Surat : શિક્ષણ સમિતિની શાળામાં ભારત માતાના હાથમાં રાષ્ટ્રધ્વજના બદલે ભગવો ઝંડો દેખાતા કોંગ્રેસે કર્યો વિરોધ
જો શાસકોને ખરા અર્થમાં દેશ (Country) પ્રત્યે સન્માન હોય તો તાત્કાલિક અસરથી શિક્ષણ સમિતિની શાળાઓમાં લગાવવામાં આવેલ ભારત માતાની તસવીરમાંથી ભગવો દૂર કરીને તિરંગા લગાવવામાં આવે.
સુરત મહાનગરપાલિકા(SMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદોના(Controversy ) મધપુડા સમાન સાબિત થઈ છે. અને હવે સુરતમાં આ સરકારી શાળાઓમાં(School ) ભારત માતાની તસવીર વિવાદનું કેન્દ્ર બનવા પામી છે. એક તરફ સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ શિક્ષણ સમિતિની શાળાઓમાં લગાવવામાં આવેલ તસવીરમાં ભારત માતાના હાથમાં તિરંગાને બદલે ભગવો ઝંડો હોવાને કારણે હવે આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ ઉઠાવવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતાં દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના પ્રજ્જવલ્લિત થાય તે હેતુથી ભારત માતાની તસવીર લગાવવામાં આવી છે. જોકે, આ તસવીરમાં ભારત માતાના હાથમાં તિરંગાને બદલે ભગવો ઝંડો વિવાદનું કેન્દ્ર બનવા પામ્યું છે.
આ સંદર્ભે કોંગ્રેસી આગેવાનોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ શહેરની 300થી વધુ શાળાઓમાં ભારત માતાના હાથમાં તિરંગાને બદલે ભગવો ઝંડો લહેરાઈ રહ્યો છે.
ભારત માતાના ફોટોમાં પહેલા રાષ્ટ્રધ્વજ હતો : કોંગ્રેસ
શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ સભ્ય સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે આ પહેલા શિક્ષણ સમિતિની શાળાઓમાં લાગતા ભારત માતાના ફોટામાં તિરંગો લગાવવામાં આવતો હતો. પણ છેલ્લા કેટલાક સમયથી તેમાં જડમૂળથી ફેરફાર કરી દેવામાં આવ્યો છે. હવે ભારત માતાના હાથમાં રાષ્ટ્રધ્વજ નહીં પણ ભગવા રંગનો ઝંડો જોવા મળી રહ્યો છે. આ અંગે જણાવ્યું હતું કે, જો શાસકોને ખરા અર્થમાં દેશ પ્રત્યે સન્માન હોય તો તાત્કાલિક અસરથી શિક્ષણ સમિતિની શાળાઓમાં લગાવવામાં આવેલ ભારત માતાની તસવીરમાંથી ભગવો દૂર કરીને તિરંગા લગાવવામાં આવે.
અમારી પાસે કોઈ રજૂઆતો આવી નથી : શિક્ષણ સમિતિ ચેરમેન
આ અંગે TV9 શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશ શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે ઉમેર્યું હતું કે હજી કોંગ્રેસ પક્ષ દ્વારા કે અન્ય કોઈ આગેવાનો દ્વારા મારી પાસે આ બાબતને લઈને કોઈ રજુઆત આવી નથી. જેથી હમણાં આ વિષય પર બોલવું યોગ્ય નથી લાગતું. જોવાનું એ રહે છે કે એકબાજુ હર ઘર તિરંગાની વાતો કરવામાં આવે છે, ત્યાં ભારત માતાના હાથમાં તિરંગાની જગ્યાએ ભગવા રંગના ઝંડાએ સ્થાન લેતા વિવાદ ઉભો થયો છે. એ વિવાદને હવે કેવી રીતે થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.