Surat: દક્ષિણ ભારતમાં લોકડાઉન લંબાતા જરી ઉધોગના ઓર્ડર અટવાયા, રોજનું 2 કરોડનું ટર્ન ઓવર ઠપ્પ
સુરતનો સૌથી પરંપરાગત ઉદ્યોગ તરીકે જરી ઉદ્યોગ જાણીતો છે. એક સમયે સુરતમાં જરી ઉદ્યોગ સુરતની શાન ગણાતો હતો. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સુરતનો જરી ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે.
સુરતનો સૌથી પરંપરાગત ઉદ્યોગ તરીકે જરી ઉદ્યોગ જાણીતો છે. એક સમયે સુરતમાં જરી ઉદ્યોગ સુરતની શાન ગણાતો હતો. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સુરતનો જરી ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે.
હાલ કોરોનાના (Corona) કારણે આ ઇન્ડસ્ટ્રીઝને 90 ટકા અસર થઈ છે. ખાસ કરીને આ સીઝનમાં દક્ષિણ ભારતમાં જરીના તાર જે વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં સાડી બનાવવા માટે ઉપયોગી છે, તે વપરાય છે. પણ હાલ કોરોના અને અન્ય રાજ્યોમાં લોકડાઉન (Lockdown) જેવી સ્થિતિના કારણે લગ્ન સમારંભ, મોટા શોરૂમ અને સાડીની ખરીદી બંધ છે, ત્યારે રોજના જે 400 પાર્સલ જતા હતા તે હવે તદ્દન બંધ થઈ ગયા છે. રોજના 2 કરોડના ટર્ન ઓવર હાલ ઝીરો થઈ ગયું છે.
સુરતનો જરી ઉદ્યોગ મોટાભાગે દક્ષિણ ભારત પર નિર્ભર છે. પરંતુ અત્યારે જરીના એકમોની હાલત વધુ દયનીય બની ગઇ છે. દક્ષિણ ભારતમાં લોકડાઉન (Lockdown) લંબાતા જરી ઉદ્યોગના ઓર્ડર પણ અટવાઈ ગયા છે. બીજી બાજુ રો મટિરિયલ્સના ઊંચા ભાવની સાથે જૂનું પેમેન્ટ પણ ક્લિયર ન થતા એકમો કેવી રીતે શરૂ કરવા તે એક મોટો પડકાર બની ગયો છે.
ગુજરાત સરકારે 21 મી તારીખથી વેપાર-ધંધા શરૂ કરવા પરવાનગી તો આપી દીધી છે, પરંતુ હજી પણ રાજ્ય બહારના બજારો બંધ હોવાથી ધંધાર્થીઓને વેપાર કરવો મુશ્કેલ થઈ ગયો છે.
જરી એસોસીએશનના સેક્રેટરી બિપિન જરીવાળા કહે છે કે, આ લોકડાઉનને કારણે સમગ્ર વેપાર સાયકલને અસર થઈ છે. સુરતની સાથોસાથ દક્ષિણના વેપારીઓની પણ વેપાર સાઈકલ ખોરવાઈ ગઈ છે. જેને કારણે જૂનું પેમેન્ટ ક્લિયર નહીં થવાની સાથે નવા ઓર્ડરો આવતા અને એકમો શરૂ થતા હજી એક મહિનાથી વધુ સમય વીતી જશે.
સુરતની વાત કરીએ તો સુરત શહેરમાં બે હજારથી વધુ જરીના એકમો છે. જેની સાથે અંદાજે 1 લાખથી પણ વધુ કાર્યકરો સંકળાયેલા છે. 21 મીથી સરકારે વેપાર-ધંધા શરૂ કરવા માટે પરવાનગી આપી દીધી છે. પરંતુ સમગ્ર કાપડ ઉધોગ માટે પણ નવું પ્રોડક્શન શરૂ કરવુ મુશ્કેલ બન્યું છે. જેમાં વેલ્યૂ એડિશન માટેની સ્થિતિ વધુ દયનીય બની છે. ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દોઢ લાખ પરિવારો પણ દયનિય સ્થિતિમાં મુકાઈ ગયા છે.
એમ્બ્રોઇડરીની જેમ જરી ઉદ્યોગને એકમોને પણ હજુ સંપૂર્ણ રીતે કાર્યરત થતા એક મહિનાથી વધુ સમય લાગશે. સ્થાનિક જરી ઉત્પાદકોનું કહેવું છે કે, રમજાન અને લગ્ન સિઝનમાં સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ હતી જેના કારણે વેપાર મળી શક્યો નથી.