Surat : કોર્પોરેશનનો છબરડો : પરવટગામમાં લોકોને 1 લાખ સુધીનુ પાણીનુ બિલ મળ્યું, બંધ મિલકતનું બિલ પણ 74 હજાર
આ ટેક્નિકલ (Technical )ભુલથી મેસેજ થયા છે.પાણીના બીલના સાચા મેસેજ હજુ જનરેટ થયા નથી અને યોગ્ય વેરિફિકેશન કર્યા બાદ બીલ જનરેટ થશે તેથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.
સુરત મહાનગરપાલિકા (SMC) સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ છે. કોર્પોરેશન દ્વારા તબક્કાવાર શહેરના અલગ અલગ ઝોનમાં(Zone ) 24 કલાક પાણી(Water ) આપવાની યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મનપા દ્વારા શહેર ઘણા વિસ્તારોમાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે. જો કે આ યોજનાનો પાયલટ પ્રોજેકટ ન્યુ કતારગામ ઝોનથી ઓળખાતા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યો હતો. અને ત્યારથી પાણીના મસમોટા બીલ મુદ્દે વિરોધ શરૂ થયો જ છે. ત્યારે ફરી એકવાર જે જે નવા વિસ્તારમાં આ રીતે પાણીના મીટરની યોજના લાગુ કરાય છે તેમાં પણ રોજ કોઇને કોઇ વિવાદ સામે આવી રહ્યો છે. સ્માર્ટ સિટી વિસ્તારમાં સમાવિષ્ટ લિંબાયત ઝોનના પરવટ ગામ વિસ્તારમાં પણ 2200થી વધુ મિલકતદારોને ત્યાં પણ હવે પાણી મીટર લગાવવામાં આવ્યા હતા. પણ બુધવારે અચાનક જ રૂપિયા 15 હજારથી એક લાખ જેટલું પાણીના બીલના મેસેજ આવતા હોબાળો મચી ગયો હતો.
પાંચ વર્ષથી બંધ પડેલી મિલ્કતમાં પણ 74 હજારનું પાણીનું બિલ આવ્યું :
નવાઈની વાત તો એ છે કે પરવટ ગામમાં પાંચ વર્ષથી બંધ છે તે મિલકતમાં પણ 74 હજારનું બિલ જનરેટ થયાનો મેસેજ આવ્યો છે. મળતી માહિતી મુજબ પરવત ગામ વિસ્તારમાં ઇજારદાર એજન્સી દ્વારા તાજેતરમાં જ પાણી મીટર લગાવ્યા બાદ પ્રથમ વાર બિલ ઈશ્યુ કરવાની પ્રોસિઝર ચાલી રહી છે. જે અંતર્ગત 2200 જેટલા મિલકતદારોને મોબાઇલ પર 1 લાખ સુધીના પાણીના બિલના મેસેજ આવતા મિલકતદારો પણ ચોંકી ઉઠ્યા હતા અને દોડતા થયા હતા. એક સ્થાનિકનું કહેવું છે કે મને 10 હજારનું પાણીનું બિલ મળ્યું છે, જેટલો વપરાશ પણ અમે કર્યો નથી. આવું જ રહેશે તો અમને આ પાણીની યોજના મંજુર નથી.
ટેક્નિકલ ભૂલથી મેસેજ થયો હોવાનું કોર્પોરેશને સ્વીકાર્યું :
આ દરમિયાન હોબાળાને પગલે કોર્પોરેશન દ્વારા બીજા મેસેજ કરવામાં આવ્યા હતા કે આ ટેક્નિકલ ભુલથી મેસેજ થયા છે.પાણીના બીલના સાચા મેસેજ હજુ જનરેટ થયા નથી અને યોગ્ય વેરિફિકેશન કર્યા બાદ બીલ જનરેટ થશે તેથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. જો કે પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવા ઘાટથી પરવટ ગામના મિલકતદારોમાં પણ બીલ જનરેટ કંપની સામે અવિશ્વાસની લાગણી ઉભી થઇ છે. કે આ તમામ મિલકતોમાં એક સાથે ભુલ થઇ એટલે તુરંત નિરાકરણ આવી ગયું છે. પરંતુ જો એકાદ બે મિલકતમાં એજન્સી આવી ભૂલ કરે તો લોકોએ ત્યા ન્યાય માટે કેટલા ધક્કા ખાવા પડશે. કેમકે હદ તો ત્યાં થઇ છે કે પરવટ ગામમાં પાંચ વર્ષથી એક મિલ્કત બંધ છે તે મિલકતમાં પણ 74 હજારનું બીલ જનરેટ થયાનો મેસેજ આવ્યો છે.