Surat : રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ હવે આગામી 25 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય
બ્રિજ(bridge ) સેલના અધિકારી અમિત દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ જે ઝડપે કામગીરી ચાલી રહી છે તે ધ્યાને રાખતા સંભવતઃ 25 મી જુન સુધીમાં રિંગરોડ ફ્લાયઓવર બ્રિજની રિપેરિંગની કામગીરી પૂર્ણ થઈ જશે.
સુરત(Surat ) શહેરના રિંગરોડ પર આવેલ ફ્લાય ઓવર (flyover )બ્રિજની મંથરગતિએ ચાલી રહેલી સુપર સ્ટ્રક્ચર લિફ્ટીંગ અને બેરિંગ રિપ્લેસમેન્ટ સહિતની કામગીરીને પગલે બ્રિજ જુન (June ) મહિના સુધી વાહન વ્યવહાર માટે બંધ રહે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. અગાઉ 9 મેથી 15મી જુન સુધી રિંગરોડ પર આવેલ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જો કે, હજી પણ કામગીરી પૂર્ણ ન થતાં વધુ એક પખવાડિયા સુધી વાહન ચાલકો હાલાકીનો સામનો કરવો પડશે. રિંગરોડ પર આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર ફ્લાય ઓવર બ્રિજની સુપર સ્ટ્રક્ચર લિફ્ટીંગ – બેરિંગ રિપ્લેશમેન્ટ સહિતની કામગીરીને પગલ ગત 9મી માર્ચથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
16 જુન સુધી રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવા તારીખ નિર્ધારિત કરવા છતાં હજી પણ એક પખવાડિયા સુધી આ કામગીરી પૂર્ણ થાય તેવી કોઈ શક્યતા નજરે પડી રહી નથી. આ સ્થિતિમાં હવે વહીવટી તંત્ર દ્વારા આગામી 25મી જુન સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના કાપડ બજારને પગલે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ વાહન ચાલકો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. જોકે, છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી બ્રિજની રિપેરિંગની કામગીરીને પગલે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કાપડ માર્કેટોમાં રોજીંદા હજારો મુલાકાતીઓના આવાગમનને પગલે પીક અવર્સમાં રિંગરોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ કાયમી થઈ ચુકી છે ત્યારે હવે વધુ એક પખવાડિયા સુધી લોકોએ આ હાલાકીનો સામનો કરવો પડશે. જોકે, વહીવટી તંત્ર દ્વારા બ્રિજ નીચે બન્ને તરફ આવેલ રોડ પર વાહન પાર્ક કરવા સાથે માલ-સામાનના લોડિંગ – અનલોડિંગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં પણ ઘણી વખત ટ્રાફિક જામની સ્થિતિ વિકરાળ બની રહે છે.
રેલવે ફ્લાય ઓવરનું ઉદ્ઘાટન ટલ્લે ચડ્યું
રિંગરોડ પર આવેલા ફ્લાય ઓવર બ્રિજ સાથે સંકળાયેલા સહારા દરવાજા રેલવે ફ્લાયઓવર બ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. જો કે, હાલ રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજના રિપેરીંગની કામગીરીમાં વધુ એક પખવાડિયાનો સમય લાગે તેમ હોવાને કારણે હવે રેલવે ફ્લાય ઓવર બ્રિજનું ઉદ્ઘાટન પણ ટલ્લે ચઢ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તબક્કાવાર ફ્લાયઓવર શરૂ કરાશે
આ સંદર્ભે બ્રિજ સેલના અધિકારી અમિત દેસાઈએ જણાવ્યું હતું કે, હાલ જે ઝડપે કામગીરી ચાલી રહી છે તે ધ્યાને રાખતા સંભવતઃ 25 મી જુન સુધીમાં રિંગરોડ ફ્લાયઓવર બ્રિજની રિપેરિંગની કામગીરી પૂર્ણ થઈ જશે. જો કે, વાહન ચાલકોની હાલાકીને ધ્યાને રાખીને તબક્કાવાર ફ્લાયઓવર બ્રિજ શરૂ કરવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. જેમાં સહારા દરવાજાથી ચડતા તેમજ ઉતરતા રેમ્પ પહેલા અને ત્યારબાદ ફાલસાવાડી તરફથી ચડતા – ઉથરતા બન્ને રેમ્પને ખુલ્લો મુકવામાં આવશે.