Surat : છેતરપીંડીના વઘતા કેસના પગલે વેપારીઓએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વિડીયો કોન્ફરન્સથી રજૂઆત કરી
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ પણ આ મામલે યોગ્ય તપાસ કરી છેતરપીંડી કરનારા વિરુદ્ધ કડક પગલા લેવાની ખાતરી આપી છે.હાલમાં તો છેતરપીંડીનો 30 કરોડ નો આંકડો છે. પરંતુ વધુ કેસો સામે આવતા આંક 50 કરોડ કરતા વધી શકે છે.
ગુજરાતમાં સુરતની (Surat) ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટના 158 થી વધુ વિવર્સ જોડે આચરવામાં આવેલ કરોડો રૂપિયાની છેતરપિંડીના (Fraud)બનાવમાં આજ રોજ સુરતના ટેક્સટાઇલ વેપારીઓની સંસ્થા ફોગવા દ્વારા રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) જોડે વિડીયો કોન્ફરન્સ યોજી રજુઆત કરવામાં આવી છે. ફોગવાએ જણાવ્યું છે કે ગૃહમંત્રીએ તમામ પ્રકારની માહિતી મેળવી છે અને કોઈને છોડવામાં નહિ આવે તેવી ખાતરી આપી છે.આ બાબતે સુરત પોલીસ કમિશનર દ્વારા ગંભીરતાથી લઈ ને તાત્કાલિક જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓ ને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ ગૃહમંત્રીને રજુઆત કરી
સુરતના વરાછા સ્થિત ગ્લોબલ ટેકસ્ટાઈલ્સ માર્કેટના વેપારીઓ જોડે ઠગબાજ ત્રિપુટી દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે.સુરતના 158 જેટલા વિવર્સ પાસેથી કરોડો રૂપિયાનો કાપડ નો માલ ઉધારપેટે લઈ ત્રિપુટી રાતોરાત ભૂગર્ભમાં ઉતરી જતા વેપારીઓ દોડતા થયા છે.છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ ફોગવામાં રજૂઆત કરતા આજ રોજ સુરતના સીટી લાઈટ સ્થિત કાર્યાલય ખાતે રાજ્ય ગૃહમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.જેમાં ફોગવા પ્રમુખ સહિત છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ ગૃહમંત્રીને રજુઆત કરી છે.
50 કરોડ કરતા વધુ આક વધી શકે છે
જ્યાં ગૃહમંત્રીએ પણ આ મામલે યોગ્ય તપાસ કરી ઠગબાજ ત્રિપુટીઓ સામે કડક પગલાં ભરવાની ખાતરી આપી છે.હાલમાં તો આ ચિટિંગ નો આંકડો વેપારીઓ કહી રહ્યા છે તે પ્રમાણે વાત કરવામાં આવે તો 25 થી 30 કરોડ નો આંકડો છે પણ હજુ વેપારીઓ સામે આવ્યા નથી 50 કરોડ કરતા વધુ આક વધી શકે છે.
ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ
ટ્રેડર્સ અગ્રણી અશોક જીરાવાલા જણાવ્યું કે આ ઠગ ટોળકી દ્વારા કરોડો રૂપિયાનું ઉઠમણું કર્યું છે અને તેના કારણે ટેક્સ્ટાઇલ માર્કેટમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે. સાથે જે દલાલ મારફતે વેપારીઓનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે આ બાબતે સુરત પોલીસ કમિશનર ને પૂછતાં પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કહેવામાં આવ્યું કે આ મામલે એક ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
જેમાં ફરિયાદ નોંધાય તે બાબતે તપાસ શરૂ કરી છે. જ્યારે વધુમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિશ્વાસ આપ્યો છે કે વેપારીઓની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે.મહત્વનું એ છે કે સુરત પોલીસ દ્વારા ચીટર લોકો જેમને જ્યાં માલ મૂક્યો છે ત્યાં તેમની ઓફિસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.