સુરત શહેરનો કચરો સુંવાલી ગામમાં ઠાલવવા સામે ગ્રામ્યજનોનો સખ્ત વિરોધ
Surat : સુંવાલી અને તેના આસપાસની જગ્યા હજીરાના ઉધોગો માટે સંપાદન કરવામાં આવી છે. જો ડમ્પિંગ સાઈટ (dumping site ) માટે ફાળવવામાં આવે તો સ્થાનિક પશુપાલન,ખેતી અને માછીમારી જેવા વ્યવસાય પર અસર પડશે. તેમ ગ્રામ્યજનોનુ કહેવુ છે.
Surat સુરત મહાનગરપાલિકા ( SMC ) દ્વારા રોજનો કચરો ખજોદ( Khajod ) લેન્ડ ફિલ્ડ સાઈટ (Land Field Site) પર ઠાલવવામાં આવે છે. જે કચરો હવે ઓલપાડ તાલુકાના ભાડુત અને મંદરોઈ ગામમાં નહીં ઠાલવીને હવે સુંવાલી ગામની જમીનની માંગણી કરવામાં આવી હતી. જેનો સુંવાલી ગામના લોકોએ સખ્ત વિરોધ કર્યો છે. આજે તેઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શહેરનો સૌથી મોટો ઉકરડો કહેવાતી ખજોદ લેન્ડ સાઈટ હવે કચરામાંથી કંચન બની ગઈ છે. ડ્રિમ સિટીનો આવિષ્કાર થઇ શક્યો છે. પણ શહેરમાંથી પ્રતિદિન નીકળતો કચરો ક્યાં ઠાલવવો તેની મડાગાંઠ ઉભી થઇ છે. જેનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. આ પ્રશ્ન ઉકેલવા માટે અગાઉ ભાડુત અને મંદ્રોઈ ગામ પર પસંદગી ઉતારવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકો તરફથી વિરોધનો સુર તીવ્ર બન્યો હતો. એટલું જ નહિ આ બંને ગામો દરિયાકિનારા નજીકના છે. આ બંને ગામોને સીઆરઝેડ અસર કરે છે.
જેથી હવે નવા વિકલ્પ તરીકે હાલમાં સુરત સિટીનો ( Surat City ) કચરો શહેરથી અંદાજિત 25 કિલોમીટર દૂર સુંવાલી( Sunvali ) ગામમાં ઠાલવવા સરકાર પાસે મંજૂરી માગી છે. વિકાસની હરણફાળ દોડ ભરી રહેલા સુરત શહેરમાં ઘન કચરાના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા આગામી 20 વર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડમ્પિંગ સાઈટ માટે રાજ્ય સરકાર પાસે સુંવાલી ગામ નજીક 50 હેકટર જમીન તથા સૂકા કચરાને પ્રોસેસ કરીને ખાતર બનાવવા માટે 25 હેકટર જમીનની માંગણી કરવમાં આવી છે.
પરંતુ ગ્રામવાસીઓનું કહેવું છે કે સુંવાલી ગામમાં ઘન કચરો ઠાલવવામાં આવે તો પશુપાલન વ્યવસાય તથા માનવજાતને ગંભીર અસર થાય તેવું છે. આજે સુંવાલી સહીત રાજગરી અને શિવરામપુરના સરપંચો સહીત ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેઓએ ઉમેર્યું હતું કે સુંવાલી અને તેના આસપાસની જગ્યા હજીરાના ઉધોગો માટે સંપાદન કરવામાં આવી છે. જો ડમ્પિંગ સાઈટ (dumping site ) માટે ફાળવવામાં આવે તો સ્થાનિક પશુપાલન,ખેતી અને માછીમારી જેવા વ્યવસાય પર અસર પડશે. મનપા દ્વારા જે જમીન માંગવામાં આવી છે તેની આસપાસ આવેલી શાળાઓમાં પણ 3500 થી વધુ બાળકોના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર પડશે.