Surat : રક્ષાબંધનનો તહેવાર જવેલર્સને ફળ્યો, વેપાર 100 કરોડને પાર
તહેવારોની મોસમ જવેલર્સને ફળી, સારી ખરીદી નીકળતા જવેલર્સ બજારમાં રોનક પાછી ફરી છે.
કોરોનાના કારણે છેલ્લા દોઢ વર્ષથી જવેલર્સ બજારમાં કારમી મંદીનો ઓછાયો પડ્યો હતો. જોકે છેલ્લા બે અઠવાડિયાથી રક્ષાબંધનની જે ખરીદી જોવા મળી છે તેને લઈને જવેલર્સમાં ફરી એકવાર ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને બજારમાં રોનક ફરી એકવાર પાછી ફરી છે.
કોરોનામાં લોકોના વેપાર ધંધા બંધ થઇ જતા લોકોની ખરીદ શક્તિ એકદમ ઓછી થઇ ગઈ હતી. જેથી ખરીદ શક્તિમાં ઘટાડો થવાના કારણે મોટી અસર જવેલર્સ પર પણ પડી હતી. કોરોના, લોકડાઉન અને અનલોક પછી પણ માર્કેટમાં કોઈ ખાસ ચહલ પહલ ન દેખાતા જવેલર્સ ચિંતામાં હતા.
લગ્નમાં પણ મર્યાદિત હાજરીને જ મંજૂરી હોવાથી લગ્ન પ્રંસગો પણ સાદાઈથી જ કરવામાં આવતા હતા. જેથી લોકોએ દાગીના ખરીદવાનું પણ ઓછું કરતા શહેરના જવેલર્સ કપરા દિવસો પસાર કરી રહ્યા હતા. જોકે તહેવારોની મોસમ શરૂ થતા હવે ફરી એકવાર નવો સંચાર થયો છે.
હાલમાં કોરોનાની બીજી લહેરની સ્થિતિ નિયંત્રિત થતાની સાથે જ છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં બે વાર ઘટાડો અને એકવાર વધારો થયો હતો. આવનારા અન્ય તહેવારો વખતે ફરીથી સોનાના ભાવ વધે તેની ચિંતા વચ્ચે હમણાંથી જ રોકાણકારો દ્વારા નાની મોટી ખરીદી શરૂ કરવામાં આવી છે.
રક્ષાબંધનની ખરીદી અંગે સુરત જવેલર્સ એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, એકદંરે માર્કેટ સારું રહ્યું છે. લોકલની સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટમાં સારી ડિમાન્ડ છે. લોકોએ તહેવારો, લગ્ન પ્રસંગ અને રોકાણ માટે ખરીદી ધીરે ધીરે શરૂ કરી છે. સોનાના ભાવ પણ તેમાં એક અસરકારક પાસું રહ્યું છે.
ઇન્ડિયન સ્ટેટ ડિરેક્ટરે જણાવ્યું છે કે, ડાયમંડ પ્રત્યે લોકોનો વધેલો ઉત્સાહ જવેલરીની ખરીદીમાં પણ દેખાઈ રહ્યો છે. ચાંદીની રાખડીઓની સાથે સોનાના કળા, બ્રેસલેટ, લકી જેવી વસ્તુઓની ખરીદી સારા પ્રમાણમાં થઇ છે. રક્ષાબંધનનો જે વેપાર થયો છે તે અંદાજે 100 કરોડને પાર થયો છે.
આમ, તહેવારો શરૂ થતા બજારમાં ફરી એકવાર રોનક આવી છે અને જવેલર્સ પણ ખુશ દેખાઈ રહ્યા છે. આવનારા દિવસોમાં શરૂ થનારી લગ્નસરાની સીઝનમાં પણ સારી ખરીદી નીકળે તેવો જવેલર્સને આશાવાદ છે.
આ પણ વાંચો :