Surat: સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડની ગજબ કહાની, દર્દીઓના પરિવારજનો જ વોર્ડ બોય બનવા મજબૂર
સ્મીમેર હોસ્પિટલમાં મહદઅંશે વોર્ડ બોયના સ્ટાફની અછતની સમસ્યા જોવા મળતી ન હતી, પરંતુ 1લી માર્ચથી કોન્ટ્રાક્ટ પર લેવામાં આવેલા તમામ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતાં હવે સ્થિતિ પુનઃ જેવી હતી, તેવી બની જવા પામી છે.
ગરીબ અને મધ્યમ વર્ગીય શહેરીજનો માટે સુરત મહાનગર પાલિકા(SMC) દ્વારા શરૂ કરવામાં આવેલી સ્મીમેર (Smimmer) હોસ્પિટલમાં હવે દર્દીઓના પરિવારજનો પાસે જ વોર્ડ બોયનું કામ કરાવવામાં આવતાં વિવાદનો એક નવો ફણગો ફુટ્યો છે. હરહંમેશા ચર્ચાનું કેન્દ્ર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર સ્મીમેર હોસ્પિટલમાં હવે સ્ટાફની અછતના નામે દર્દીઓના પરિવારજનો પાસે આ પ્રકારની કામગીરી કરાવવામાં આવતાં સ્મીમેર હોસ્પિટલ માટે બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી માથે પડી હોય તેમ જણાઈ રહ્યું છે.
કાપોદ્રા ખાતે રહેતા 45 વર્ષીય રામકિશન વિશ્વકર્માને ગત 27મીએ ઘરમાં પડી જવાને કારણે પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં તેઓને દાખલ કરવામાં આવ્યા બાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને 7મી માર્ચના રોજ રજા આપવામાં આવી હતી. અલબત્ત, આજે ટાંકા કપાવવા માટે તેઓ પોતાના ભત્રીજા અખિલેશ સાથે ઓર્થોપેડિકની ઓપીડીમાં પહોંચ્યા હતા.
જ્યાં હાજર સ્ટાફ દ્વારા રામકિશન વિશ્વકર્માના પગ પર બાંધવામાં આવેલો પાટો ખુદ તેમના ભત્રીજા પાસે ખોલાવવા માટે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું. પીઓપીનો પાટો ખોલતી વખતે કાકાના પગને કોઈ તકલીફ ન થાય તેનું ધ્યાન રાખીને અખિલેશે મહામુસીબતે પાટો તો ખોલી આપ્યો હતો, પરંતુ આ વ્યથાને તે પોતાના શબ્દોમાં વ્યક્ત કરી શકે તેવી સ્થિતિમાં નહોતો.
જે કામ વોર્ડ બોયનું છે તે કામ કરવા માટે દર્દીઓના પરિવારજનોને જોતરી દેવામાં આવતાં અન્ય દર્દીઓમાં પણ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો હતો. જો કે રૂપિયાના અભાવે સ્મીમેર હોસ્પિટલના દાદરા ચઢવા માટે મજબુરી બનતાં આવા દર્દીઓ અને પરિવારજનો પાસે કોઈ અન્ય વિકલ્પ પણ ન હોવાને કારણે નાછૂટકે ડોક્ટરો અને સ્ટાફના આદેશને શિરોમાન્ય રાખવા મજબૂર બનતાં હોય છે.
ઉલ્લેખનીય છે કે સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં રોજીંદા 250થી 300 દર્દીઓ આવતાં હોવા છતાં આ વોર્ડમાં સ્ટાફની કાયમી ઘટ જોવા મળતી હોય છે. જેને પગલે નાછૂટકે ડોક્ટરો અને વોર્ડ બોય દ્વારા નાના – મોટા કામો માટે દર્દીના પરિવારજનોને ફરજ પાડવામાં આવતી હોય છે. બીજી તરફ સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશોને પણ આ વાતની જાણ હોવા છતાં મગનું નામ મરી પાડવામાં આવતું નથી.
આ સ્થિતિમાં છેવટે સૌથી વધુ હાલાકી દર્દી અને તેઓના પરિવારજનોને ભોગવવાનો વારો આવે છે. ઘણી વખત તો હોસ્પિટલના ગેટથી ઓર્થોપેડિકના વોર્ડ સુધી પણ દર્દીઓને લઈ જવા માટે ખુદ તેઓના પરિવારજનોએ સ્ટ્રેચરથી માંડીને વ્હીલચેર શોધવાથી માંડીને પરત મુકી જવા સુધીની પણ વ્યવસ્થા કરવી પડતી હોય છે.
કોન્ટ્રાક્ટના કર્મચારીઓને છુટા કરતાં હાલાકી
છેલ્લા દોઢ – બે વર્ષથી સુરત શહેરમાં કોરોના મહામારીને પગલે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 1700 જેટલા ડોક્ટર – નર્સ અને પેરામેડિકલના સ્ટાફની કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવી હતી. જેને પગલે સ્મીમેર હોસ્પિટલમાં મહદઅંશે વોર્ડ બોયના સ્ટાફની ઘટની સમસ્યા જોવા મળતી ન હતી, પરંતુ 1લી માર્ચથી કોન્ટ્રાક્ટ પર લેવામાં આવેલા તમામ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતાં હવે સ્થિતિ પુનઃ જેવી હતી તેવી બની જવા પામી છે.
ઓર્થો.ની ઓપીડીમાં બેની સામે એક જ વોર્ડ બોય
સ્મીમેર હોસ્પિટલના સૌથી વ્યસ્ત ઓપીડીમાં ઓર્થોપેડિક વિભાગનો સમાવેશ થાય છે. અહિંયા રોજના 300 જેટલા દર્દીઓ નિયમિત આવતાં હોવાને કારણે ડોક્ટરો અને સ્ટાફે હંમેશા ખડે પગે રહેવાની ફરજ પડતી હોય છે. હાલમાં પણ આ ઓપીડીમાં બે વોર્ડ બોયની જરૂર હોવા છતાં માત્ર એક વોર્ડ બોયથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. જેને પગલે નાછૂટકે દર્દીઓ અને તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મે આઈ હેલ્પ યુના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા
સુરત મહાનગર પાલિકા દ્વારા સને 2022-23ના ડ્રાફ્ટ બજેટમાં સ્મીમેર હોસ્પિટલમાં શહેરીજનોને સ્વાસ્થ્ય સંદર્ભે અદ્યતન સુવિધાઓ મળી રહે તે માટે 68 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય હોસ્પિટલમાં આવતાં દર્દીઓ અને તેઓના સગા- સંબંધીઓને સારવાર સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી કે મદદ મળી રહે અને હોસ્પિટલના આંતરિક વિભાગોમાં સંકલન જળવાય તે માટે મે આઈ હેલ્પ યુની વ્યવસ્થા કરવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ પ્રકારની સુવિધાઓની પોકળ વાતો વચ્ચે પણ વાસ્તવિકતા ખુબ જ બિહામણી છે.
આ પણ વાંચો : Surat : હોળી ધુળેટી બાદ વીક એન્ડ સાથે મીની વેકેશનના મૂડમાં વેપારી વર્ગ
આ પણ વાંચો : Surat: શેઠાણી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીની ધરપકડ કરાઇ, પોલીસે પૂછતાછ શરૂ કરી