અનોખા ગણપતિ : સુરતમાં એક મૂર્તિકારે પેપરની પસ્તીમાંથી બનાવી ગણેશજીની પ્રતિમા
નવાઇની વાત તો એ છે કે આ ગણપતિની (Ganesh ) પ્રતિમા બનાવવા પાછળ તેમને એક રૂપિયાનો ખર્ચો પણ કરવો પડ્યો નથી.
ગણેશ (Ganesh )ઉત્સવ હવે નજીક છે ત્યારે ગણેશભક્તો ગણેશજીને આવકારવાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ગણપતિનાં એક ઉત્સવ(Festival ) પાછળ જ ગણેશ આયોજકો હજારોથી લઇને લાખો રૂપિયાનો ખર્ચો કરતાં હોય છે. જેમાં ગણેશજીની મુર્તિ,મંડપથી લઇને ડેકોરેશન અને વિસર્જન સુધી ગણેશ આયોજકો લખલુંટ ખર્ચો કરતાં અચકાતા નથી. પણ સુરતનું એક ગણેશ મંડળ એવું છે જેમણે ગણેશ સ્થાપનાથી લઇને વિસર્જન સુધી એક રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો નથી.સુરતનાં સરથાણામાં રહેતાં એક મંડળે છેલ્લા છ વર્ષથી એક નવો ચીલો શરૂ કર્યો છે. અને તે છે ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો.
પેપરમાંથી તૈયાર કરાઈ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા
આમ,તો માટીની મુર્તિ પણ ઇકોફ્રેન્ડલી જ ગણાય છે..પણ તેને બનાવવા પાછળ ખર્ચો પણ થાય છે. એટલું જ નહિં આ મુર્તિ ખંડિત થવાનો પણ ભય રહેલો હોય છે. ત્યારે સુરતમાં સરથાણા વિસ્તારમાં રહેતાં આ ગણેશ મંડળે તૈયાર કરી છે પસ્તીમાંથી બનાવેલી ગણેશજીની પ્રતિમા. જેમાં તેમણે સોસાયટીમાંથી લોકોના ઘરેથી રદ્દી થઇ ચુકેલા પેપર લઇને તેનો માવો બનાવીને તૈયાર કર્યા છે આ સુંદર ગણેશજી. અંદાજે 80 કિલો પેપરમાંથી તૈયાર કરવામાં આવી છે સાડા પાંચ ફુટની ગણેશજીની પ્રતિમા.
ફક્ત એક અઠવાડિયાની અંદર જ આ પ્રતિમા તૈયાર કરાઇ છે. અને હજી રંગરોગાન સાથે આ પ્રતિમા સંપુર્ણ તૈયાર પણ થઇ જશે. નવાઇની વાત તો એ છે કે આ ગણપતિની પ્રતિમા બનાવવા પાછળ તેમને એક રૂપિયાનો ખર્ચો પણ કરવો પડ્યો નથી. મૂર્તિ તૈયાર કરનાર સંજયભાઈનું કહેવું છે કે અમે વેસ્ટમાંથી જ આ પ્રમાણે મુર્તિ તૈયાર કરીએ છીએ. પેપરમાંથી માવો બનાવીને મુર્તિ તૈયાર કરીએ છીએ. અમારો મુખ્ય આશય પર્યાવરણનું રક્ષણ થાય એ જ છે. લોકોને પણ હું અપીલ કરૂ છું કે માત્ર પેપર અને પાણીમાંથી જ ગણપતિ બની શકે છે તો તેઓ પણ ઘરે આ જ પ્રકારે ગણપતિ બનાવે.
લોકોમાં પણ આવી જાગૃતિ
તેઓ જણાવે છે છેલ્લા ઘણા વર્ષથી આ મંડળ દ્રારા આ જ પ્રમાણે ઇકોફ્રેન્ડલી કાગળની પ્રતિમા બનાવવામાં આવી રહી છે. અને તેમાં પણ હવે તો લોકોમાં પણ ખાસ જાગૃતિ આવી છે. લોકોનું પણ માનવું છે કે પીઓપી કે માટીની ગણપતિની પ્રતિમા બેસાડવાની જગ્યાએ કાગળથી બનાવેલા ગણપતિ બેસાડે તો પર્યાવરણને બચાવી શકાય તેમ છે. એક સ્થાનિક ના જણાવ્યા પ્રમાણે અમે એપાર્ટમેન્ટની બધી બહેનો ઘરેથી પેપર લઇને ભેગા થઇ છે અને તેનું કટીંગ કરીને આ ગણપતિ બનાવવા મદદ કરીએ છીએ.
વિસર્જન બાદ ખાતર બનાવાય છે
આ ગણપતિની બનાવટની જેટલી ખાસિયત છે તેટલી જ ખાસ વાત તેનાં વિસર્જનની પણ છે. કારણ કે તેનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનું નથી હોતું.પોતાના જ વિસ્તારમાં ગણપતિ ફેરવીને તેનું વિસર્જન પણ ઇકોફ્રેન્ડલી રીતે કરીને તેનું ખાતર બનાવીને વનસ્પતિ માટે વાપરવામાં આવે છે..
સુરતમાં પણ આ વર્ષે લગભગ 30,000 જેટલી નાની મોટી ગણેશજીની મુર્તિઓ સ્થાપિત થવા જઇ રહી છે..પણ જ્યારે જ્યારે પણ ગણપતિ ઉત્સવ આવે છે ત્યારે તેનાં સમાપન બાદ પ્રદુષણનો એક ગંભીર પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. ત્યારે કાગળથી તૈયાર કરાયેલાં આ ગણપતિ પણ પર્યાવરણ માટે નુકશાનકારક નહિં હોવાથી ગણેશ આયોજકોએ પીઓપીની પ્રતિમાને છોડીને આ પ્રકારે ઇકોફ્રેન્ડલી પ્રતિમા તરફ વળવાનો સમય આવી ગયો છે..અને કદાચ તેનાથી જ આપણે ગણેશ ઉત્સવને સાચા અર્થમાં સાર્થક કરી શકીશું.