Surat : બરવાળાના દારૂની પોટલીનો રેલો સુરત પહોચ્યો, બરવાળાથી ખરીદેલી પોટલીથી ખાનગી બસ કંડકટરની તબિયત લથડતા સારવાર માટે સ્મીમેર ખસેડાયો
25 તારીખે દારૂ (Alcohol )પીધા બાદ તેની તબિયત બગડતા 26 જુલાઈના રોજ બરવાળા ખાતે આવેલ સીએસસી સેન્ટરમાં તેને સારવાર માટે બસના ડ્રાઈવર લઇ ગયા હતા.
કતારગામ(Katargam ) વિસ્તારમાં રહેતો અને ખાનગી લકઝરી(Luxury ) બસમાં કંડકટર તરીકે કામ કરતો યુવાન સુરતથી બસમાં બોટાદ (Botad )ગયો હતો. જ્યાં બરવાળા પાસે આવેલ પોલારપુર ગામમાં તેમણે દારૂની પોટલી લઇ પીધા બાદ બીજા દિવસે તેની તબિયત લથડી હતી. તે બીજા દિવસે રાત્રે ત્યાંથી નીકળી બસમાં ફરી સુરત આવ્યો હતો. આ સમયે કતારગામ વિસ્તારમાં લકઝરી બસના પાર્કિંગમાં પહોંચ્યા બાદ તે બેભાન થઇ ગયો હતો. જેથી બસના માલિકે તાત્કાલિક ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 દ્વારા તેને સારવાર માટે સ્મીમેરમાં ખસેડાતા સમગ્ર હકીકત સામે આવી હતી.
મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં આવેલ વડલાવાળા પાર્કિંગમાં રહેતા 35 વર્ષીય બલદેવ વિહાભાઈ ઝાલા ખાનગી લક્ઝરી બસમાં કંડકટર તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરે છે. કતારગામ વિસ્તારમાં આવેલ હરિ માધવ ટ્રાવેલ્સમાં તે કંડકટર તરીકે નોકરી કરે છે. ગત તારીખ 24 જુલાઈના રોજ રાત્રે બલદેવ હરિ માધવ ટ્રાવેલ્સમાં સુરતથી બોટાદ જવા માટે નીકળ્યો હતો. લકઝરી બસ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના પોલારપુર ગામ પાસે પહોંચી ત્યારે બળદેવે ગામમાંથી એક જગ્યાએથી દારૂની પોટલી લીધી હતી.
25 જુલાઈના રોજ સવારે તેમણે દારૂની પોટલી પીધી હતી. તે પોટલી તેણે બપોરે બસ પાર્કિંગ કર્યા બાદ પીધી હતી. દારૂની પોટલી પીધા બાદ તેની તબિયત બગડી હતી. જેથી બીજા દિવસે નજીકમાં દવાખાનામાં દવા લેવા માટે ગયો હતો. જ્યાંથી દવા લીધા બાદ સાંજે લકઝરી બસમાં સુરત આવવા નીકળ્યો હતો અને 27 જુલાઈના રોજ સવારે સુરત આવી ગયો હતો. જોકે સુરતમાં કતારગામ ખાતે વડલાવાળા પાર્કિંગમાં બસ આવ્યા બાદ તેની તબિયત વધુ લથડી હતી અને તે બસની બહાર સુઈ ગયો હતો. પરંતુ બપોર બાદ પણ તે ઓફિસે ન આવતા તેનો શેઠ તેને જોવા માટે ગયો હતો ત્યારે તે બેભાન હોવાનું માલુમ પડ્યું હતું.
જેથી તેઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેરમાં ખસેડ્યો હતો. જ્યાં તેની સારવાર શરુ કરવામાં આવી હતી. ભાનમાં આવ્યા બાદ તેમણે ડોક્ટરને જણાવ્યું હતું કે તેણે દેશી દારૂ પીધા બાદ તેની તબિયત લથડી હતી. જેથી તે લઠ્ઠાકાંડનો શિકાર બન્યો હોવાનું તબીબોને ખ્યાલ આવી ગયો હતો. શરૂઆતમાં તેને સ્મીમેરમાં કેઝ્યુલિટી વિભાગમાં સારવાર હેઠળ રાખ્યા બાદ તેને સ્મીમેરમાં ત્રીજા માળે સર્જીકલ આઈસીયુમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. બનાવની જાણ થતાની સાથે જ કતારગામ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બનાવને પગલે કતારગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
25 રૂપિયામાં દારૂની પોટલી લીધી
મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રહેલા બલદેવે જણાવ્યું હતું કે તે 24 તારીખે રાત્રે હરિ માધવ ટ્રાવેલ્સમાં ડ્રાઈવર નંદુભાઈ સાથે લકઝરી બસમાં નીકળ્યો હતો. સવારે બસ બરવાળા તાલુકાના પોલારપુર ગામ પહોંચ્યા બાદ તેણે ગામમાંથી 25 રૂપિયામાં દેશી દારૂની પોટલી લીધી હતી. જે પોટલી તેમણે બપોરે લકઝરી બસ પાર્કિંગ કર્યા બાદ પીધી હતી અને બાદમાં તેની તબિયત લથડી હતી.
બરવાળા સીએસસી સેન્ટરમાં પણ ખસેડાયો હતો
25 તારીખે દારૂ પીધા બાદ તેની તબિયત બગડતા 26 જુલાઈના રોજ બરવાળા ખાતે આવેલ સીએસસી સેન્ટરમાં તેને સારવાર માટે બસના ડ્રાઈવર લઇ ગયા હતા. જોકે ત્યાં ડોકટરે તપાસ કરી કઈ ખાસ ન હોવાનું જણાવી દવા આપી દીધી હતી, બાદમાં દવા લીધા બાદ તે ફરી લક્ઝરી બસમાં બેસી સુરત આવવા નીકળી ગયો હતો.