પોતે નાપાસ થયા હોવાની માર્કશીટ પોસ્ટ કરીને, ઓલપાડના PI એ વિદ્યાર્થીઓને કહ્યુ નાપાસથી નાસીપાસ ના થશો
સુરત (Surat ) જિલ્લાના ઓલપાડ પોલિસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા બી.કે ખાચરે પરિક્ષાના પરિણામ અંગેના પોતાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જે ખરેખર સારી વાત છે.
આપણે ત્યાં શિક્ષણ(Education ) અને પરિક્ષા પધ્ધતિમાં ઘણી ત્રૂટીઓ છે. તેમાંય બોર્ડની પરિક્ષા(Exam ) વિદ્યાર્થીઓ માટે અગ્નિ પરિક્ષા બનાવી દેવાઇ છે. આ પરિક્ષાનું પરિણામ (Result ) જાણે જીવન મરણનો પ્રશ્ન બનાવી દેવાયો હોય તે રીતે વિદ્યાર્થીઓ પર પરીક્ષાના પરિણામનું દબાણ હોય છે. જાણે આ જીવન ની છેલ્લી પરીક્ષા હોય તેવો લોકો હાઉ ઉભો કરતા હોય છે. સાથે જ તેના કારણે વિદ્યાર્થીઓ પણ સતત બિનજરુરી દબાણમાં રહેતા હોય છે. વિદ્યાર્થીઓમાં આ દબાણ હળવું કરવા માટે ઘણાં બધા ક્ષેત્રમાં સફળ રહેલા, નામના કરી ચૂકેલા વ્યક્તિઓ આગળ આવે છે. સેમિનારો પણ કરવામાં આવતા હોય છે. તેવામાં અત્યારે સોશિયલ મીડિયા માં આ બાબતે વધુ મેસેજો કરવામાં આવતા હોય છે.
આવી જ એક વ્યક્તિ છે. પોલીસ ઇન્સપેક્ટર બી. કે. ખાચર. સુરતના ઓલપાડ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ બી.કે ખાચર ધો.12ની પરિક્ષામાં નાપાસ થયા હતાં. પરંતુ આ એક નિષ્ફળતાં જીવનમાં ફૂલસ્ટોપ લાવી દેતી નથી. સફળ થવાનો માર્ગ રોકી દેતી નથી એવા સંદેશ સાથે તેમણે પોતાની ધોરણ-12 ની માર્કશીટ સોશિયલ મીડિયામાં જાહેર કરી છે. તે ચર્ચા નો વિષય બન્યો છે.
આમતો પોલીસ વિભાગ ના કોઈ અધિકારી પોસ્ટ મૂકે તો વિવાદ સર્જાતો હોય છે. પણ આ વખત કંઈક અલગ જ છે. સુરત જિલ્લાના ઓલપાડ પોલિસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા બી.કે ખાચરે પરિક્ષાના પરિણામ અંગેના પોતાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જે ખરેખર સારી વાત છે અને વિદ્યાર્થીઓ માટે નોંધ લેવા જેવી જરૂર છે. પીઆઇ ખાચરે વર્ષ 2002 ધોરણ 12ની પરીક્ષા આપી હતી, પરંતુ તેમાં પ્રથમ પ્રયત્નો સફળ રહ્યા ન હતાં. બોર્ડની પરીક્ષામાં નાપાસ થયાં બાદ પણ બી. કે ખાચર હિંમત હાર્યા નહોતા.
રસ્તામાં ઠોકર વાગે અને પડી જવાય તો માણસ ચાલવાનું થોડી છોડી દે છે. આ ઠોકરથી શીખીને સંભાળીને આગળ વધે જ છે ને. આ જ વાતથી હિંમત કેળવી તેઓએ વધું વ્યવસ્થિત રીતે સારુ માર્ગદર્શન મેળવી અભ્યાસ ચાલુ રાખ્યો અને સફળતાં મેળવી હતી. નિષ્ફળતાંથી ડરો નહી, તૂટો નહી, તેમાંથી શીખો અને મજબૂત બનો એવું માનનારા બી. કે ખાચર જીવનના પડાવો પાર કરતાં રહ્યા અને આખરે તેમણે જીત હાંસલ કરી લીધી હતી.
આ પોસ્ટ સોશિયલ મીડિયા માં સતત વાયરલ પણ થઈ રહી છે.પોલીસ ઇન્સપેક્ટર તરીકે સારી નામના ધરાવતાં બી.કે ખાચર કહે છે કે “કોશિષ કરને વાલો કી કભી હાર નહીં હોતી” ખાચરે પોતાના ફેસબુક આઈડી ઉપર પોતાની ધોરણ-12ની નાપાસની માર્કશીટ જાહેર કરી વિદ્યાર્થીઓનું મનોબળ વધારી રહ્યા છે. પી.આઈ બી.કે ખાચરનો સોશિયલ મીડિયામાં પોતાની માર્કશીટ જાહેર કરવાનો હેતુ એ જ છે કે પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ હતાશ થવાની જરૂર નથી. આ તેમનું આખરી પરિણામ નથી.તમે ધારો તો કઈ પણ કરી શકો.
ધોરણ-10 અને 12માં નાપાસ થયેલો વ્યક્તિ પણ જીવનમાં સફળ થઈ શકે છે. ત્યારે માતા-પિતાએ પણ આવા વિદ્યાર્થીઓને ઠપકો આપવાને બદલે હિંમત અને પોત્સાહન આપવું જોઈએ. જેથી વિદ્યાર્થીઓ કોઈ ખરાબ પગલું પણ ન ભરે. ખાચરનો વિદ્યાર્થીઓને એક જ મેસજ છે કે હિંમત ન હારવી. સફળતાંથી છકી જવું નહીં, નિષ્ફળતાંથી ડરી જવું નહી. તમે કોશિશ કરતાં રહો જીવનમાં એક દિવસ ચોક્કસ સફળતા મળશે.