Surat: મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલોમાં વર્ગ વધતા શિક્ષકોની અછત
Surat: એક તરફ જ્યાં ખાનગી (Private) શાળાઓની સરખામણીમાં સરકારી શાળાઓને લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યાં જ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછતનો મુદ્દો ખુબ ગંભીર રીતે ઉભરીને સામે આવ્યો છે.
સુરત મનપામાં (SMC) મજબુત વિપક્ષ તરીકે સ્થાપિત થયેલા આમ આદમી પાર્ટીના(AAP) નેતાઓ આપની દિલ્હી સરકારના મોડેલને આગળ કરી ભાજપ (BJP) શાસકોને ઘેરી રહ્યા છે. ખાસ કરીને દિલ્હીમાં પ્રજા માટે વિનામુલ્ય શ્રેષ્ઠ સ્કૂલોનો દાવો કરવામાં આવે છે, ત્યારે સુરત મનપાના ભાજપ શાસકોએ પણ હવે શહેરમાં મનપા સંચાલિત સુમન હાઈસ્કૂલની સંખ્યા અને જુની સ્કૂલોમાં વર્ગ વધારી શિક્ષણ સુવિધા પર ભાર મુકવાની ફરજ પડી રહી છે. તેથી તાજેતરમાં જ શાસકોએસુમન હાઇસ્કૂલોમાં વધારાના વર્ગો છે અને અમુક નવી હાઈસ્કૂલો શરૂ કરવા ઠરાવ કર્યો હતો, તેથી હવે ખુલતા વેકેશનમાં આ શાળાઓમાં જરૂરી શિક્ષકો માટે આઉટસોર્સિંગ કરવાનું નક્કી કરી દરખાસ્ત મુકવામાં આવી છે. સાથે સાથે આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ છે તેવા પુણા અને મોટા વરાછા વિસ્તારમાં બે નવી સુમન હાઈસ્કૂલ શરૂ કરવા પણ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે.
સ્થાયી સમિતિ સમક્ષ વરાછા ઝોન-એમાં સમાવિષ્ટ ટીપી સ્કીમ 60 (પુણા)મા મનપાની રીઝર્વ જગ્યા પર તેમજ સરથાણા ઝોનમાં ટીપી 25 (મોટાવરાછા)માં મનપાની રીઝર્વ જગ્યા પર સુમન હાઇસ્કૂલ બનાવવાની દરખાસ્ત મુકવામાં આવી છે. આ ઉપરાંત અગાઉ શાસકોએ જૂન 2022થી શરૂ થનાર નવા શૈક્ષણિક સત્રથી સુમન હાઇસ્કૂલોમાં ધો. 11,12 કોમર્સ, આર્ટસ, સાયન્સ મળી વધારવામાં આવેલા વર્ગ તેમજ અમુક નવી સ્કૂલો માટે 111 શિક્ષકોની જરૂર પડે તેમ હોવાથી આ શિક્ષકોને ઇજારદાર એજન્સી દ્વારા આઉટસોર્સિગથી મેળવવા માટે ઇજારદારના ટેન્ડરના સ્કોપ ઓફ વર્કમાં વધારો કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે. જેમાં એક વર્ગ દીઠ કુલ 2 શિક્ષકોની જરૂરિયાત મુજબ 54 વર્ગદીઠ 108 જેટલા જુદા જુદા વિષયોના શિક્ષકો તથા વિજ્ઞાનપ્રવાહની પ્રયોગશાળામાં 3 લેબ કોર્ડિનેટર આઉટસોર્સિગથી પુરા પડાશે.
નોંધનીય છે કે એકતરફ જ્યાં ખાનગી શાળાઓની સરખામણીમાં સરકારી શાળાઓને લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યાં જ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછતનો મુદ્દો ખુબ ગંભીર રીતે ઉભરીને સામે આવ્યો છે. ત્યારે હવે આવનારા નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે વાસ્તવમાં આ ભરતી થાય છે કે પછી આ વાતો પણ માત્ર કાગળ પર જ રહી જાય છે.