Surat: વરસાદ ખેંચાતા રેઇનકોટના વિક્રેતાઓને આવ્યો રડવાનો વારો, વેચાણમાં 20 ટકા સુધીનો ઘટાડો
એક તરફ કોરોનાનો માર, ત્યારે બીજી તરફ વરસાદ પણ પાછો ખેંચાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં રેઇનકોટ વિક્રેતાઓને રડવાનો વારો આવ્યો છે.
હાલના સમયમાં કોરોનામાં થોડી રાહત થઈ છે કારણ કે હવે કોરોનાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ કોરોનાએ ફક્ત શારીરિક કે માનસિક રીતે જ નહીં લોકોને આર્થિક રીતે પણ તોડી નાંખ્યા છે. જેની અસર લગભગ દરેક ક્ષેત્ર પર જોવા મળી છે.
હાલ ભલે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હોય પણ કોરોનાના કારણે આર્થિક રીતે લોકો ભાંગી પડ્યા છે. જેની સીધી અસર રેઇનકોટના વેચાણ પર પણ પડી રહી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે 20 ટકા જેટલી અસર વેચાણ પર પડી છે.
સુરતના નાનપુરા વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી રેઇનકોટનું વેચાણ કરતા ભૃગેશ દમણિયા કહે છે કે આખા ગુજરાતમાં તેઓ એકમાત્ર એવા વિક્રેતા છે જે લોકોને માપ લઈને રેઇનકોટ સીવી આપે છે. જેથી સિંગલ અથવા તો ટ્રિપલ એક્સેલ સાઈઝ ધરાવતા લોકો પણ અહીં માપ આપીને રેઇનકોટ સિવડવવા આવે છે.
પરંતુ છેલ્લા 15 વર્ષમાં નથી જોઈ એવી મંદી હાલ તેઓ જોઈ રહ્યા છે. જેનું કારણ છે કે રેઇનકોટ બનાવવાના મટીરીયલ, લેબર વર્ક સહિતના ભાવો વધારે ચૂકવવા પડી રહ્યા છે. જેના લીધે તેઓએ પણ વધુ ભાવ લેવા પડે છે.
અધૂરામાં પૂરું આ વર્ષે ચોમાસામાં એકાદ બે ઝાપટા આવી ગયા બાદ ફરી વરસાદે લાંબો વિરામ લીધો છે. જેના કારણે લોકોને હાલ રેઇનકોટ ખરીદવાની કોઈ જરૂર લાગતી નથી. અને તેથી પણ લોકો રેઇનકોટ નથી ખરીદી રહ્યા.
આવનાર દિવસોમાં જો સારો વરસાદ આવે છે. તો થોડીઘણી આશા છે કે ગયા વર્ષે કોરોનાના કારણે બગડેલું માર્કેટ આ વર્ષે થોડું સુધરે અને વેચાણ વધે. હાલ કોરોનાના કેસો ઘટતાં રેઇનકોટ વિક્રેતાઓને રાહત હતી કે વરસાદ શરૂ થતા રેઇનકોટનું વેચાણ વધશે. પણ આર્થિક મંદી અને વરસાદ ખેંચાતા તેમની આ આશા પર પણ પાણી ફરી વળ્યું છે.
આ પણ વાંચો: Surat: આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતા રહીશોના સ્થળાંતર માટેનું કોકડું ઉકેલાયું, જાણો વિગત
આ પણ વાંચો: સુરતના આ મંદિરે ફૂલ કે નારિયેળ નહીં, પરંતુ સિગારેટ ચડાવવાની માન્યતા, જાણો