Surat : ગુજરાત અને મહારાષ્ટ્રના ટેક્ષટાઇલ અગ્રણીઓએ જીએસટી દરમાં ફેરફાર ન કરવા આપ્યો અભિપ્રાય
વિવિંગ સેકટરમાં પેમેન્ટ ટર્મ્સ છ મહિનાની હોય છે. વળી, પાર્ટી ઉઠમણાના કેસો બને ત્યારે વિવર્સના રૂપિયા ડૂબી જાય છે. એવા સંજોગોમાં ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર દૂર કરવામાં આવશે તો વિવર્સે પોતાના રૂપિયા નાંખી ચૂકવવો પડશે.
હાલમાં જ મળેલી જીએસટી કાઉન્સીલની (GST Counsel )બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2022 થી ટેકસટાઇલ ક્ષેત્રમાંથી ઇન્વર્ટેડ ડયૂટી (Inverted Duty )સ્ટ્રકચર દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તે સંદર્ભે ટેકસટાઇલ ક્ષેત્રના તમામ માળખાઓને થનારી અસર વિશે તથા તેના અનુસંધાને રજૂઆત નાણાં મંત્રીને મોકલવા પર એક્શન પ્લાન બનાવાયો
આ મિટિંગમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો અને ટેક્સ્ટાઇલના અગ્રણીઓ સહીત ભીવંડી વિવર્સ આગેવાનો, માલેગાવ પાવર લૂમ્સ એસોસીએશનના આગેવાનોઅને ઇચ્છલકરંજીના અગ્રણીઓ પણ ઓનલાઇન જોડાયા હતા.
ટેકસટાઇલના વિવિધ સેકટરના મોટા ભાગના આગેવાનોએ હાલના જીએસટી કર માળખામાં કોઇપણ પ્રકારનો ફેરબદલ નહીં કરવાનો અભિપ્રાય આપ્યો હતો. તેઓનું કહેવું હતું કે, હાલનું જે સ્ટ્રકચર છે તેમાં રિફંડ મળે છે અને રિફંડ મેળવવા માટે ઉદ્યોગકારોને કોઇ તકલીફ પડતી નથી. જે રિફંડ મળે છે તેને ફરીથી ઉદ્યોગોમાં જ રિઇન્વેસ્ટ કરવામાં આવે છે. જેને કારણે વિવિંગ કેપેસિટીમાં સતત વધારો થઇ રહયો છે.
અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, વિવિંગ સેકટરમાં પેમેન્ટ ટર્મ્સ છ મહિનાની હોય છે. વળી, પાર્ટી ઉઠમણાના કેસો બને ત્યારે વિવર્સના રૂપિયા ડૂબી જાય છે. એવા સંજોગોમાં ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર દૂર કરવામાં આવશે તો વિવર્સે પોતાના રૂપિયા નાંખી ચૂકવવો પડશે. જો જીએસટી કર માળખામાં ફેરફાર કરાશે તો વિવિંગ ઉદ્યોગ પડી ભાંગશે. ભીવંડી, માલેગાવ, ઉધના ઉદ્યોગનગર, સહિતના તમામ વિવર્સ આગેવાનોનો એક જ સૂર હતો કે જીએસટી કર માળખામાં કોઇપણ પ્રકારનો બદલાવ કરવામાં નહીં આવે.
ઉદ્યોગો સાથે જોડાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે, ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર બદલવું હોય તો ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી ચેઇનમાં પ ટકાનું જ માળખું લાગવું જોઇએ. ફોસ્ટા અગ્રણી મુજબ કાપડ ઉદ્યોગમાં ખાસ કરીને ટ્રેડીંગ અને રિટેઇલીંગ સૌથી વધુ રોજગારી આપે છે. જીએસટી કર માળખું બદલાશે તો છેવાડાના ગ્રાહક માટે કપડું મોંઘુ થશે અને નાના – નાના વેપારીઓના ધંધા ઉપર માઠી અસર પહોંચશે. વેપારીઓનું વેચાણ ઘટશે અને આખી ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ડામાડોળ થઇ જશે. સરકારે ગ્રાહકને વસ્તુ સસ્તી મળે તેવી નીતિ બનાવી તેવો ટેકસ દર નકકી કરવો જોઇએ.
પ્રોસેસર્સ આગેવાનોએ જણાવ્યું હતું કે, હાલમાં ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરને કારણે કેપીટલ ગુડ્સ ઉપર લાગતા જીએસટીની રિકવરી થઇ શકતી નથી. એના કારણે ભારત વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બની શકતું નથી. એટલે ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરને દૂર કરવું જોઇએ. જેથી કેપીટલ ગુડ્સ પર લાગતા જીએસટીની રિકવરી થઇ શકે.
મિટીંગના અંતે ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે આ મુદ્દે ફરીથી બે દિવસ બાદ ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ રજૂઆત તૈયાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો :Surat : દ.ગુજરાતની 6 આર્કિટેક્ચર કોલેજમાં 76% બેઠકો ખાલી, સુરતમાં બે કોલેજમાં આંકડો શૂન્ય નોંધાયો
આ પણ વાંચો : Surat: ‘આત્મનિર્ભર ભારત, સ્વર્નિભર મહિલા’, દિવાળીનો નાસ્તો ઘરે જ બનાવી કમાણી કરી રહી છે સુરતની મહિલાઓ