Surat : કોરોના સંક્ર્મણે ગતિ પકડતા સિવિલમાં વોર્ડ અને ઓપીડી ફરી એક્ટિવ કરાઈ
ત્રીજા માળે એક અલાયદો વોર્ડ(Ward ) શરૂ કરવામાં આવ્યો છે.જ્યાં ફક્ત હોસ્પિટલના ડોકટર,નર્સીંગ સ્ટાફ પોઝિટિવ આવશે ત્યારે તેમને દાખલ કરવામાં આવશે.
સુરતમાં (Surat ) અત્યાર સુધી શાંત પડેલો કોરોનાના કેસો(Corona ) ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં(Cases ) વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. કોરોના સંદર્ભે નવી સિવિલ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ત્યાર બાદથી જે તૈયારીઓ શરૂ કરવા આવી છે તે એ મુજબ છે કે નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે એક્ટિવ કરી દેવામાં આવી છે.
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોરોના સંક્ર્મણની હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર દ્વારા વ્યવસ્થાઓના ભાગરૂપે જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોવીડ હોસ્પિટલ જે અત્યાર સુધી નિર્જીવ અવસ્થામાં હતી તેને ફરીથી એક્ટિવ કરી દેવામાં આવી છે. પ્રારંભિક તૈયારીઓમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વોર્ડ અને ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય ડોકટર,નર્સીંગ અને અન્ય સ્ટાફની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં ત્રીજા માળે એક અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.જ્યાં ફક્ત હોસ્પિટલના ડોકટર,નર્સીંગ સ્ટાફ પોઝિટિવ આવશે ત્યારે તેમને દાખલ કરવામાં આવશે. વધુમાં આસિસ્ટન્ટ આરએમઓ ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિઓને ધ્યાને રાખીને અને વ્યવસ્થાના ભાગરૂપે કોવિડ હોસ્પિટલને વેન્ટિલેટર,ઓક્સિજન સહિતના સારવારના સાધનો સાથે ફરીથી એક્ટિવ કરી દેવામાં આવી છે. એટલે કે ત્રીજી લહેરમાં જે રીતે વ્યવસ્થાઓ હતી તે પ્રકારની વ્યવસ્થાઓ ફરીથી કરવામાં આવી રહી છે. જોકે શહેરીજનો પેનિક થવાની જરૂર નથી સાવચેતી રાખવી અને કોવીડના લક્ષણો જણાય તો તાત્કાલિક અને સમયસર તપાસ કરાવી લેવી.
નવી સિવિલમાં ડોકટર પોઝિટિવ
ડો.ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના ટીબી અને ચેસ્ટ વિભાગનો ડો.ચિંતન પટેલ કોરોના પોઝિટિવ થયો છે.જેથી તેને હાલમાં સારવાર માટે દાખલ કરવાં આવ્યા છે. ડોકટર સાથે અત્યારે કુલ પાંચ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે ગઈ કાલે છ દર્દીઓ ઓપીડીમાં તપાસ માટે આવ્યા હતા. અત્યાર સુધી વોર્ડ અને ઓપીડી શૂન્ય હતી, જોકે હવે ધીરે ધીરે કેસો વધવા લાગ્યા છે એટલે વોર્ડ અને ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે.