Surat : એક મહિનામાં કોરોનાના 260 દર્દી પૈકી 190 થી વધુ વેક્સીનેટેડ, 43 વિદ્યાર્થીઓ પણ સંક્રમિત
હાલ સુરતમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે ત્યારે નિષ્ણાંતોના મતે, 9 - 12 મહિના પહેલા વેક્સીનના બન્ને ડોઝ લેનારા નાગરિકોમાં એન્ટીબોડીનું પ્રમાણ ઘટી રહ્યું હોવાને કારણે પણ તેઓ સંક્રમણનો ભોગ બની રહ્યા છે.
સુરત સહિત દેશભરમાં ઓમિક્રોન (Omicron ) વેરિયેન્ટના હાહાકાર વચ્ચે કોરોનાના (Corona ) કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં જ છેલ્લા એક મહિનામાં કોરોનાના 260 જેટલા કેસો નોંધાયા છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે આ પૈકી વેક્સીનના બન્ને ડોઝ લેનારા દર્દીઓની સંખ્યા 190થી વધુ છે, જ્યારે વેક્સીન ન લીધી હોય તેવા માત્ર સાત નાગરિકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.
શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઓમીક્રોન વેરિયેન્ટના હાહાકાર વચ્ચે ડેલ્ટા વેરિયેન્ટના પણ સતત વધી રહેલા કેસોને પગલે મનપાનું આરોગ્ય વિભાગ વધુ એક વખત સાબદું થઈ ચુક્યું છે. છેલ્લા એક મહિનામાં માત્ર સુરત શહેરમાં જ કોરોનાગ્રસ્ત કુલ દર્દીઓનો આંકડો 261 પર પહોંચી ગયો છે. જેમાં 199 દર્દીઓએ વેક્સીનના બન્ને ડોઝ લઈ લીધા હતા. જ્યારે 12 દર્દીઓએ એવા છે કે જેઓએ વેક્સીનનો માત્ર પહેલો જ ડોઝ લીધો હતો. જ્યારે વેક્સીનનો એક પણ ડોઝ ન લીધો હોય તેવા સાત નાગરિકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. આમ, વેક્સીનના બન્ને ડોઝ લીધા હોવાને કારણે બેફિકર બનીને કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરનારાઓ કોરોના સંક્રમણનો શિકાર બની રહ્યા છે.
ગાઈડ લાઈનનું પાલન જ એકમાત્ર વિકલ્પઃ નિષ્ણાંત શહેરમાં સતત વધી રહેલા કેસો વચ્ચે વેક્સીનના બન્ને ડોઝ લીધા હોવા છતાં મોટી સંખ્યામાં કોરોના સંક્રમણનો ભોગ બની રહેલા નાગરિકો સંદર્ભે શહેરના જાણીતા તબીબે જણાવ્યું હતું કે, હાલ સુરતમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે ત્યારે 9 – 12 મહિના પહેલા વેક્સીનના બન્ને ડોઝ લેનારા નાગરિકોમાં એન્ટીબોડીનું પ્રમાણ ઘટી રહ્યું હોવાને કારણે પણ તેઓ સંક્રમણનો ભોગ બની રહ્યા છે. રાહતની વાત એ છે કે, વેક્સીનના ડોઝ લીધા હોવાને કારણે સંક્રમણનો ભોગ બનેલા નાગરિકોને હાલના તબક્કે ગંભીર સારવારની આવશ્યકતા પડી રહી નથી. આમ, વેક્સીનના ડોઝ લીધા હોવા છતાં નાગરિકોએ કોવિડ-19ની ગાઈડ લાઈનનું પાલન કરવું હિતાવહ છે.
કોરોના મહામારીના ત્રીજા તબક્કાથી સુરત શહેરને બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં મહાનગર પાલિકા દ્વારા કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે મહત્તમ સંખ્યામાં ટેસ્ટિંગ સાથે બુસ્ટર ડોઝ પર પણ સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન અનુસાર શહેરમાં પહેલા કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ અને સિનીયર સિટીઝનને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. આ સિવાય બાળકોના વેક્સીનેશન પર પણ સર્વેના આધારે વેક્સીનની કામગીરી હાથ ધરવામાં આવશે.
ચિંતાનો વિષયઃ 43 વિદ્યાર્થીઓ પણ સંક્રમણનો ભોગ બન્યા છેલ્લા એક મહિના દરમ્યાન કુલ નોંધાયેલા 261 કેસો પૈકી 43 વિદ્યાર્થીઓ પણ સંક્રમણનો ભોગ બન્યા હોવાને કારણે વાલીઓની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારમાં મનપા દ્વારા શાળાઓમાં ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે અત્યાર સુધી 43 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. જેને પગલે હવે વિદ્યાર્થીઓને શાળાએ અભ્યાસ માટે મોકલવા કે કેમ તે અંગે પણ વાલીઓમાં અવઢવ જોવા મળી રહ્યું છે.
સુરતીઓને સાવચેત રહેવા કમિશનર પાનીની અપીલ શહેરમાં સતત વધી રહેલા કેસો વચ્ચે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વધુ એક વખત સુરતીઓને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે, ઓમીક્રોન વેરિયેન્ટની દહેશત વચ્ચે હાલ સુરતમાં ડેલ્ટા વેરિયેન્ટના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. જે ચિંતાનો વિષય છે. આ સ્થિતિમાં નાગરિકોએ વિશેષ તકેદારી રાખવાની સાથે – સાથે કોવિડ-19ની ગાઈડ લાઈનનું અચૂક પાલન કરવું જોઈએ. હાલના તબક્કે નાગરિકોએ ફરજીયાત માસ્ક પહેવાની સાથે શક્ય હોય ત્યાં સુધી સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કરવું હિતાવહ છે. હાલ કોવિડ-19નો સેન્ટ્રલ વોર રૂમ કાર્યરત છે જ્યારે આગામી દિવસોમાં પ્રત્યેક ઝોનમાં પણ અલાયદો વોર રૂમ શરૂ કરવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat : પક્ષીઓ માટે ખોરાક શોધવાનું શ્રેષ્ઠ સ્થળ સુરત એરપોર્ટની આસપાસનો વિસ્તાર, 5 વર્ષમાં 88 બર્ડહિટની ઘટના : તારણ
આ પણ વાંચો : Surat : કુપોષણ નાથવા સરકારી યોજનાઓ કેટલી સફળ તેનું સંશોધન કરશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી