Surat: સુરતમાં યોજાઈ ઐતિહાસિક 125 મી રક્તદાન શિબિર, 1989 માં પહેલો કેમ્પ કરવામાં આવ્યો હતો
સુરત એ દાનવીર કર્ણની ભૂમિ છે. આપત્તિના સમયે સુરતીઓએ મદદ માટે ક્યારેય પીછેહઠ કરી નથી. કુદરતી આપત્તિના સમયે સુરતના લોકો આર્થિક અને સામાજિક સહાય કરવા હમેશા અગ્રેસર રહ્યા છે.
સુરત એ દાનવીર કર્ણની ભૂમિ છે. આપત્તિના સમયે સુરતીઓએ મદદ માટે ક્યારેય પીછેહઠ કરી નથી. કુદરતી આપત્તિના સમયે સુરતના લોકો આર્થિક અને સામાજિક સહાય કરવા હમેશા અગ્રેસર રહ્યા છે. ત્યારે હવે રક્તદાન (Blood Donation) કરવામાં પણ સુરતીઓ અવ્વલ છે એ વધુ એક વખત સાબિત થયું છે.
સુરતમાં ચાંલ્લાગલી યુવક મંડળે ઐતિહાસિક 125 મી રક્તદાન શિબિરનું આયોજન આજે કર્યું હતું. રક્તદાન કરવાની શરૂઆત 1989 થી કરવામાં આવી હતી અને આજે 32 વર્ષ બાદ પણ આ પ્રથા સતત અવિરત રાખવામાં આવી છે.
1989 માં પહેલો કેમ્પ કરવામાં આવ્યો હતો, ત્યારે માત્ર 100 યુનિટ જેટલું બ્લડ એકત્ર થયું હતું. તે બાદ દર ત્રણ મહિને તેઓ કેમ્પ યોજીને બ્લડ એકત્ર કરીને અન્યોને નવું જીવન આપી રહ્યા છે. અત્યાર સુધી તેમના દ્વારા કુલ 95 હજાર કરતા પણ વધુ યુનિટ બ્લડ એકત્ર કરાયુ છે.
આ સંસ્થાની 125 મી રક્તદાન શિબિર ઐતિહાસિક શિબિર છે. આ સંસ્થાએ કોરોના મહામારીમાં પણ 31 રક્તદાન શિબિર કરી લોકોની મદદ કરી હતી. માત્ર રક્તદાન જ નહીં પરંતુ થેલેસેમિયાથી પીડાતા બાળકોને પણ તેઓ ફ્રી માં સેવા આપે છે.
સુરતમાં રક્તદાન શિબિર કરીને માનવતાની સેવા કરનારાઓની કમી નથી. પણ સતત 32 વર્ષથી રક્તદાન કરવાની આ અભૂતપૂર્વ ઘટના છે. જે સુરત માટે પણ ગૌરવની વાત છે.