોલીસે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેને નામ આપ્યું છે એક તક પોલીસને. સમાજમાં બનતા ગુનાઓ જેમ કે વ્યાજ ખોરી અને ભૂમાફિયાઓ સહિતના ત્રાસને અટકાવી શકાય તેમજ આવા તત્વોને સામે લાવીને તેમની સામે કડક કાર્યવાહી કરીને સમાજમાં દાખલો બેસાડી શકાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સમગ્ર જિલ્લાના લોકોને ભાગ લેવાની અપીલ છે. ખાસ કરીને એવા લોકો જે કોઈ પણ ઘટનાનો ભોગ બન્યા છે કારણકે આવા લોકોની ફરિયાદ અને રજૂઆત સાંભળવામાં આવનાર હોવાથી લોકોએ કોઈનો પણ ડર રાખ્યા વગર રજૂઆત કરવા જણાવાયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લોક ઉપયોગી કામગીરી થઈ શકે તેમજ સમાજમાં પ્રવર્તતા તત્વોની વ્યાજખોરી અને ભૂમાફિયા જેવી પ્રવૃત્તિને લગામ લગાવી શકાય તે માટે જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અગાઉ પણ આવા લોકસંપર્કના કાર્યક્રમ પ્રથમ તબક્કાના કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જીલ્લાના આસપાસના ગામોમાંથી જેમ કે, લીમડી, ધ્રાંગધ્રા વગેરેમાંથી લોકોના સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.
શું જણાવાયું છે પોલીસ યાદીમાં?
આથી તા.14-5-21ના રોજ સાંજે 4થી 8 કલાક સુધી તાલીમ ભવન એસપી કચેરી સુરેન્દ્રનગર ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં કોઈ વ્યક્તિએ નાણા ધીરનાર મંડળી પાસેથી નિયત કરતા વધુ વ્યાજ આપી લોન લીધી હોય તેમજ જમીન મકાનનો દસ્તાવેજ, ચેક અને તેમને આપેલ નાણા વ્યાજ ચૂકવ્યા બાદ પણ પરત ન કરતા હોય, અથવા માથાભારે શખસોએ જમીન તથા મિલકતો ઉપર ગેરકાયદે કબ્જો કરેલો હોય અને ખાલી ન કરતા હોય તેમની ફરિયાદ સાંભળવામાં આવશે. આથી કોઇનો પણ ભય રાખ્યા વગર રજૂઆત કરવા જિલ્લા પોલીસ વડાની યાદીમાં જણાવાયું છે.
કોરોનાકાળમાં પણ ગુજરાત પોલીસે ‘પોલીસ ગ્રામ્ય મિત્ર’ જેવા પ્રોજેક્ટની પહેલ કરી હતી
ગ્રામ્યવિસ્તારમાં વધતા કોરોના સંક્રમણના કેસોમાં પોલીસ લોકોને અનેક રીતે મદદરૂપ થઈ હતી. કોરોના મહામારીને નાથવા પોલીસે માસ્ક વિતરણ, જરૂરી માર્ગદર્શનથી લઈ કાળાબજારીનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ ગ્રામ્ય મિત્ર યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 3 હજાર કરતાં પણ વધુ ગ્રામ્ય પોલીસ મિત્રો પોતાનું યોગદાન આપી પોલીસને કોરોનાની જંગ જીતવામાં મદદ કરી હતી. લોકડાઉન કે પ્રતિબંધોના સમય ગાળામાં ગ્રામ્ય પોલીસે મિત્ર પોતાના ફળિયા કે મહોલ્લામાં પડતી વિશેષ જરૂરીયાત અંગે પોલીસ સાથે સંકલનમાં રહીને લોકોને મદદ કરી હતી. સાથો સાથ પોલીસ દ્વારા તેમને આપવામાં આવેલી ઈમરજન્સી કીટથી ગ્રામજનોને કોરોના સમયમાં પડતી હાલાકીમાં પણ મદદરૂપ થઈ હતી.