Surat : કાપડ પર GST વધારવાના વિરોધમાં વેપારીઓએ શરૂ કર્યું શાંતીપૂર્ણ આંદોલન
ટેક્ષટાઇલ યુવા બ્રિગેડ દ્વારા શોપ ટુ શોપ દુકાનદારોનો સંપર્ક કરીને જીએસટીના વિરોધમાં મોટી સંખ્યામાં પોસ્ટ કાર્ડ લખાવવા માટે અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે.
આગામી તા .1 લી જાન્યુઆરી 2022 થી કપડા ઉદ્યોગમાં 12 ટકા ફ્લેટ દરે જીએસટી(GST) વસૂલ કરવા અંગે કેન્દ્ર સરકારે બહાર પાડેલા જાહેરનામાની વિરુદ્ધમાં સુરતમાં સક્રીય અનેક વેપારી સંગઠનો પૈકી સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશને આજથી કપડા બજારમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે . આગામી દિવસોમાં ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં બેનરો લગાડીને જીએસટીના નવા દરોનો વિરોધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .
સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે ગઈકાલે યોજાયેલી મિટીંગમાં લેવાયેલા નિર્ણય મુજબ જીએસટીના નવા દરો વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે દેખાવો શરૂ કરવામાં આવ્યા છે . એસ.જી.ટી.ટી.એ.એ તેમના તમામ મેમ્બર વેપારીઓ અને તેમના સ્ટાફને બજારમાં કાળીપટ્ટી ધારણ કરીને લોકોમાં જાગૃતિ લાવવા જણાવવામાં આવ્યું હતું એ મુજબ આજે દરેક વેપારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
આગામી દિવસોમાં જીએસટીના નવા દરોનો વિરોધ કરવા માટે માર્કેટ વિસ્તારમાં બેનરો લગાડવાનો કાર્યક્રમ પણ આપવામાં આવશે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર સુધી વેપારીઓનો અવાજ પહોંચાડવા માટે દરેક શાંતિપૂર્ણ દેખાવો કરવામાં આવશે . સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના સભ્યો દ્વારા એસ.જી.ટી.ટી.એ.ના તમામ મેમ્બર્સને વ્હોટ્સએપ પર મેસેજીસ કરીને કાળી પટ્ટી ધારણ કરીને બિઝનેસ ચલાવવા માટે અભિયાન છેડ્યું છે .
ટેક્ષટાઇલ યુવાબ્રિગેડે પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધર્યું કપડા ઉદ્યોગમાં 12 ટકા જીએસટી દરના વિરોધમાં સુરતમાં સક્રીય જુદા જુદા વેપારી સંગઠનો પૈકી આજે એક તરફ સાઉથ ગુજરાત ટેક્ષટાઇલ ટ્રેડર્સે કાળી પટ્ટી ધારણ કરીને દેખાવો કર્યા તો બીજી તરફ ટેક્ષટાઇલયુવાબ્રિગેડના કાર્યકર્તાઓએ શોપટુ શોપ સંપર્ક કરીને પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરી છે .
જીએસટીના નવા દરોનો વિરોધ કરતા સંદેશાઓ ધરાવતા પોસ્ટ કાર્ડ નાણામંત્રી જોગ લખીને મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ નાણામંત્રી સુધી પહોંચાડવામાં આવશે . ટેક્ષટાઇલ યુવા બ્રિગેડ દ્વારા શોપ ટુ શોપ દુકાનદારોનો સંપર્ક કરીને જીએસટીના વિરોધમાં મોટી સંખ્યામાં પોસ્ટ કાર્ડ લખાવવા માટે અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. આમ, નાણામંત્રીને મળ્યા બાદ પણ કોઈ સંતોષકારક ઉકેલ નહીં આવતા વેપારીઓ દ્વારા જીએસટીના વિરોધમાં શાંત આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Surat : વધુ એક વેપારીનું 40 લાખમાં ઉઠમણું, વેપારી પાસેથી માલ લઇ પૈસા આપવાના બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી
આ પણ વાંચો : Surat : સુરતમાં તાપમાનનો પારો ગગડતા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કરાઈ હીટરની વ્યવસ્થા