Surat : તારો ચેપ મારા ફૂલ જેવા સંતાનોને લાગી જશે, એવું કહીને બે દીકરાઓએ વૃદ્ધ પિતાને રઝળતા મૂકી દીધા
કાર્યકરે જણાવ્યું હતું કે, તેમના પુત્રનો સંપર્ક પણ કર્યો હતો, પણ તેઓ વૃદ્ધને ઘરે લઇ જવા રાજી ન હતા. વૃદ્ધાશ્રમમાં મુકવા તેઓ તુરંત તૈયાર થઇ ગયા.
જે માતા-પિતા (Parents) પોતાના સંતાનોની ખુશી માટે આખા જીવનની (Life) કમાઈ ખર્ચી નાંખે છે. જે માતા-પિતા તેમના સંતાનોના હાથ પકડીને તેમના જીવનનું પ્રથમ ડગલું માંડવામાં મદદ કરે છે. ત્યારે પોતાના સંતાનોને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે એ માટે માતા-પિતા હંમેશા તે સંકટોની સામે સામી છાતીએ ઊભા રહે છે. પરંતુ જયારે ઘડપણમાં આ માતા-પિતાને તેમના સંતાનોની ખરી જરૂર હોય છે ત્યારે તેમના કપરા દિવસોમાં સંતાનો કેમ ટેકો આપવામાં કાચા પડી જાય છે ?
સંતાનો કેમ તેમના માતા-પિતાને કોઈ નકામી વસ્તુ હોય તેમ ઘરમાંથી બહાર કાઢી મૂકે છે ? આ વાક્યો હતા સિવિલ હોસ્પિટલના પગથિયે બે-બે પુત્રો દ્વારા તરછોડી દેવાયેલા એક વૃદ્ધ પિતાના. આંખોમાં આંસુ સાથે તેઓ કહી રહ્યા હતા કે, તારો ચેપ અમારા ફૂલ જેવા સંતાનોને લાગી જશે, હવે ઘરે પાછો આવતો નહી. એવું કહી મારા પુત્રો મને અહીં સિવિલમાં મૂકી ગયા છે.
આટલું કહેતા 70 વર્ષીય મીઠારામ શ્રવણ પાટીલની આંખો આંસુઓથી ભરાઈ જાય છે. આજના કળિયુગના સમયમાં લોહીના સંબંધોને પણ સ્વાર્થની હવા લાગી ગઈ હોય તેવો આ કિસ્સો સમાજ માટે આંખ ઉઘાડનારો છે. આ વૃદ્ધ પોતે મહારાષ્ટ્રના વતની હોવાનું જણાવે છે, તેઓ સંતાનોની સાથે ઉધના પાસે રહેતો હોવાનું જણાવે છે.
તેઓને જમણા પગે અચાનક સોજો આવ્યા બાદ મોટું જખમ થઇ ગયું છે, જે બાદ સંતાનોએ તેમની સાથે અછૂત જેવું ઓરમાયું વર્તન શરૂ કર્યું હતું. તેમના સંતાનો તેમને એક દિવસ સારવાર માટે નવી સિવિલમાં લઈ જવાનું કહી લઈ આવ્યા હતા, પણ તે પછી તેમને તરછોડીને જતા રહ્યા છે.
મીઠારામને એવું હતું કે વૃદ્ધાસ્થામાં તેમના સંતાનો તેમની લાઠી બનશે, એવી આશાએ જે સંતાનોને મોટા કરી પગભર કર્યા તે સંતાનોએ જ તેમને હડધૂત કરી દીધા. દર દર ભટકવા પર તેમને રહેવા દીધા. તેઓ વધુમાં કહે છે કે, તેમની એક પુત્રી પણ છે, પણ તેણીનો સંપર્ક થતો નથી. તેઓ ઉમેરે છે કે ભલે સગાઓએ તેમનો સાથ છોડી દીધો હોય પણ તેઓ પગની નિયમિત સારવાર કરાવશે અને સન્માનભર્યું જીવન જીવશે.
તેમની મદદે આવેલા સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે સિવિલ કેમ્પસમાં એક વૃદ્ધ રઝળી પડ્યા હોવાની જાણ થતાં તેઓએ તેમની મુલાકાત લીધી હતી. તેમના કહેવા પર તેઓએ તેમના પુત્રનો સંપર્ક પણ કર્યો હતો. પણ તેઓ વૃદ્ધને ઘરે લઇ જવા રાજી ન હતા. પણ વૃદ્ધાશ્રમમાં મુકવા તેઓ તુરંત તૈયાર થઇ ગયા. જેથી સામાજિક કાર્યકર દ્વારા આ વૃદ્ધને હાલ ડિંડોલી વૃદ્ધાશ્રમમાં મુકવામાં આવ્યા છે. અત્યાર સુધી 850 જેટલા વૃધ્ધોને તેમના દ્વારા આશરો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Bhavnagar : રસીનો જથ્થો ખૂટતા શુક્રવારે બાળકોનું રસીકરણ બંધ રહેશે
આ પણ વાંચો : પીએમ મોદીની સુરક્ષામાં ચૂક માટે પંજાબના મુખ્યમંત્રી રાજીનામું આપે : સીઆર પાટીલ