Surat : નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાની તૈયારી પણ વાલીઓની અગ્નિ પરીક્ષા યથાવત
જૂન મહિનાની શરૂઆત સાથે જ નવા શૈક્ષણિક સત્રની (Academic Year) શરૂઆત હવે થવા જઈ રહી છે. પરંતુ વાલીઓની ચિંતા હજી યથાવત રહેવા પામી છે.
Surat : જૂન મહિનાની શરૂઆત સાથે જ નવા શૈક્ષણિક સત્રની (Academic year) શરૂઆત હવે થવા જઈ રહી છે. પરંતુ વાલીઓની ચિંતા હજી યથાવત રહેવા પામી છે. બાળકોના ભણતરની સાથે ત્રીજી લહેરની સંભાવના જોતા માતા-પિતાના માથે બેવડી ચિંતા વધી છે. દોઢ વર્ષ કોરોનાને પૂર્ણ થવા આવ્યું છે ત્યારે બાળકોના અભ્યાસને (Education) લઈને વાલીઓમાં અસમંજસ જોવા મળી રહી છે.
ધોરણ 1 થી 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ત્યારે આ ધોરણમાં ભણતા બાળકોના વાલીઓને મૂંઝવણ એ છે કે તેમના સંતાનોના અભ્યાસનો પાયો જ કાચો રહી જવાનો છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા કરિશ્માબેનનું કહેવું છે કે ઓનલાઇન અભ્યાસથી બાળકોનું ભણતર વધારે બગડ્યું છે. એકતરફ વાલીઓ મોબાઈલથી બાળકોને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે તો બીજી તરફ ઓનલાઇન એજ્યુકેશનના નામે બાળકોને મોબાઈલ અને કોમ્યુટર આપવાની વાત ખોટી છે. તેનાથી તેમની આંખો અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે.
અન્ય એક વાલીનું કહેવું હતું કે માસ પ્રમોશનથી તેમનું બાળક ખુબ ખુશ છે. પણ તેમને ચિંતા એ વાતની છે કે બાળકને હજી બેઝિક એજ્યુકેશનની સમજ જ નથી આવી. તો આગળના ધોરણમાં કઈ રીતે તે ધ્યાન આપી શકશે. બાળકોનું દોઢ વર્ષ અભ્યાસને બદલે ઈતર પ્રવૃતિઓમાં જ વધારે રહ્યું છે.
અન્ય એક માતાનું કહેવું હતું કે તેઓ વર્કિંગ વુમન છે અને તેમનું બાળક નર્સરીમાં આવ્યું છે. હજી બાળકને પેન પેન્સિલ કઈ રીતે પકડવું તે શીખવવામાં તેમને મુશ્કેલી પડે છે કારણ કે આ કામ એક શિક્ષક જ સારી રીતે કરી શકે છે. હજી સુધી સરકારે ફી માં રાહત આપી નથી તો બીજી તરફ શાળા શરૂ થવાની કોઈ સંભાવના નથી. તેવામાં કોરોના સમયમાં જે વાલીઓની આર્થિક સ્થિતિ કથળી છે તેમનો વિચાર હજી સુધી કરવામાં આવ્યો નથી.
શાળાઓ શરૂ થવી જોઈએ કે નહીં તે અંગે વાલીઓનો એક મત એ છે કે ત્રીજી લહેરની ભીતિ તેમને વધારે છે. સરકારે વાલીઓને ફીમાં રાહત આપવી જોઈએ અને શાળાઓ ખોલવાનો નિર્ણય હમણાં મોકૂફ રાખવો જોઈએ.