Surat: ખજોદનો કચરો સુવાલીમાં ઠાલવવા સામે વિરોધ શરૂ, મુખ્યમંત્રીએ આપેલી ખાતરી સામે પ્રશ્નાર્થ
પાલિકાએ ખજોદ સાઈટનો કચરો સુંવાલી નદી કિનારે ખેડૂતો અને પશુપાલકો માટે 1948માં નવસાધ્ય કરેલી સુવાલીની સર્વે નંબર 76 અને 176 વાળી જમીન પર ઠાલવવા માટે દરખાસ્ત લાવવામાં આવતા હજીરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના ગામો અને ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે
Surat: સુરતના ખજોદ (Khajod) વિસ્તારમાં આવેલા ડ્રિમ સિટી પ્રોજેક્ટમાં સુરત ડાયમંડ બુર્સ નિર્માણ અંતિમ તબક્કામાં છે. ત્યારે હીરા ઉદ્યોગકારોએ સુરત મહાનગરપાલિકા (SMC)ની ખજોદ વેસ્ટ સાઈટ ખસેડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી. તેને પગલે મુખ્યમંત્રીએ છ મહિનામાં આ સાઈટ જ શિફ્ટ કરવા ખાતરી આપી હતી.
એ દરમિયાન પાલિકાએ ખજોદ સાઈટનો કચરો સુંવાલી નદી કિનારે ખેડૂતો અને પશુપાલકો માટે 1948માં નવસાધ્ય કરેલી સુવાલીની સર્વે નંબર 76 અને 176 વાળી જમીન પર ઠાલવવા માટે દરખાસ્ત લાવવામાં આવતા હજીરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના ગામો અને ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અહીંના આગેવાનોનું કહેવું છે કે 2019-20ના રાજ્ય સરકારના બજેટમાં સુવાલી બીચ વિકસાવવા જોગવાઈ કરવામાં આવી હતી. તે હેઠળકરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. ઘન કચરાનો નિકાલ નહીં થાય તો પ્રવાસીઓ સુંવાલી બીચ પર નહીં આવે. આ મામલે સુંવાળી અને જુના ગામની બેઠકમાં ઠરાવ કરી આંદોલનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. આ માટે જરૂર પડે તો કલેક્ટર અને પાલિકા કમિશ્નરને આવેદનપત્ર પણ આપવામાં આવશે.
ગામના આગેવાનોએ સુમુલ ડેરીના ડિરેક્ટર, એપીએમસી વાઈસ ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખને આવેદનપત્ર આપીને સુવાલીમાં કચરો ઠલવાય તેની સામે વિરોધ નોંધાવ્યો છે. આ મામલે સંદીપ દેસાઈએ સંગઠનમાં ચર્ચા કરી યોગ્ય ઉકેલની ખાત્રી આપી છે. આગેવાનોએ રજૂઆત કરી હતી કે 1948માં આ જગ્યા નવસાધ્ય થઈ હતી.
જેની દુરુસ્તી બાકી છે. આ જગ્યા પર પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત હળપતિ અને ખારવા સમાજના આગેવાનો માછીમારી કરી રોજગારી મેળવે છે. તેમના વ્યવસાય પર તેની વ્યાપક અસર જોવા મળશે.
સુવાલી તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલે જણાવ્યું છે કે સુવાલી ગામમાં સુરત મહાનગરપાલિકાનો ઘન કચરો ઠાલવવાની દરખાસ્ત સામે મુખ્યમંત્રી કલેકટરને આવેદન પત્ર મોકલીને વિરોધ નોંધાવ્યો છે. તેમાં જણાવ્યું છે કે કોર્પોરેટ કંપનીઓ માટે જમીન સંપાદન થયા પછી સુવાલીના ગ્રામજનો માટે આ એકમાત્ર જગ્યા પર છે.
જો સુરત મહાનગરપાલિકાનો કચરો સુવાલીમાં આવશે તો હાડા વિસ્તારના ગામોને ખેડૂત સમાજ સાથે મળીને આંદોલન છેડવામાં આવશે. અગાઉ ઓલપાડના પિંજરત ગામમાં કચરો ઠાલવવા સામે પણ ગ્રામીણ અને ખેડૂતોએ આદોલન છેડ્યા દરખાસ્ત કરાઈ હતી.
આ પણ વાંચો: Surat : ટોકિયો ઓલમ્પિકમાં સુરતનો ડંકો, સ્પોર્ટ્સ વેર ઇન્ડસ્ટ્રીમાં ચાઈનાને આપી પછડાટ