Surat : કિન્નરનો વેશ ધારણ કરીને લોકોને ધારેલા કામો થઇ જશે તેવું કહી છેતરતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા
મહત્વની વાત છે કે બાબુ અને મહેશ નામના ઈસમ સામે અલગ અલગ કુલ 15 જેટલા ગુના નોંધાયા છે. સુરત શહેરમાં ફરી આવી ચીટીંગ કરતી ગેંગ સક્રિય થઈ છે.
સુરતના(Surat ) અમરોલી વિસ્તારમાં કિન્નરનો વેશ ધારણ કરીને બે ઈસમોએ એક મહિલાને(Woman ) વિશ્વાસમાં લઈને તેમના ધારેલા કામ થઈ જશે તેવું કહી વિધિ કરવાના બહાને મહિલા પાસેથી 96 હજાર રૂપિયાના દાગીના પડાવી લીધા હતા. ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીની ધરપકડ કરી હતી.
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સાંઈ રો હાઉસમાં નકલી કિન્નર બનીને અશ્વિન સેલ્યા નામના વ્યક્તિના ઘરે ગયા હતા અને તે સમયે અશ્વિન સેલ્યાના પત્ની ભાવના સેલ્યા ઘરે હતા. આ બંને કિન્નરો ઘરે આવ્યા હોવાના કારણે ભાવનાબેને કિન્નરોને સો રૂપિયા નો દાપુ આપ્યું હતું. ત્યારબાદ ગિરનારોએ ભાવનાબેનને કહ્યું હતું કે તમારા મનમાં જે ધારેલા બે કામ છે તે પૂરા થઈ જશે/ પરંતુ અમારે એક વિધિ કરવી પડશે. ઘર માલિક ભાવનાબેન નકલી કિન્નરોની વાતમાં આવી ગયા હતા અને આ બંને ઈસમોના કહ્યા અનુસાર ભાવનાબેન તેમના ઘરમાંથી પાંચ જેટલા સોનાના દાગીના લઈને આવ્યા હતા.
વાતોમાં ભોળવી સોનાના દાગીના લઈને રફુચક્કર
આ સોનાના દાગીનાની કિંમત 96,750 હતી અને સોનાના દાગીના ભાવનાબેને બંને નકલી કિન્નરોને આપ્યા હતા. ત્યારબાદ કિન્નરોએ ભાવનાબેન ને એવું કહ્યું હતું કે અમે આ ઘરેણાં લઈને અડધો કલાકમાં પરત આવીશું, પરંતુ આ નકલી કિન્નરો ત્રણ કલાક સુધી પરત ન આવતા ભાવનાબેન ને શંકા જતા તેમને સમગ્ર મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાવનાબેનની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ શરૂ કરતાં ગણતરીના કારણે આ બંને નકલી કિન્નર બનેલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યો હતો કે આ ઈસમોના નામ બાબુ પરમાર અને મહેશ નાથ પરમાર છે અને તે રાજકોટના તરઘડીના રહેવાસી છે.
લોકોએ તકેદારી રાખવાની જરૂર
મહત્વની વાત છે કે બાબુ અને મહેશ નામના ઈસમ સામે અલગ અલગ કુલ 15 જેટલા ગુના નોંધાયા છે. સુરત શહેરમાં ફરી આવી ચીટીંગ કરતી ગેંગ સક્રિય થઈ છે. જેથી શહેરીજનોએ તકેદારી રાખવી ખૂબ જ મહત્વની બનશે કારણ કે આ રીતે ચીટીંગ કરતા લોકો અથવા તો ટોળકી સોસાયટી અથવા તો મહોલ્લાની અંદર આવતા હોય છે. ત્યારે લોકોએ તેમની વાતોમાં આવી ન જવું જોઈએ ખાસ કરીને આ લોકો જ્યારે ઘરની અંદર કોઈ હોય નહીં તેવા સમય આવતા હોય છે. જેથી ખાસ કરીને એકથી ચાર વાગ્યાના સમયગાળાની અંદર આવા લોકો સોસાયટી ની અંદર અથવા તો કે બંગલાની અંદર આવતા હોય તો ખાસ તકેદારી રાખવી જરૂરી.