Surat : નવી સિવિલ ખાતે અલાયદી વ્યવસ્થા સાથે હાજીઓ માટે આજથી વેક્સિનેશનનો પ્રારંભ
દક્ષિણ ગુજરાતની (South Gujarat ) સૌથી મોટી ગણાતી સુરત સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરીને તંત્રે હજયાત્રીઓને મોટી રાહત આપી છે
બકરી-ઈદ પર્વ નિમિત્તે દર વર્ષે સુરત (Surat ) અને ગુજરાતમાંથી (Gujarat ) લાખોની સઁખ્યા મુસ્લિમ (Muslim ) બિરાદરો હજ કરવા જતા હોય છે. જેથી સરકારી ગાઇડલાઇન મુજબ હજ પર જતા પહેલા તેમનું જરૂરી વેક્સિનેશન અને મેડિકલ તપાસ કરાવવાની હોય છે. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે અને આવતી કાલે એમ બે દિવસ સુધી અલાયદી વ્યવસ્થા સાથે હાજીઓ માટે વેક્સિનેશનની કામગીરી શરુ કરવામાં આવી છે.
નવી સિવિલ હોસ્પિટલના અધિકારીઓ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે અને આવતી કાલે હજ યાત્રીઓ માટે વેક્સીનેશન કેમ્પની કામગીરી કિડની હોસ્પિટલ બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે શરૂ કરવામાં આવી છે.વેક્સિનેશનની આ કામગીરી આજરોજ અને આવતી કાલે સવારે 9 કલાક થી બપોરે 1 કલાક તેમજ 2 થી 5 કલાક સુધી ચાલશે.
વધુમાં જણાવ્યું હતું કે હજ યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુ એ કેસબારી, સ્ટાફની અલાયદી સુવિધા ઉભી કરવામાં આવેલ છે.હજ યાત્રીએ પોતાની સાથે આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ પૈકી કોઇપણ એક) અસલ,પાસપોર્ટ અસલ અને તેની ઝેરોક્ષ નકલ તથા હજ કમિટી દ્વારા આપેલ કવર નંબર લાવવાનો રહેશે. આ વેક્સીનેશન ફક્ત ગુજરાત રાજ્ય હજ કમિટી મારફ્તે જતા સુરત જિલ્લાનાં હજ યાત્રીઓ માટે જ રહેશે.
નોંધનીય છે કે છેલ્લા બે વર્ષ કોરોનાના કારણે કોઈપણ પ્રકારની ધાર્મિક યાત્રાઓ થઇ શકી ન હતી. હવે કોરોના બાદ બધી સ્થિતિ થાળે પડી છે, ત્યારે અમરનાથ યાત્રા હોય કે હજની યાત્રા હોય લોકો મોટી સંખ્યામાં આ ધાર્મિક યાત્રાના ભાગીદાર થવા જોડાઈ રહ્યા છે. અમરનાથ યાત્રા માટે પણ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવા માટે મોટો ધસારો જોવા મળ્યો હતો.
તે જ પ્રમાણે હવે મુસ્લિમ બિરાદરો હજ કરવા માટે જવાની તૈયારી કરતા હોવાથી તેમના માટે વેક્સિનેશન પણ જરૂરી છે. ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરત સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરીને તંત્રે હજયાત્રીઓને મોટી રાહત આપી છે. જ્યાં ફક્ત સુરત જ નહીં પણ જિલ્લામાંથી પણ હજયાત્રીઓ વેક્સિનેશન માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.