Surat: બે વર્ષથી ઓનલાઈન અભ્યાસથી વિદ્યાર્થીઓ ત્રાહિમામ, જવાહર નવોદય વિદ્યાલયમાં ઓફલાઈન અભ્યાસ સંદર્ભે વાલીઓની રજુઆત
માંગરોળ તાલુકાના વાંકલ ગામે મંથરગતિએ ચાલી રહેલી જવાહર નવોદય વિદ્યાલયની કામગીરીને પગલે છેલ્લા બે વર્ષથી બાળકો ઓનલાઈન અભ્યાસ કરવા માટે મજબુર બની રહ્યા છે.
Surat: માંગરોળ તાલુકાના વાંકલ ગામે મંથરગતિએ ચાલી રહેલી જવાહર નવોદય વિદ્યાલયની કામગીરીને પગલે છેલ્લા બે વર્ષથી બાળકો ઓનલાઈન અભ્યાસ (Online study) કરવા માટે મજબુર બની રહ્યા છે. આ સ્થિતિમાં આજે જવાહર નવોદય વિદ્યાલયમાં (Jawahar Navodaya Vidyalaya) અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા મોરચો કાઢીને જિલ્લા કલેકટર સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવવામાં આવી હતી. ભારે આક્રોશ સાથે વાલીઓએ જિલ્લા કલેકટરને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી શાળાના ભવનનું બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા સાથે બાળકોને ઓફલાઈન અભ્યાસની વ્યવસ્થા કરાવવામાં આવે.
સુરત જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય માટે વાંકલ ગામે જમીનની ફાળવણી કરવામાં આવ્યા બાદ છેલ્લા બે વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલતી શાળા ભવનની કામગીરીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પ્રતિકુળ અસર પડી રહી છે. ઓફલાઈન અભ્યાસને પગલે વિદ્યાર્થીઓની સાથે – સાથે વાલીઓમાં પણ હવે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે આજે વાલીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને વહેલી તકે જવાહર નવોદય શાળામાં ઓફલાઈન અભ્યાસ શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી.
આ દરમ્યાન વાલીઓએ એકસૂરમાં જણાવ્યું હતું કે, છેલ્લા બબ્બે વર્ષથી ઓનલાઈન અભ્યાસને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખુબ જ પ્રતિકુળ અસર પડી રહ છે અને આ સ્થિતિમાં જ્યાં સુધી નવા શાળા ભવનનું બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સાથે – સાથે બાળકોને ઓફલાઈન અભ્યાસની સુવિધા ઉભી કરવામાં આવે તેવી પણ માંગણી વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. અન્ય એક વાલીનું કહેવું હતું કે, કોરોના પછી જ્યારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઓફલાઈન અભ્યાસ શરૂ થઈ ગયો છે. ત્યારે માંગરોળની જવાહર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ આજે પણ ઓફલાઈન અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ મામલે કોઇ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી વાલીઓ દ્વારા કરવામાં આવી હતી.