Surat : ખોટનો ખાડો છતાં બહુજન હિતાય બહુજન સુખાય માટે બસસેવા યથાવત રાખતી SMC
2013-14માં જયારે બસ સેવા શરૂ થઇ ત્યારે કોર્પોરેશનને 10 લાખની આવક સામે 50 લાખનો ખર્ચ થયો હતો, તે વધીને હવે વર્ષ 2020-21માં 26.31 કરોડની આવક સામે 107.90 કરોડનો ખર્ચ કોર્પોરેશનને બસસેવા પાછળ કરવો પડી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી પરિવહન યોજનાને (Mass Transportation ) ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોરોના મહામારી પહેલા શહેરની સીટી બસ, બીઆરટીએસ બસોમાં રોજિંદા પ્રવાસીઓની સંખ્યા ત્રણ લાખની નજીક પહોંચી ગઈ હતી. અને મહાનગરપાલિકા દ્વારા હજી પણ શહેરનો વ્યાપ વિસ્તાર વધતા આ બસ સર્વિસનો વ્યાપ વધારવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. સુરતમાં સમાવવામાં આવેલા નવા વિસ્તારોમાં આ બસ સેવા નો લાભ વધુને વધુ લોકો લઇ શકે તે માટે કોર્પોરેશન દ્વારા વધુ રૂટો પર બસ શરૂ કરવાનું આયોજન ચાલી રહ્યું છે.
હવે તો બીઆરટીએસમાં પણ સંપૂર્ણ સાઈકલ પૂર્ણ થઇ ગઈ છે, સુરત મહાનગરપાલિકાની માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને કેન્દ્ર સરકાર દ્વારા પણ વખાણવામાં આવી છે. અને એવોર્ડ પણ બસ સેવાને આપવામાં આવ્યા છે. જોકે નવાઈ ની વાત છે કે મહાનગરપાલિકા સંચાલિત માસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વાર્ષિક કરોડો રૂપિયાની નુકશાની પણ કરી રહી છે. વર્ષ 2013-14 થી વર્ષ 2020-21 દરમ્યાન ના આઠ વર્ષોમાં મહાનગરપાલિકાને સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા પાછળ 450 કરોડથી પણ વધુનું નુકશાન થયું છે.
બહુજન સુખાય, બહુજન હિતાય આ સૂત્ર સાથે કાર્યરત સુરત મહાનગરપાલિકા દ્વારા નુકશાન સહન કરવા છતાં શહેરીજનોને બસસેવાનો લાભ આપવા પીછે હઠ કરવામાં આવી નથી. તેથી પેઈડ એફએસઆઈ (એડિશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ) તથા અન્ય હેડ પેટે મળતી આવક મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં શિફ્ટ કરીને કરોડો રૂપિયાના નુકશાન છતાં સતત બસ સર્વિસમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
સુરત કોર્પોરેશન દ્વારા વર્ષ 2013-14માં મનપા દ્વારા બીઆરટીએસ બસ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તબક્કાવાર હાલ શહેરના 13 જેટલા રૂટ પર અઢીસોથી વધુ બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે, તે જ પ્રમાણે 45 જેટલા રૂટો પર 550 થી વધુ સીટી બસ ચલાવવામાં આવી રહી છે. મહાનગપાલિકાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાના કારણે 50 ટકા ક્ષમતાથી બસ ઓપરેટ થઇ રહી હોવા છતાં એવરેજ 2.25 લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી કરી રહ્યા છે.
નુકશાનીના આંકડા પર નજર કરીએ તો 2013-14માં જયારે બસ સેવા શરૂ થઇ ત્યારે કોર્પોરેશનને 10 લાખની આવક સામે 50 લાખનો ખર્ચ થયો હતો, તે વધીને હવે વર્ષ 2020-21માં 26.31 કરોડની આવક સામે 107.90 કરોડનો ખર્ચ કોર્પોરેશનને બસસેવા પાછળ કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : હું જન્મે જૈન છું પણ મુખ્યમંત્રી સ્વભાવે જૈન છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ CM ભૂપેન્દ્ર પટેલના કર્યા વખાણ
આ પણ વાંચો : Surat: ઘરમાં જ પ્રિન્ટર અને કોમ્પ્યુટરથી છાપતો હતો નકલી નોટો, પોલીસે 500 ની 398 નોટો સાથે ઝડપી પાડ્યો