Surat : દરેક ચૂંટણીમાં સરકારનું નાક દબાવતા કાપડ વેપારીઓને ટેક્સ્ટાઇલ મંત્રીએ ખંખેર્યા, પુછ્યુ, ચૂંટણી આવે ત્યારે જ જીએસટીની સમસ્યા ઉભી થાય છે?
દર્શના જરદોષે વધુમાં ઉમેર્યું હતું કે જયારે ચૂંટણીઓ આવે ત્યારે જ કાપડ ઉધોગને આવા પ્રશ્નો નડે છે. દરેક સમસ્યાનો વાતચીતથી ઉકેલ શક્ય છે. અમે આ રજૂઆતો જીએસટી કાઉન્સિલ સુધી લઇ જઈશું. સમસ્યાઓ તો આવતી જ રહે છે, આગળ જોઈએ શું થાય છે.
સુરત(Surat ) શહેરમાં આજથી ત્રણ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરનું જેમ્સ એન્ડ જવેલરી મેન્યુફેક્ચર્સ માટેનું એક્ઝિબિશન(Exhibiton ) સરથાણા ખાતે કન્વેનશન સેન્ટરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશે (Darshna Jardosh ) વધુ એક વખત કાપડ વેપારીઓને રોકડો જવાબ પરખાવ્યો છે.
દર્શના જરદોશ આજે જયારે એક્ઝિબિશનના ઓપનિંગ માટે પહોંચ્યા ત્યારે તે પહેલા ગેટ પર જ ફોસ્ટાના સભ્યોએ મંત્રીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જીએસટી પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવા સામે તેઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આવું કરવાથી કાપડ ઉધોગ પર કેવી અસર પડશે તેની માહિતી અને ચિતાર પણ આપ્યો હતો.
વેપારીઓનું કહેવું હતું કે કોરોના બાદ માંડ માંડ ઉધોગ બેઠો થઇ રહ્યો છે તેવામાં આ જીએસટીનો માર વેપારીઓ નહીં સહન કરી શકે. બીજું કે સૌથી પહેલા વેપારીઓનો જીએસટી સામે જ વિરોધ હતો. અને હવે જીએસટી 5 ટકાથી સીધું 12 ટકા કરવામાં આવશે તો બેરોજગારી વધી જશે, અને વેપારીઓની મુશ્કેલીમાં વધારો થશે તેવું ઉમેર્યું હતું.
તો આજે દર્શના જરદોષે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કાપડ ઉધોગમાં જે સમસ્યાઓ છે તેના માટે ખુદ કાપડ ઉધોગ જ જવાબદાર છે. બીજી તરફ ડાયમંડ ઉધોગની પ્રશંસા કરતા તેઓએ જણાવ્યું હતું કે ડાયમંડ ઉધોગ હંમેશા એકજુથ રહે છે જેનો તેમને ફાયદો પણ થાય છે. દર્શના જરદોશે વધુમાં ઉમેર્યું હતું કે જયારે ચૂંટણીઓ આવે ત્યારે જ કાપડ ઉધોગને આવા પ્રશ્નો નડે છે.
તેઓએ એ પણ કહ્યું હતું કે દરેક સમસ્યાનો વાતચીતથી ઉકેલ શક્ય છે. અમે આ રજૂઆતો જીએસટી કાઉન્સિલ સુધી લઇ જઈશું. સમસ્યાઓ તો આવતી જ રહે છે, આગળ જોઈએ શું થાય છે. વધુમાં તેઓએ હીરાઉધોગના વિકાસને નવીપાંખો મળી રહે તે માટે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુરત એરપોર્ટ પર ઇન્ટરનૅશન સ્તરની સુવિધાઓ ઉભી કરીને મહત્તમ દેશો સાથે એર કનેક્ટિવિટી વધારવામાં આવશે.
નોંધનીય છે કે જીએસટી મુદ્દે ભેખડે ભેરવાયેલા કાપડઉધોગના અગ્રણીઓ દ્વારા હવે આગામી સોમવારના રોજ સાંજે પાંચ કલાકે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફોસ્ટા અને ફોગવા સહિતના તમામ અગ્રણીઓ હાજર રહીને કાપડ ઉધોગ માટે મૃત્યુઘંટ સમાન સાબિત થનાર જીએસટી મુદ્દે આગામી લડતની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો : Surat : શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની અછતનો પ્રશ્ન દૂર કરવા 5 કરોડની જોગવાઈ, 60 ટકા અછત થશે દૂર
આ પણ વાંચો : Surat : દાનનો પ્રવાહ, પરિવારનું અકસ્માતમાં મોત થતા નોધારી બનેલી દીકરીઓને 12 લાખ રૂપિયાની સહાય