Surat : સુરતના ઐતિહાસિક કિલ્લાની જાળવણી હવે ખાનગી કોન્ટ્રાક્ટરને આપવાની હિલચાલ
કિલ્લામાં (Fort )હાલ પહેલા તબક્કાની કામગીરીને અંતે મનપાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ કોમ્પ્યુટર ઓપરેટર - ગેલેરી એડેન્ટની નિયુક્ત કરવામાં આવી છે.
સુરત (Surat ) શહેરની ઐતિહાસિક (Historical ) ધરોહર સમાન કિલ્લાના રિસ્ટોરેશનની (Restoration ) કામગીરી પૂર્ણ થયા બાદ હવે મહાનગરપાલિકા દ્વારા કિલ્લામાં મુલાકાતીઓ માટે ઉભી કરવામાં આવેલી વિઝિટર્સ ગેલેરી અને સુવિધાઓ સહિત મેઈન્ટેનન્સના ખર્ચને પહોંચી વળવા માટે ઈજારદારની નિમણૂંક કરવા માટે શાસકો દરખાસ્ત રજુ કરવામાં આવી છે. કિલ્લાની જાળવણી પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાના ખર્ચ થઇ રહ્યો છે. જેની સામે મર્યાદિત આવકના સાધનોને પગલે વહીવટી તંત્ર દ્વારા કિલ્લાના સંચાલન – જાળવણી અને નિભાવ માટે મેનેજમેન્ટ એજન્સીની નિમણૂંક કરવા માટે રજુઆત કરવામાં આવી છે.
ચોક બજાર ખાતે તાપી નદીના કાંઠે 16મી સદીના જર્જરિત થઈ ચુકેલા ઐતિહાસિક કિલ્લાના ડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન માટે મહાનગર પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. કરોડો રૂપિયાના ખર્ચે કિલ્લાના સંરક્ષણની કામગીરી પૂર્ણ થયા બાદ 2018માં કિલ્લો જાહેર જનતાની મુલાકાત માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હાલમાં કિલ્લાના સંરક્ષણની કામગીરી પૂર્ણ થયા બાદ મુલાકાતીઓ માટે ટિકીટ વિન્ડો, ક્લોક રૂમ, સોવેનિયર શોપ, મુખ્ય પ્રવેશ પહેલા ગેટ, ડ્રો બ્રીજ અને પાર્શીયલ બ્રિજ સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ સિવાય મુખ્ય પ્રવેશની અંદર ઓપન એરિયામાં પ્રતિદિન સાંજના સમયે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન પણ કરવામાં આવશે. આ તમામ સુવિધાઓ પાછળ મનપા દ્વારા અત્યાર સુધી અંદાજે 57 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે, હવે કિલ્લાનું રિસ્ટોરેશન અને નવીનીકરણની કામગીરી પૂર્ણ થયા બાદ તેની જાળવણી અને નિભાવ પાછળ દર વર્ષે 3.29 કરોડ રૂપિયાના ખર્ચ થવાની ગણતરી વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે કિલ્લામાં આવનાર મુલાકાતીઓ થકી વર્ષે માત્ર 1.40 કરોડ રૂપિયાની આવકની શક્યતાઓ હોવાને કારણે હવે કિલ્લાના સંચાલન, નિભાવ અને જાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા થકી ખાનગી ઈજારદારને કિલ્લાનો વહીવટ સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેની પાછળ વહીવટી તંત્ર દ્વારા આવક થશે તેવી પણ હૈયાધરપત શાસકોને આપવામાં આવી છે. આ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા શાસકો સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવતાં હવે આગામી દિવસોમાં આ સંદર્ભે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સ્ટાફ – વિજ બિલ સહિત મહિને 27 લાખનો ખર્ચ
કિલ્લામાં હાલ પહેલા તબક્કાની કામગીરીને અંતે મનપાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ કોમ્પ્યુટર ઓપરેટર – ગેલેરી એડેન્ટની નિયુક્ત કરવામાં આવી છે. જેની પાછળ જ માસિક 15 લાખથી વધુનો ખર્ચ થાય છે. આ સિવાય કિલ્લામાં આવેલ ગેલેરી સહિતના વિસ્તારોમાં એસીની સુવિધાને પગલે મહિને લાઈટ બિલનો આંકડો જ 6 લાખને પહોંચી ચુક્યો છે. આ સિવાય મેઈન્ટેનન્સ અને ઓપરેશન પાછળ પણ લાંબો ખર્ચ થવાને કારણે મહાનગર પાલિકાને લાંબા ગાળે આ કિલ્લો ધોળો હાથી પુરવાર થાય તેવી શક્યતાઓને પગલે નાછૂટકે ખાનગી ઈજારદારને કિલ્લાનો વહીવટી સોંપવા અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે.
16મી સદીના કિલ્લાના રિસ્ટોરેશન પાછળ 56 કરોડથી વધુનો ખર્ચ
તાપી નદીના કાંઠે જ્યાં ચોર્યાસી દેશોના વાવટા ફરકતા હતા ત્યાં સુરતની ઐતિહાસિક ધરોહર સમાન કિલ્લો એક તબક્કે નામશેષ થવાને આરે પહોંચી ચુક્યો હતો. મહાનગર પાલિકા દ્વારા ભારે જહેમત અને અથાગ મહેનતને અંતે કિલ્લાનું મુળભુત સ્વરૂપ આપવા માટે 56 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કિલ્લાના જર્જિરત થઈ ચુકેલી દિવાલો જ નહીં પરંતુ કિલ્લાની અંદર આવેલ તમામ વસ્તુઓની માવજત અને ઝીણવટભરી કાળજી રાખીને અંતે કિલ્લાના રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે ત્યારે હવે આ કિલ્લો માત્ર સુરતી જ નહીં પરંતુ ઐતિહાસિક વારસાને નજીકથી જોનારા નાગરિકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.