Surat: ગોપીપુરામાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી, મકાન ખાલી હોવાથી જાનહાની ટળી
વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ઠેર ઠેર આવેલા વર્ષો જુના અને જર્જરિત મકાનો જીવના જોખમ સમાન દેખાઈ રહયા છે. દરમિયાન ગોપીપુરા વિસ્તારમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી થઇ ગયું હતું.
Surat: વરસાદી માહોલ વચ્ચે શહેરમાં ઠેર ઠેર આવેલા વર્ષો જુના અને જર્જરિત મકાનો જીવના જોખમ સમાન દેખાઈ રહયા છે. દરમિયાન ગોપીપુરા વિસ્તારમાં વર્ષો જૂનું જર્જરિત મકાન ધરાશાયી થઇ ગયું હતું. જોકે મકાન વર્ષોથી ખાલી હોવાથી જાનહાની ટળી ગઈ હતી. પરંતુ આજુબાજુના અન્ય રહીશો ગભરાઈ ગયા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયરના જવાનો તેમજ સ્થાનિક ઝોનના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જરૂરી કામગીરી શરૂ કરી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોપીપુરા સુભાષ ચોક ખાતે ગ્રાઉન્ડ સહીત બે માળનું જૂનું અને જર્જરિત મકાન આવેલું છે. આ મકાનનો પહેલા અને બીજા માળનો છજ્જો સહિતનો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકો તેમજ રહીશો ગભરાઈ ગયા હતા. ઘટના અંગે ફાયર કંટ્રોલને જાણ કરવામાં આવતા નવસારી બજાર ફાયર સ્ટેશનથી ફાયરના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કાટમાળ હટાવવા સહીતની કામગીરી કરી હતી.
ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આ મકાન વર્ષો જૂનો અને જર્જરિત થઇ ગયો હતો. જેનો પહેલા અને બીજા માળનો છજ્જો અને ગેલેરીનો ભાગ પડી ગયો હતો. એટલું જ નહીં છેલ્લા 25 વર્ષથી આ મકાનમાં કોઈ રહેતું ન હતું અને ખાલી હતું. જેથી ઈજા જાનહાની ટળી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા સ્થાનિક ઝોનના બિલ્ડીંગ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા અને મકાન ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, ચોમાસુ શરૂ થતા જ જર્જરિત બિલ્ડીંગનો પડવાનો ભય સૌથી વધારે રહેલો છે. તેવામાં સુરત મહાનગરપાલિકાએ ઝોન પ્રમાણે આવી મિલકતોને નોટિસ આપીને તેને ઉતારવાની અથવા તો તેને તાત્કાલિક રીપેર કરવાની કામગીરી શરૂ કરી છે.