Surat: રાંદેરના 80 વર્ષીય વડીલે 47 દિવસની સંઘર્ષમય સારવાર બાદ કોરોનાને હરાવ્યો
વયોવૃદ્ધ રમાકાંતભાઈ (RamakantBhai)ને ફેફસામાં 90 ટકા ઈન્ફેક્શન હતું. તેઓ15 દિવસ વેન્ટિલેટર અને 5 દિવસ બાયપેપ પર રહ્યા હતા પણ આજે તેઓ કોરોના સામે લાંબો જંગ ખેલીને ઘરે પરત ફર્યા છે.
Surat: મજબૂત ઈરાદા અને તબીબોની મહેનત હોય તો કોરોના સામેની જંગ જીતી શકાય છે. આ વાતને રાંદેર (Rander)ના વડીલે સાર્થક કરી છે. વયોવૃદ્ધ રમાકાંતભાઈ (RamakantBhai)ને ફેફસામાં 90 ટકા ઈન્ફેક્શન હતું. તેઓ15 દિવસ વેન્ટિલેટર અને 5 દિવસ બાયપેપ પર રહ્યા હતા પણ આજે તેઓ કોરોના સામે લાંબો જંગ ખેલીને ઘરે પરત ફર્યા છે. છેલ્લા એક વર્ષના કોરોનાકાળ દરમિયાન કોરોનામાંથી વડીલો મોટી સંખ્યામાં સ્વસ્થ થયા છે.
રાંદેરના 80 વર્ષીય વડીલે 47 દિવસની સંઘર્ષમય સારવાર બાદ કોરોનાને પરાસ્ત કર્યો છે. વયોવૃદ્ધ રમાકાંતભાઈ 15 દિવસ વેન્ટિલેટર, 5 દિવસ બાયપેપ અને 4 દિવસ ઓક્સિજન સપોર્ટ પર રહ્યાં હતા. ફેફસામાં 90 ટકા કોરોનાનું ઈન્ફેક્શન લાગી ચૂક્યું હતું, એ સંજોગોમાં તેમનું સ્વસ્થ થવું એ કોઈ ચમત્કારથી કમ નથી. કોરોના સામે લાંબો જંગ ખેલીને તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. ત્યારે કુલકર્ણી પરિવારની ખુશીનો કોઈ પાર ન હતો.
રમાકાંતભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. રાંદેરની ગાયત્રી સોસાયટી, નવયુગ કોલેજ પાછળ પરિવાર સાથે રહે છે. ગત તા.11 એપ્રિલે સામાન્ય લક્ષણો સાથે કોરોના પોઝિટિવ આવતા રિંગ રોડની નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ સમયે તેમને ફેફસામાં 90 ટકા જેટલું સંક્રમણ હતું. આવી ગંભીર સ્થિતિમાં તેમના પરિવારને તેમના બચવાની કોઈ આશા ન હતી.
હોસ્પિટલના ડો.ગૌરિશ ગડબેલે જણાવ્યું હતું કે તા.11 એપ્રિલે તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ સાથે દાખલ થયેલા વડીલના એચઆરસિટીમાં 85થી 90 ટકા જેટલું ફેફસામાં કોરોનાનું ઈન્ફેક્શન જણાયું. તેઓ જ્યારે દાખલ થયા ત્યારે હાલત અત્યંત ગંભીર હતી અને ઓક્સિજન લેવલ ઘટી જતા તાત્કાલિક આઈસીયુમાં બાયપેપ પર રાખી સારવાર શરૂ કરી. શ્વાસ લેવામાં વધુ તકલીફ થતી હોવાથી તેમને 15 દિવસ વેન્ટિલેટર પર પણ રાખ્યા હતા.
આઈસીયુમાં સારવાર દરમ્યાન ICMR અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એન્ટીબાયોટિક અને સપોર્ટિવ દવા સાથેની સારવાર પણ આપવામાં આવી હતી. ધીરે ધીરે સારવાર બાદ તબિયતમાં સુધારો આવતા બાહ્ય ઓક્સિજનની માત્રા ઘટાડતા ગયા. લાંબી પરંતુ યોગ્ય સારવારના કારણે ધીમે ધીમે તબિયતમાં સુધારો જણાતા નોર્મલ એર રૂમ પર શિફ્ટ કર્યા હતા. જનરલ વોર્ડમાં 26 દિવસ રાખ્યા બાદ અંતે તેઓ કોરોનામુક્ત થયા હતા.
તા.27મી મેના રોજ રજા આપવામાં આવી હતી. તેમનો તબીબી સ્ટાફ હંમેશા તેમનો ઉત્સાહ વધારી કહેતા કે,‘તમે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશો’ તેમના પરિવારમાં પુત્રવધુ પણ કોરોનાગ્રસ્ત હતા, જે સ્વસ્થ થયા છે. કોરોનામુક્ત થયેલા રમાકાંતભાઈએ જણાવ્યું હતું કે હોસ્પિટલમા વિતાવેલા 47 દિવસ ક્યારેય ભુલાશે નહીં. હું ક્યારે સાજો થઈને ઘરે જઈશ, સાજો થઈશ કે નહીં એ પણ જાણ ન હતી. સઘન સારવારથી હું મૃત્યુના મુખમાંથી ઉગર્યો છું.
આ પણ વાંચો: AHMEDABAD: મિત્રતામાં પ્રેમ થયો અને પ્રેમમાં પહોચી ગયા પોલીસ સ્ટેશન, જાણો આખો મામલો