Surat : સ્મીમેર હોસ્પિટલનો નવો વિવાદ, સ્મીમેરના RMO સામે માર્શલોએ અત્યાચારની કરી સામુહિક ફરિયાદ
કુલ 80 માર્શલોએ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલના સિનિયર આરએમઓ અને અન્ય એક ઉચ્ચ અધિકારી દ્વારા તેમને શારીરિક અને માસનિક ત્રાસ આપવામાં આવે છે.
સ્મીમેર હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માર્શલોને ત્રાસ આપવામાં આવતો હોવાની સામુહિક ફરિયાદ થતા હવે મનપાના સત્તાધીશો પણ ચોંકી ઉઠ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં કોરોના કાળમાં પણ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવનાર માર્શલોએ મહાનગરપાલિકાના ચીફ સિક્યોરીટી ઓફિસર જાગૃત નાયકને લેખિત ફરિયાદ કરી છે.
અમિત ગઢવી, અજીતસિંહ સોલંકી, અશ્વિન સોલંકી, હર્ષદ મેર, પિન્ટુ પટેલ, નિકુંજ પટેલ અને પંકજ પટેલ સહીત કુલ 80 માર્શલોએ લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલના સિનિયર આરએમઓ અને અન્ય એક ઉચ્ચ અધિકારી દ્વારા તેમને શારીરિક અને માસનિક ત્રાસ આપવામાં આવે છે.
બંને અધિકારીઓ માર્શલોના કોલર પકડીને ધક્કામુક્કી કરે છે, અભદ્ર વર્તન કરે છે. બેસવાના ટેબલને લાત મારીને માર્શલોને પાડી નાંખે છે. તેમજ કુદરતી હાજતે કે યુરિનલમાં ગયા હોય તો પણ ખોટા આક્ષેપ કરીને ગેરહાજરી પુરાવીને માનવ અધિકારના કાયદાનો પણ ભંગ કરે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્મીમેર હોસ્પિટલમાં સિક્યોરિટી જાળવતા માર્શલો સાથે ગેરવર્તન અને અપમાનજનક વર્તુણુંક કરવામાં આવતી હોવાની ફરિયાદ મળતા જ તાત્કાલિક હોસ્પિટલના સિનિયર આર.એમ.ઓ. સાથે ડેપ્યુટી કમિશનરે મિટિંગ યોજી હતી. માર્શલો પોતાની કામગીરીમાં બેદરકાર હોય કે બેજવાબદાર હોય તો પગલાં લેવા બરાબર છે પરંતુ કારણ વિના માર્શલો સાથે ગેરવર્તન નહીં કરવા સમજાવવામાં આવ્યા છે. અને આર.એમ.ઓ.એ પણ આ બાબતે ખાતરી આપી હતી.
સુરત મહાનગરપાલિકાના મુખ્ય સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા લોકોએ સિનિયર અધિકારી સામે ફરિયાદ કરી છે, જે એક ગંભીર બાબત છે. આ બાબતે હજી પણ માર્શલ અને અધિકારીઓની પૂછપરછ થઇ રહી છે. જે સમયે માર્શલો સાથે આવી ઘટના બની હતી, તે જ સમયે ફરિયાદ કેમ નોંધાવવામાં આવી ન હતી, તેની પણ તપાસ કરવામાં આવશે એવું પણ તેમણે ઉમેર્યું છે.
જોકે સ્મીમેર હોસ્પિટલના આર.એમ.ઓ.એ આ વાતને રદિયો આપ્યો છે અને જણાવ્યું છે કે માર્શલો પોતાનું કામ યોગ્ય રીતે કરતા નથી. તેઓએ પોતાની ભૂલ છુપાવવા માટે એક પ્રિ પ્લાન બનાવીને ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી છે.
આ પણ વાંચોઃ Surat : હવે ગુનેગારોની ખેર નથી, સુરત રેલવે સ્ટેશન હવે 85 જેટલા આધુનિક CCTV કેમેરાથી સજ્જ થયું