Surat : પત્નીની હત્યા કરવાના કેસમાં સુરત કોર્ટે પતિને ફટકારી આજીવન કેદની સજા
સુરત(Surat ) જિલ્લાના કામરેજના રામવાટીકા સોસાયટીમાં રહેતા હિતેશ કેશુભાઇ ખોયાણીએ તેની પત્ની રસીલાબેનની હત્યા કરી નાંખી હતી.
સુરતના(Surat ) કામરેજના વેલંજામાં પત્નીને દવાખાનાનું બહાનુ બતાવી લઇ ગયા બાદ ગળુ દબાવીને હત્યા (Murder )કરનાર પતિને કોર્ટે (Court ) તક્સીરવાર ઠેરવ્યો હતો અને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ સાથે જ કોર્ટે મૃતકના બે પુત્રોને વળતર આપવા માટેનો પણ આદેશ કર્યો છે. સુરત જિલ્લાના કામરેજના રામવાટીકા સોસાયટીમાં રહેતા હિતેશ કેશુભાઇ ખોયાણીએ તેની પત્ની રસીલાબેનની હત્યા કરી નાંખી હતી. ઘટનાની વિગત પ્રમાણે 2018માં રસીલાબેને હિતેશને જમવાનું આપ્યા બાદ હિતેશની તબિયત ખરાબ થઇ હતી. બે દિવસ બાદ હિતેશ સારો થઇ જતા તેને શંકા ગઇ હતી કે, રસીલા તેને મારી નાંખવા માંગે છે, આ માટે હિતેશે એક પ્લાન બનાવ્યો હતો અને રસીલાબેનને દવાખાને લઇ જવાનું કહીને કામરેજની પાસે વેલંજા ગામ નજીક ખુલ્લી જગ્યામાં લઇ ગયો હતો અને ત્યાં રસીલાબેનનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી હતી.
ત્યારબાદ આ લાશને શેરડીના ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. ઘરે આવ્યા બાદ હિતેશ કોઇને યોગ્ય જવાબ આપતો ન હતો. આ મામલે હિતેશના પિતા કેશુભાઇને જાણ કરવામાં આવતા તેઓ વતન અમરેલીથી તાત્કાલિક સુરત આવ્યા હતા. અહીં તેઓએ પૌત્રોને નહીં જોતા હિતેશને પુછપરછ કરી હતી. તે દરમિયાન હિતેશે તેના પિતા કેશુભાઇને ઘટનાની જાણ કરીને બંને પુત્રોને મોટાભાઇ લઇ ગયા હોવાનું કહ્યું હતું.
આ મામલે કામરેજ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે હિતેશની સામે પત્નીની હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. દરમિયાન આ કેસ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી હિતેશને હત્યાના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો હતો અને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ સાથે જ હિતેશને રૂ. 5 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોર્ટે મૃતક રસીલાબેનના પુત્રોને 5 લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.