Surat : તહેવારોમાં મહેમાનોને મીઠાઈ-નાસ્તો કરાવવા વધુ રૂપિયા ખર્ચવા રહેવું પડશે તૈયાર, ભાવમાં 15 ટકા સુધીનો વધારો
18 જુલાઈએથી સરકારે જે જીએસટીનો નવો નિયમ લાગુ કર્યો છે, તેની અસર મીઠાઈ અને ફરસાણના ભાવ પર જોવા મળી રહી છે.
આગામી થોડા દિવસોમાં તહેવારોની (Festivals ) સીઝન શરૂ થવા જઈ રહી છે. પરંતુ તહેવારોમાં ઘરે આવતા મહેમાનોનું (Guest ) મોઢું મીઠું કરાવવા અને તેમને નાસ્તો કરાવવા માટે લોકોએ હવે થોડા વધારે રૂપિયા ખર્ચવા પડશે એ નક્કી છે, કારણ કે આ વખતે મીઠાઈ અને ફરસાણના ભાવમાં 15 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે કેન્દ્ર સરકારે દૂધ, દહીં, છાશ અને લોટ સહિતની ચીજવસ્તુ પર પાંચ ટકા જીએસટી લાગુ કર્યો છે.
તારીખ 10 જુલાઈથી ચાતુર્માસ શરૂ થવાની સાથે જ તહેવારોની સીઝન શરૂ થઇ ગઈ છે. આગામી થોડા દિવસોમાં જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો આવી રહ્યા છે. સુરતીઓ તહેવારોની ઉજવણીમાં જરા પણ પાછી પાની કરતા નથી. લોકો મીઠાઈ અને ફરસાણની ખરીદી પણ તહેવારોમાં અચૂક કરે છે. ત્યારે તેના બુકીંગ પણ અત્યારથી જ શરૂ થવા લાગ્યા છે.
ત્યારે 18 જુલાઈએથી સરકારે જે જીએસટીનો નિયમ લાગુ કર્યો છે તેની અસર મીઠાઈ અને ફરસાણના ભાવ પર જોવા મળી રહી છે. મીઠાઈના ભાવમાં પણ વધારો થતા હવે લોકોએ મહેમાનો અને સબંધીઓનું મોઢું મીઠું કરાવવા માટે વધારે રૂપિયા ચૂકવવા પડશે.
મીઠાઈના ભાવ વધ્યા :
એક મીઠાઈ વિક્રેતાના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે જે કાજુ કતરીના ભાવ 800 રૂપિયા કિલો હતા તે આ વર્ષે વધીને 840 રૂપિયા થઇ ગયા છે. ડ્રાય ફ્રૂટ્સ, દૂધ, લેબર ચાર્જ વગેરેમાં ભાવ વધારો થતા અમારે પણ મીઠાઈના ભાવમાં વધારો કરવો પડ્યો છે.
ફરસાણના ભાવમાં પણ કરવો પડ્યો વધારો
જયારે એક ફરસાણ વિક્રેતાના જણાવ્યા પ્રમાણે પહેલા જે માલ પર ટેક્સ નહોતો લાગતો તેના પર પણ હવે ટેક્સ લાગ્યો છે. જેના કારણે અમારે ફરસાણની કિંમતમાં વધારો કરવો પડ્યો છે. ફરસાણના ભાવમાં કિલો દીઠ 25 થી 30 રૂપિયા સુધીનો વધારો થયો છે. જે ફરસાણ પહેલા 200 થી 300 રૂપિયામાં વેચાતું હતું તે આજે 220 થી 330 રૂપિયામાં વેચાતું થઇ ગયું છે.
આમ એક વસ્તુ નક્કી છે કે મોંઘવારી ની અસર હવે મીઠાઈ અને ફરસાણના ભાવ પર પણ પડી છે. લોકોએ આ મોંઘવારીમાં તહેવારો ઉજવવા માટે થોડા વધારે રૂપિયા ખર્ચવા પડશે એમાં કોઈ બેમત નથી.